ઉત્તર પ્રદેશના મેરઠમાં એક વીજ કર્મચારીને બરખાસ્ત કરવામાં આવ્યો છે. કારણ એ છે કે તેણે ગત બુધવારે (30 એપ્રિલ) અચાનક થોડા સમય માટે આખા ગામની વીજળી કાપી નાખી હતી. રિયાઝુદ્દીન નામના આ કર્મચારીએ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને અન્ય મુસ્લિમ સંગઠનો દ્વારા વક્ફ કાયદાના વિરોધમાં ચલાવવામાં આવી રહેલા ‘બત્તી ગુલ અભિયાન’ સમયે જ આ કારસ્તાન કર્યું હતું. આખરે તેને નોકરી પરથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ સંશોધન કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા ‘બત્તી ગુલ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં બુધવારે રાત્રે 15 મિનિટ માટે ઘરોની લાઇટો બંધ કરીને વિરોધ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી. તેમાં પછી અસદુદ્દીન ઓવૈસી જેવા મુસ્લિમ નેતાઓ અને ઇસ્લામી સંગઠનો પણ જોડાયાં.
वक्फ कानून के खिलाफ कई मुस्लिम संगठनों ने एक मई की रात 15 मिनट के लिए लाइट बंद रखने का ऐलान किया था। यूपी के मेरठ में बिजलीघर कर्मचारी रियाजुद्दीन ने पूरे एरिया की ही बिजली काट दी। मामला मंत्री तक पहुंचा। रियाजुद्दीन को बर्खास्त कर दिया गया है। pic.twitter.com/bBAbUyBLsb
— Sachin Gupta (@SachinGuptaUP) May 2, 2025
બીજી તરફ મેરઠના મુંડાલીના અજરડા ગામમાં અલગ જ બનાવ બન્યો. અહીં બુધવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ (બરાબર જ્યારે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે લાઇટ બંધ કરવાની જાહેરાત કરી હતી) આખા ગામની વીજળી ગુલ થઈ ગઈ.
તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા લાઈનમેન રિયાઝુદ્દીને વીજળી કાપી નાખી હતી. પંદર મિનિટ માટે વીજળી બંધ કર્યા બાદ ફરી ચાલુ કરી દેવામાં આવી હતી. આ મામલે પછીથી ગામના અમુક લોકોએ ઊર્જા મંત્રી સોમેન્દ્ર તોમરને ફરિયાદ કરી. તેમણે વીજ વિભાગને આદેશ આપ્યા બાદ અધિકારીઓએ તપાસ કરતાં રિયાઝુદ્દીનનું નામ આવ્યું હતું.
તેણે અધિકારીઓ સમક્ષ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વક્ફ કાયદા વિરુદ્ધ અભિયાનની પોસ્ટ જોઈને તેણે વીજળી ગુલ કરી દીધી હતી. અધિકારીઓએ મીડિયા સમક્ષ પુષ્ટિ કરી કે રિયાઝુદ્દીન જે ફીડર પર હાજર હતો અને તેણે જ 1 મેની રાત્રે અચાનક શટડાઉન કરી દીધું હતું. જેની ફરિયાદ ગામલોકો તરફથી પ્રાપ્ત થઈ છે અને ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. કર્મચારી પાસેથી પણ સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું.
રિયાઝુદ્દીને સ્પષ્ટીકરણમાં એવું પણ કારણ આપ્યું કે તેણે હંગામા અને દબાણના કારણે વીજળી કાપી નાખી હતી. જોકે તપાસમાં સ્પષ્ટ થયું કે તેણે જાણીજોઈને જ આ કારસ્તાન કર્યું હતું, ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો.