31 જુલાઈ, 2023 (સોમવાર)ના રોજ હરિયાણાના મેવાત વિસ્તારના નૂંહમાં શ્રાવણના સોમવારે આયોજિત જળાભિષેક યાત્રા પર ઇસ્લામી ટોળાએ હુમલો કરી દીધો હતો. આ કેસમાં નોંધાયેલી FIRમાંથી અમુકની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાંથી એક FIR ધર્મેન્દ્ર નામના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, તોફાનીઓએ મંદિરના શ્રદ્ધાળુઓ પર હુમલો કરતી વખતે ‘અલ્લાહુ અકબર’ અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
FIRની વિગતો
ASIની ફરિયાદના આધારે નોંધાયેલી આ FIRમાં IPCની કલમો 148, 149, 295A, 332, 353, 186, 427, 435, 307 લગાવવામાં આવી છે. ઉપરાંત, આર્મ્સ એક્ટની કલમ 25 અને પ્રિવેન્શન ઑફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 4 પણ ઉમેરવામાં આવી છે. FIR લુકમાન, સાહિલ વાજિદ હુસૈન, જાકિર, મુશ્તાક અને અન્ય 800-900 માણસો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/08/image-12.png?resize=696%2C417&ssl=1)
વિગતો એવી છે કે, ASI ધમેન્દ્ર, ASI અરૂણ સિંઘ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર, હોમ ગાર્ડ બિર સિંહ, હોમ ગાર્ડ ત્રિલોક, હોમ ગાર્ડ એજાઝ, SPO નરેન્દ્ર અને અન્ય પોલીસ અધિકારીઓ ડ્રાઈવર મોહમ્મદ બિલાલ સાથે જળાભિષેક યાત્રા દરમિયાન મંદિરે ફરજ પર હાજર હતા. ફરિયાદમાં ASI ધર્મેન્દ્રએ જણાવ્યું છે કે, સમુદાય વિશેષના 800થી 900 લોકો સુનિયોજિત રીતે ધાર્મિક કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે શિવ મંદિર તરફ આગળ વધતા દેખાય હતા. તેઓ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા અને હાથમાં લાકડી-દંડા, પથ્થરો અને હથિયારો હતાં.
તેમણે કહ્યું કે, મેં સહયોગીઓ સાથે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેમણે પથ્થર ફેંકવાના શરૂ કરી દીધા અને જળાભિષેકમાં સામેલ શ્રદ્ધાળુઓને મારવા માટે ગોળીબાર પણ કર્યો. આ દરમિયાન પણ અલ્લાહુ અકબરના નારા લાગતા રહ્યા. હુમલા દરમિયાન હોમ ગાર્ડ્સ બિર સિંઘ અને ત્રિલોકને ઇજા પહોંચી હતી. તેમણે કહ્યું કે, પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા છતાં મુસ્લિમ સમુદાયના લોકો ‘અલ્લાહુ અકબર’ અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા આગળ વધવા માંડ્યા. ટોળાને વિખેરવા માટે ASIએ હવામાં ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો પરંતુ ભાગવાની જગ્યાએ ઇસ્લામી ટોળાએ રસ્તા પર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. તેમણે વાહનો પર પેટ્રોલ છાંટ્યું અને મઝહબી અને પાકિસ્તાન સમર્થક નારા લગાવતાં વાહનો સળગાવી દીધાં હતાં.