Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ‘22 જાન્યુઆરીએ ઘરે-ઘરે રામજ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવીશું’: અયોધ્યાથી PM મોદીની દેશવાસીઓને ખાસ અપીલ

    ‘22 જાન્યુઆરીએ ઘરે-ઘરે રામજ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવીશું’: અયોધ્યાથી PM મોદીની દેશવાસીઓને ખાસ અપીલ

    આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાથી તમામ દેશવાસીઓને અપીલ કરતાં 22 જાન્યુઆરીના રોજ ઘરે-ઘરે દીવડા પ્રગટાવવાની અપીલ કરી છે.

    PM મોદી હાલ અયોધ્યાના પ્રવાસે છે. તેમણે પુનર્નિર્માણ પામેલા અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક સભા પણ સંબોધિત કરી, જેમાં 22 જાન્યુઆરીના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરીને દેશવાસીઓને અગત્યની અપીલ કરી હતી. 

    PM મોદીએ કહ્યું કે, “આપણે ભાગ્યશાળી છીએ કે આપણા સૌના જીવનમાં આ ઐતિહાસિક ક્ષણો (પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની) આવી રહી છે. આપણે દેશ માટે નવસંકલ્પ લેવાના છે, નવી ઉર્જા મેળવવાની છે. તેથી હું દેશના 140 કરોડ દેશવાસીઓને હાથ જોડીને પ્રભુ શ્રીરામની આ અયોધ્યાની આ પવિત્ર ભૂમિ પરથી પ્રાર્થના કરી રહ્યો છું કે તમે 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થાય ત્યારે પોતપોતાનાં ઘરોમાં રામજ્યોતિ પ્રગટાવશો અને દિવાળીની ઉજવણી કરશો. તેમણે ઉમેર્યું કે, 22 જાન્યુઆરીની સાંજે આખા ભારતમાં ઝગમગ થવી જોઈએ.”

    - Advertisement -

    વડાપ્રધાને આગળ કહ્યું કે, “દેશવાસીઓને એક કરબદ્ધ પ્રાર્થના એક બીજી પણ છે. સૌ કોઈની ઈચ્છા છે કે 22 જાન્યુઆરીના આયોજનના સાક્ષી બનવા માટે તેઓ સ્વયં અયોધ્યા આવે. પરંતુ તમે પણ જાણો છો કે દરેક વ્યક્તિનું આવી શકવું સંભવ નથી. અયોધ્યામાં સૌનું પહોંચવું કઠિન છે. એટલે તમામ દેશભરના રામભક્તોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના રામભક્તોને મારો આગ્રહ છે કે 22 જાન્યુઆરીએ એક વખત વિધિપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ 23મી પછી પોતાની સુવિધા અનુસાર, તેઓ અયોધ્યા આવે. અયોધ્યા આવવાનું મન 22 તારીખે ન બનાવે. પ્રભુ રામને તકલીફ થાય તેવું આપણે રામભક્તો ક્યારેય ન કરી શકીએ. પ્રભુ રામજી પધારી રહ્યા છે તો આપણે પણ થોડા દિવસ રાહ જોઈએ. સાડા પાંચસો વર્ષ રાહ જોઈ છે તો એક દિવસ વધુ થશે.”

    ઉલ્લેખનીય છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર વિશ્વના કરોડો હિંદુઓ તેમના આરાધ્યને પાંચસો વર્ષો બાદ મંદિરમાં બિરાજમાન થતા જોવા માટે આતુર છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં