તાજેતરમાં પંજાબમાંથી એવો મામલો સામે આવ્યો હતો, જેના કારણે ભગવંત માન સરકારની ભારે ફજેતી થઈ હતી. અહીં એક મંત્રી 20 મહિનાથી એવો વિભાગ સંભાળી રહ્યા હતા, જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત જ ન હતું. હવે સરકાર અને અધિકારીઓને નીચાજોણું થાય તેવી બીજી એક બાબત સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબના શિક્ષણ વિભાગના 57 કર્મચારીઓની બદલી એક નકલી આદેશના આધારે કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ ફર્જી લેટરના આધારે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળતાં જ શિક્ષણ વિભાગ પર સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા.
અહેવાલ મુજબ, પંજાબમાં અધિકારીઓની બદલી સંબંધિત એક ઓર્ડર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ નકલી ઓર્ડર 57 ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને સેવાદારો સાથે તથા શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલો હતો. ત્યારબાદ નકલી ઓર્ડરને સાચો માનીને વિભાગના અધિકારીઓએ તેનું અમલીકરણ પણ શરૂ કરી દીધું હતું.
पंजाब में हाल ही में बिना विभाग वाले मंत्री का मामला खूब सुर्खियों में रहा था। अब सोशल मीडिया पर वायरल हुए ट्रांसफर के फर्जी आदेश को अफसरों ने सही मानते हुए उस पर अमल शुरू कर दिया।#Punjab
— Hindustan (@Live_Hindustan) February 27, 2025
जानें पूरा मामला- 🔗 https://t.co/aFBasYwZFF pic.twitter.com/vvpFEpz6iz
સોશિયલ મીડિયા પર વાયરલ ઓર્ડરના આધારે કર્યા ટ્રાન્સફર
નોંધનીય છે કે ટ્રાન્સફર પહેલાં દરેક સરકારી અધિકારીને એક ઔપચારિક નોટિસ આપવામાં આવતી હોય છે. ત્યારે પંજાબ સરકારના અધિકારીઓએ આ નકલી ટ્રાન્સફર ઓર્ડરનો વિશ્વાસ કરીને નોટિસની રાહ જોયા વગર જ કર્મચારીઓને ટ્રાન્સફર આપવાનું શરૂ કરી દીધું હતું. આ કર્મચારીઓનું ટ્રાન્સફર સોશિયલ મીડિયા પર ફરી રહેલ નકલી આદેશ અનુસાર જ કરવામાં આવી રહ્યું હતું.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સ્કૂલ શિક્ષણ વિભાગના નિદેશકને આ અંગેની માહિતી મળી. ત્યારબાદ વિભાગે તપાસ શરૂ કરી. તપાસ પછી ખબર પડી કે વાયરલ ટ્રાન્સફર ઓર્ડર નકલી હતો. વાસ્તવમાં પંજાબ સરકારે કોઈ ટ્રાન્સફર ઓર્ડર આપ્યો નહોતો. આ અંગે 26 ફેબ્રુઆરીએ શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને લેટર ઇસ્યુ કર્યો હતો.
જેમાં વિભાગે કહ્યું કે જે ઓર્ડરના આધારે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે તે ઓર્ડર નકલી છે. ત્યારપછી વિભાગના મહાનિદેશક તરફથી દરેક જિલ્લા અધિકારીઓને જાણકારી આપવામાં આવી કે હાલમાં આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. જો સરકાર આવો કોઈ આદેશ આપશે તો ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. તેથી સોશિયલ મીડિયા પર વિશ્વાસ કરવામાં ન આવે. સરકારે નકલી ઓર્ડર પર રોક લગાવી દીધી હતી.
એવા વિભાગના પણ મંત્રી જે અસ્તિત્વમાં જ નહોતો
તાજેતરમાં જ આવો જ એક મામલો સામે આવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે AAP નેતા અને પંજાબ કેબિનેટમાં મંત્રી કુલદીપ સિંઘ ધાલીવાલ બે વિભાગોના મંત્રી હતા, જેમાંથી એક વિભાગ અસ્તિત્વમાં જ નહોતો. મુખ્યમંત્રી ભગવંત માનની સરકારને તેની નોંધ લેવામાં અને પછી ગેઝેટ નોટિફિકેશન દ્વારા જરૂરી સુધારા કરવામાં લગભગ 20 મહિનાનો સમય લાગ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ પંજાબ સરકારે સ્વીકાર્યું કે મંત્રી કુલદીપ સિંઘ ધાલીવાલને ફાળવવામાં આવેલ વહીવટી સુધારા વિભાગ ‘અસ્તિત્વમાં જ નહોતો.’ ત્યારપછી આ વિભાગને નાબૂદ કરી ધાલીવાલને માત્ર ફક્ત NRI બાબતોનો વિભાગ સોંપવામાં આવ્યો હતો.