Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ100નું પેટ્રોલ પુરાવીને પધરાવી દીધી હતી એક હજારની નકલી નોટ: વાંકાનેરના અબ્દુલ...

    100નું પેટ્રોલ પુરાવીને પધરાવી દીધી હતી એક હજારની નકલી નોટ: વાંકાનેરના અબ્દુલ દલપોતરાને કોર્ટે સંભળાવી 10 વર્ષની સજા, 50 હજારનો દંડ પણ કર્યો

    નોટ ખોટી હોવાનું લાગતાં કર્મચારીએ પૂછપરછ કરતાં અબ્દુલ મોટર સાઇકલ લઈને ભાગી ગયો હતો. 

    - Advertisement -

    ફેક કરન્સીના એક કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટે વાંકાનેરના એક વકીલ અબ્દુલ જમાલ દલપોતરાને 10 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યા છે.

    કેસની વિગતો એવી છે કે, 12 વર્ષ પહેલાં 7 ડિસેમ્બર, 2011ના રોજ આરોપી અબ્દુલ દલપોતરા રાજકોટ-અમદાવાદ રોડ પર આવેલા એક પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવવા માટે ગયો હતો. અહીં 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યા બાદ તેણે પમ્પ પર હાજર કર્મચારીને એક હજાર રૂપિયાની નોટ આપી હતી. પરંતુ આ નોટ ખોટી હોવાનું લાગતાં કર્મચારીએ પૂછપરછ કરતાં અબ્દુલ મોટર સાઇકલ લઈને ભાગી ગયો હતો. 

    ત્યારબાદ કર્મચારીએ અન્યોને જાણ કરતાં બે વ્યક્તિઓએ પાછળ દોડીને તેને પકડી લીધો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. અબ્દુલે આપેલી નોટની ખરાઈ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ તે ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

    - Advertisement -

    પેટ્રોલ પમ્પના કર્મચારીએ આરોપી વિરુદ્ધ રાજકોટના કુવાડવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે આઇપીસીની કલમ 489(B) હેઠળ FIR દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલી જતાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી. 

    કેસની સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે દલીલો મૂકી હતી કે આરોપીને નોટ નકલી હોવાની જાણ હોવા છતાં વાપરવાના પ્રયાસ કર્યા હતા અને જ્યારે ફરિયાદીને શંકા ગઈ તો તેણે ભાગવાના પ્રયાસ કર્યા હતા. ઉપરાંત, સ્થળ પર FSL મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાનને બોલાવીને તપાસ કરવામાં આવતાં તેમાં પણ નોટ નકલી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું અને અંતિમ રિપોર્ટમાં પણ એ જ બાબત સામે આવી હતી. 

    સરકાર પક્ષે એ પણ દલીલ કરવામાં આવી કે આરોપી સામે ભૂતકાળમાં પણ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે તેમજ આ ગુનો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનો છે જેથી તેને ગંભીરતાથી લઈને ન્યાય તોળવો જોઈએ. 

    દલીલોને અંતે સેશન્સ કોર્ટે આરોપી અને વાંકાનેરના વકીલ અબ્દુલ જમાલ દલપોતરાને 10 વર્ષની કેદની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ કોર્ટે એમ પણ કહ્યું છે કે જો તે આ દંડ ન ભરે તો તેને 1 વર્ષની વધુ સજા કરવામાં આવે. 

    ઉલ્લેખનીય છે કે જે સમયે આ ઘટના બની હતી ત્યારે દેશમાં હજાર રૂપિયાની નોટ ચલણમાં હતી. વર્ષ 2016માં ભારત સરકારે નોટબંધી કરીને પાંચસો અને એક હજાર રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ 500ની નવી નોટ લાવવામાં આવી હતી, જ્યારે 1000ની નોટ બંધ કરવામાં આવી છે. તેના સ્થાને હાલ 2 હજાર રૂપિયાની નોટ ચલણમાં છે, જે પહેલાં ન હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં