‘સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ નથી, ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની પરવાનગી આપવામાં આવે’: સોનમ વાંગચુકની પત્નીએ દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા વીસેક દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે હોસ્પિટલ ખસેડ્યા બાદ વાંગચુકની પત્નીએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની માંગ સાથે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે.

ગીતાંજલિ એંગમોએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે તેમને સફદરજંગ હોસ્પિટલ પ્રશાસન પર વિશ્વાસ રહ્યો નથી અને સોનમ વાંગચુકને તાત્કાલિક અહીંથી રજા આપીને કોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની રજા આપવામાં આવે. જેના માટે પોતે દિલ્હી હાઇકોર્ટમાં પહોંચ્યાં છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. સુનાવણી ક્યારે થશે એ જાણવા મળ્યું નથી.

ગીતાંજલિએ X પોસ્ટમાં લખ્યું કે તેમને સફદરજંગની સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ રહ્યો નથી. કારણ જણાવતાં કહ્યું કે વાંગચુકના શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઘટી ગયું હોવા છતાં પબ્લિક હેલ્થ બુલેટિનમાં સાચો આંકડો જણાવવામાં આવ્યો નથી. ઉપરાંત વારંવાર કહેવા છતાં હોસ્પિટલ તેમને રજા આપી રહી નથી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની પરવાનગી અપાઈ રહી નથી.

દાવો કર્યો કે હોસ્પિટલના ફ્લોર પર 30 પોલીસકર્મીઓ હાજર રહે છે અને આખી હોસ્પિટલમાં 100 પોલીસકર્મીઓ હાજર છે. નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, જે દર્શાવે છે કે આ ગેરકાયદેસર ડિટેન્શન છે, મેડિકલ કેર નહીં.

ગીતાંજલિનું કહેવું છે કે જો સોનમ વાંગચુકને કશું થાય તો તેના માટે હોસ્પિટલ પ્રશાસન અને સરકાર જવાબદાર રહેશે.

આગળ લખ્યું, “એટલે મેં હાઇકોર્ટમાં અરજી કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે અને વિનંતી કરી છે કે સોનમને તેમની તબિયત વધુ લથડે તે પહેલાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે.”

ઉલ્લેખનીય છે કે ઘણા દિવસોથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને આખરે પોલીસે શનિવારે (18 જુલાઈ) સ્થળ પરથી લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. કાર્યવાહી દિલ્હી હાઇકોર્ટના એક આદેશ પર થઈ હતી. ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટી હોબાળો મચાવી રહી છે.