કાશ્મીરના પહલગામ ખાતે ઈસ્લામી આતંકવાદીઓએ હિંદુ પ્રવાસીઓ પર કરેલા બર્બર આતંકવાદી હુમલા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જાહેરમાં નિવેદન કર્યું છે. બિહારમાં એક જાહેર સભામાં બોલતી વખતે તેમણે કહ્યું કે, હવે આતંકને માટીમાં મેળવી દેવાનો સમય આવી ગયો છે અને હુમલો કરનાર આતંકવાદીઓને કલ્પના નહીં હોય તેવી સજા મળશે. તેમણે અંગ્રેજી ભાષા સંબોધન કરીને દુનિયાને પણ સંદેશ આપ્યો અને કહ્યું કે ભારત આતંકના આકાઓને દુનિયાના કોઈ પણ ખૂણામાંથી શોધી કાઢશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ હુમલા બાદ આખા દેશમાં આક્રોશ છે. આ હુમલો માત્ર નિઃશસ્ત્ર પર્યટકો પર નહતો થયો, પણ દેશના દુશ્મનોએ ભારતના આત્મા પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું છે. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગું છું– જેમણે આ હુમલો કર્યો છે તે આતંકવાદીઓને, આ હુમલાનું ષડ્યંત્ર રચનારાઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. સજા મળીને રહેશે.”
…अब आतंकियों की बची ज़मीन को मिटटी में मिलाने का समय आ गया है। pic.twitter.com/qeWgSl5gmp
— Political Kida (@PoliticalKida) April 24, 2025
તેમણે આગળ કહ્યું, “હવે આતંકીઓની બાકી વધેલી જમીન પણ માટીમાં મેળવી દેવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિ હવે આતંકના આકાઓની કમર તોડીને રહેશે.”
ત્યારબાદ તેમણે અંગ્રેજીમાં દુનિયાને સંબોધતાં કહ્યું, “આજે બિહારની ધરતી પરથી હું આખી દુનિયાને કહું છું– ભારત દરેક આતંકવાદીને શોધી કાઢીને, તેમના આકાઓને શોધી કાઢીને તેમને સજા આપીને રહેશે. અમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તેમને શોધી કાઢીશું. આતંકવાદ ભારતને ક્યારેય ઝુકાવી શકશે નહીં. આતંકવાદીઓ સજા પામ્યા વગરના નહીં રહે. ન્યાય મળે તે માટેના દરેક પ્રયાસ કરીશું. આ આખા રાષ્ટ્રનો સંકલ્પ છે.” તેમણે ભારત સાથે ઊભા રહેનારા દરેક દેશો અને રાષ્ટ્રાધ્યક્ષોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું હતું કે, પહલગામના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાઓમાંથી કોઈ ગુજરાતી હતું, કોઈ મરાઠી હતું, કોઈ બંગાળી બોલતું હતું તો કોઈ બિહારનું હતું. કોઈએ દીકરો ખોયો છે, કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી છે, કોઈએ જીવનસાથી ગુમાવ્યો છે. આ પરિવારજનો સાથે આજે આખો દેશ ઉભો છે અને પરિવારજનો ખોવાનો આક્રોશ આખા દેશમાં, કારગિલથી કન્યાકુમારી સુધી એક સરખો છે.
ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલો થયો તે સમયે વડાપ્રધાન સાઉદી અરેબિયાની યાત્રા પર હતા. ત્યાંથી તાત્કાલિક તેમણે યાત્રા ટૂંકાવી દીધી હતી અને રાત્રે જ ભારત આવવા રવાના થયા હતા. વહેલી સવારે તેમણે દિલ્હી પરત ફરીને એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. સાંજે નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની એક બેઠક યોજાઈ, જેમાં પાકિસ્તાન સામે અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા.