Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નફરત ફેલાવનારાઓને ફૉલો કરે છે પીએમ, કોઈ પણ મુસ્લિમે હિંદુ દેવતાઓ પર...

    ‘નફરત ફેલાવનારાઓને ફૉલો કરે છે પીએમ, કોઈ પણ મુસ્લિમે હિંદુ દેવતાઓ પર નથી કરી ટિપ્પણી’ : બોલ્યા નસીરુદ્દીન શાહ- મારા ઘરે પણ રેડ પડી શકે છે

    અભિનેતા નસીરુદ્દીન શાહે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે કોઇપણ મુસ્લિમે હિંદુ દેવી દેવતાઓ પર અપમાનજનક ટીપ્પણી કરી હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું નથી.

    - Advertisement -

    પયગંબર મુહમ્મદ પર ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વૈશ્વિક મુસ્લિમ સમુદાય ભડકી ઉઠ્યો છે, ત્યારે હવે આ મામલે વિવાદાસ્પદ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ ટિપ્પણી કરી છે. ગઈકાલે એનડીટીવી સાથે વાત કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પગલાં લેવા જોઈએ અને આ ઝેર ફેલાતું અટકાવવું જોઈએ.

    નસીરુદ્દીન શાહે એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં ધર્મ સંસદના વિવાદ પર ટિપ્પણી કરતાં કહ્યું, “હું પીએમને અપીલ કરીશ કે આ લોકોમાં થોડી સારી સમજણ કેળવવામાં આવે. જો તેઓ માને છે કે ધર્મ સંસદમાં (હરિદ્વાર) જે કહેવામાં આવ્યું છે તે સાચું છે, તો તેમણે તેમ કહેવું જોઈએ અને જો નહીં, તો તેમણે તેના પર પણ તેમના વિચારો સ્પષ્ટ કરવા જોઈએ.”

    તેમણે આગળ કહ્યું, “હું ઈચ્છું છું કે પીએમ ટ્વિટર પર જે નફરત ફેલાવનારાઓને ફૉલો કરે છે….તેમણે કંઈક કરવું પડશે. ઝેર ફેલાતું અટકાવવા માટે તેમણે પગલાં લેવાની જરૂર છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને હાલમાં જ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધાં છે. લગભગ 10 દિવસ પહેલા ટાઈમ્સ નાઉના ટીવી ડિબેટ શો દરમિયાન પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણી બાદ સર્જાયેલા વિવાદ બાદ તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, નૂપુર શર્માના નિવેદનની વિરુદ્ધ ઈરાન, ઈરાક, કુવૈત, કતાર, સાઉદી સહિત ઓછામાં ઓછા 15 દેશોએ પણ  વિરોધ નોંધાવ્યો હતો.

    જ્યારે નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળવાની વાત આવી ત્યારે નસીરુદ્દીન શાહે કહ્યું કે તેની નિંદા થવી જોઈએ. જ્યારે એનડીટીવીએ નસીરને પૂછ્યું કે સરકારનું કહેવું છે કે આ ટિપ્પણીઓ સરકારનું નિવેદન નથી પરંતુ ફ્રિન્જ એલિમેન્ટસના વિચાર છે. ત્યારે નસીરુદ્દીન શાહે કહ્યું, “તે મહિલા કોઈ મામૂલી તત્વ નથી. તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા છે.”

    અભિનેતા નસીરુદ્દીન શાહે હિંદુ દેવી-દેવતાઓના અપમાન પર નુપુર શર્માની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું, “તેમને એવું કોઈ ઉદાહરણ યાદ નથી કે જ્યારે કોઈ મુસ્લિમે હિંદુ દેવતાઓ પર આવું ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હોય.” જો કે થોડા દિવસ અગાઉ જ મૌલવી ઇલીયાસ શરાફુદ્દીને એક ટીવી ડિબેટમાં શિવલિંગને પ્રાઈવેટ પાર્ટ ગણાવીને અને તેના પર અટ્ટહાસ્ય કરીને તેનું અપમાન કર્યું હતું એ સમાચાર વાયરલ થયા હતાં..

    તેમણે 1984ના જ્યોર્જ ઓરવેલના સંદર્ભને ટાંકીને કહ્યું કે, “તે એક કપટપૂર્ણ માફી હતી, જેનો હેતુ આહત ભાવનાઓને શાંત કરવા માટેનો ન હતો. તમે શાંતિ અને એકતાની વાત કરો છો અને તમને એક વર્ષ માટે જેલમાં મોકલવામાં આવે છે. તમે નરસંહારની વાત કરો છો તો તમને તમાચો મારવામાં આવે છે. અહીં બેવડા ધોરણો કામ કરી રહ્યા છે.”

    નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળવા પર મામલે તેમણે ફરી કહ્યું હતું કે તેની નિંદા કરવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું, “આવું વિચારવું પણ ખોટું છે. આજ કારણ છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આજે આ સ્થિતિમાં છે. આપણે આ દેશોનું અનુકરણ કરવા નથી માંગતા, પરંતુ તેમ છતાં આપણે કરી રહ્યા છીએ. ગાયની હત્યાની આશંકાથી લોકોને મારવામાં આવે છે. આ બધું બર્બર ઇસ્લામિક દેશોમાં થયું છે પણ ભારતમાં નહીં.”

    અભિનેતાએ નફરતભર્યા ભાષણ માટે ન્યૂઝ ચેનલોને પણ જવાબદાર ઠરાવી હતી. તેમણે કહ્યું, “નફરત પેદા કરવામાં આવે છે અને આ ઝેર જ્યારે તમે વિરોધી દ્રષ્ટિકોણનો સામનો કરો ત્યારે બહાર આવે છે.  આ માટે ટીવી સમાચાર અને સોશિયલ મીડિયા જવાબદાર છે.”

    બૉલીવુડના ખાન અભિનેતાઓએ વર્તમાન વિવાદ પર બોલવું જોઈએ કે નહીં, તેમ પૂછવામાં આવતા શાહે કહ્યું, “હું એ સ્થિતિમાં નથી જેમાં તેઓ છે. પરંતુ મને લાગે છે કે તેઓ એવી સ્થિતિમાં છે જ્યાં તેમની પાસે ઘણું ગુમાવવાનું છે.” સોનુ સૂદ પર વાત કરતા તેમણે કહ્યું કે મારી પર પણ રેડ પડી શકે છે.

    જ્યારે નસરુદ્દીન શાહને પોતે એક મુસ્લિમ તરીકે હાંસિયામાં ધકેલાઈ ગયાનું અનુભવે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “હું હાંસિયામાં ધકેલાઈ ગયાનું નથી અનુભવતો. તેમણે આ અંગે લાંબી ટિપ્પણીમાં કહ્યું-

    “હાંસિયામાં ધકેલાઈ ગયેલા કે ભય અનુભવતા ભારતના બહુમતી મુસ્લિમો કરતા હું ભાગ્યશાળી છું, હું હાંસિયામાં ધકેલાઈ ગયો નથી. હું આ દેશમાં દુઃખી નથી. આ જ દેશમાં મારો ઉછેર થયો છે અને હું ભાગ્યશાળી છું. એવી પરિસ્થિતિ કે જ્યાં હું હાંસિયામાં ન રહી શકું. એવું પણ નથી કે મારા સત્તા વિરોધી નિવેદનોએ મને કામ કરતા અટકાવ્યો છે. અંગત રીતે, હું એકલતા અનુભવતો નથી. હું મારા વિશે એટલું જ જાણું છું કે મારી એક ઓળખ મુસ્લિમ તરીકેની છે અને મારી સંસ્કૃતિ મુસ્લિમ છે. મારી પત્ની હિંદુ છે અને તેમ કહેવાથી હું ક્યારેય પાછળ હટતો નથી. એક દિવસે આ નફરતની લહેર પણ ખતમ થઇ જશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં