‘નર્મદા બચાઓ આંદોલન’થી વર્ષો સુધી ગુજરાતના સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટમાં રોડાં નાખવાનો પ્રયાસ કરનારાં કથિત એક્ટિવિસ્ટ મેધા પાટકરની એક માનહાનિના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કાર્યવાહી સાકેત કોર્ટ દ્વારા પાટકર વિરુદ્ધ ઇસ્યુ કરવામાં આવેલા એક બિનજામીનપાત્ર વૉરન્ટના આધારે કરવામાં આવી. જોકે પછીથી તેમને અમુક શરતો પર મુક્ત કરવામાં આવ્યાં. નોંધનીય છે કે આ કેસ દિલ્હીના વર્તમાન ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના (VK Saxena) દ્વારા 2001માં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ ગુજરાતની એક બિન-સરકારી સંસ્થા (NGO) ‘નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ’ના અધ્યક્ષ હતા.
નોંધનીય છે કે સાકેત કોર્ટે 23 એપ્રિલે મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું, જેમાં તેમના પર પ્રોબેશન બોન્ડ રજૂ કરવાના અને માનહાનિના કેસમાં ₹1 લાખનો દંડ ભરવાના આદેશનું જાણીજોઈને ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે સજા મુલતવી રાખવાની તેમની અરજીને વ્યર્થ ગણાવી અને કહ્યું કે તે કોર્ટને ‘છેતરવાના’ ઇરાદાથી દાખલ કરવામાં આવી હતી.
Delhi LG VK Saxena vs Medha Patkar defamation case | Activist Medha Patkar arrested by Delhi Police after Saket court issued a Non-Bailable warrant (NBW) against her on April 23. She will be presented before the Saket court today
— ANI (@ANI) April 25, 2025
એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંઘે જણાવ્યું હતું કે, “સજાના આદેશનું પાલન કરવા માટે 8 એપ્રિલે કોર્ટમાં હાજર થવાને બદલે દોષિત (પાટકર) ગેરહાજર રહ્યાં અને તેઓ ઇરાદાપૂર્વક સજાના આદેશનું પાલન કરવામાં અને વળતરની રકમ જમા કરાવવાને આધીન પ્રોબેશનનો લાભ મેળવવામાં નિષ્ફળ ગયાં છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ગુનેગારનો ઈરાદો સ્પષ્ટ છે કે તેઓ જાણીજોઈને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યાં છે; તેઓ કોર્ટ સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યાં છે અને સજાની શરતો સ્વીકારવાનું પણ ટાળી રહ્યાં છે.“
કોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી હતી કે, “દિલ્હી હાઇકોર્ટમાં પેન્ડિંગ રિવિઝન પિટિશનનો ઉલ્લેખ કરીને પાટકરની મુલતવી રાખવાની અરજીમાં ‘કોઈ તથ્ય નથી’ અને દિલ્હી હાઇકોર્ટના 22 એપ્રિલના આદેશમાં એવો કોઈ નિર્દેશ નથી કે દોષિત મેધા પાટકરને 8 એપ્રિલના દોષિત ઠેરવવાના આદેશનું પાલન કરવાની જરૂર નથી. હાલની અરજી વ્યર્થ અને ફક્ત કોર્ટને છેતરવા માટે દાખલ કરવામાં આવી છે.”
મેધા પાટકરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે પ્રોબેશન બોન્ડ અને વળતરની રકમ જમા કરાવવાની બાંહેધરી સ્વીકારીને મેધા પાટકરને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો
આ કેસની શરૂઆત 2000માં થઈ હતી. આ સમયે સક્સેના ગુજરાત સ્થિત NGO ‘નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ’ના (NCCL) અધ્યક્ષ હતા, જે સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટનું સમર્થન કરતી હતી. બીજી તરફ, મેધા પાટકરનું નર્મદા બચાઓ આંદોલન 1985થી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું હતું, જેનું મુખ્ય કારણ બાંધને કારણે થતું કથિત પર્યાવરણીય નુકસાન અને હજારો લોકોનું વિસ્થાપન હતું. આ વૈચારિક અને રાજકીય મતભેદે બંને વચ્ચે તીવ્ર સંઘર્ષને જન્મ આપ્યો.
આ દરમિયાન મેધા પાટકરે સક્સેના વિરુદ્ધ એક પ્રેસ રિલીઝ જારી કરી હતી, જેનું શીર્ષક હતું ‘True Face of Patriot’. આ પ્રેસ રિલીઝમાં પાટકરે આરોપ લગાવ્યો હતો કે સક્સેનાએ નર્મદા બચાઓ આંદોલન (NBA)ની પ્રશંસા કરી અને 40,000 રૂપિયાનો ચેક આપ્યો, પરંતુ આ ચેક બાઉન્સ થયો અને બેંકે જણાવ્યું કે આવું કોઈ ખાતું અસ્તિત્વમાં નથી.
આ ઉપરાંત, પાટકરે સક્સેનાને ‘કાયર’ ગણાવ્યા હતા, તેમજ તેમની સંડોવણી હવાલા વ્યવહારોમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ નિવેદનોને સક્સેનાએ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારાં ગણાવ્યાં અને 2001માં અમદાવાદની એક સ્થાનિક કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો. 2003માં સુપ્રીમ કોર્ટના આદેશ પર આ કેસ દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર થયો.
કાયદાકીય કાર્યવાહી
24 મે 2024ના રોજ સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ મેધા પાટકરને માનહાનિના આરોપ હેઠળ દોષી ઠેરવ્યાં. કોર્ટે જણાવ્યું કે પાટકરનાં નિવેદનો બદઇરાદાપૂર્વકનાં હતાં અને ‘જાણીજોઈને’ કરવામાં આવ્યાં હતાં, જેનો ઉદ્દેશ સક્સેનાની સામાજિક પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવાનો હતો. કોર્ટે ખાસ નોંધ્યું કે ‘અદેશભક્ત’ અને ‘હવાલા વ્યવહારો’ જેવા આક્ષેપો ગંભીર હતા અને તેનાથી સક્સેનાને સામાજિક નુકસાન થયું હતું.
ત્યારપછી કોર્ટે 1 જુલાઈ 2024ના રોજ પાટકરને પાંચ મહિનાની સાદી કેદ અને 10 લાખના દંડની સજા ફટકારી હતી. આ સમયે પાટકરની ઉંમર (70 વર્ષ) અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે વધુ કડક સજા આપી નહોતી. આ ઉપરાંત આ સજાને એક મહિના માટે સ્થગિત કરવામાં આવી જેથી તેઓ અપીલ કરી શકે.
કોર્ટના આદેશનું કર્યું ઉલ્લંઘન
પાટકરે સાકેત કોર્ટના ચુકાદા સામે અપીલ કરી, પરંતુ 2 એપ્રિલ 2025ના રોજ સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંઘે આ અપીલ ફગાવી દીધી હતી. 8 એપ્રિલ 2025ના રોજ કોર્ટે મેધા પાટકરને એક વર્ષના પ્રોબેશન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો અને દંડની રકમ 10 લાખથી ઘટાડીને 1 લાખ કરી. પાટકરે પ્રોબેશન બોન્ડ ભરવા માટે કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તેમણે આ આદેશનું ઉલ્લંઘન કર્યું.
ત્યારે પ્રોબેશનની શરતોનું પાલન ન કરવા બદલ સાકેત કોર્ટે 23 એપ્રિલ 2025ના રોજ પાટકર વિરુદ્ધ ગેર-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું. તથા 25 એપ્રિલ 2025ના રોજ દિલ્હી પોલીસે નિઝામુદ્દીન વિસ્તારમાંથી પાટકરની ધરપકડ કરી. જોકે પછીથી છોડી મૂકવામાં આવ્યાં હતાં.