Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સ્વીકારું છું કે ફિલ્મના કારણે લોકોની લાગણીને ઠેસ પહોંચી છે’: ‘આદિપુરૂષ’ માટે...

    ‘સ્વીકારું છું કે ફિલ્મના કારણે લોકોની લાગણીને ઠેસ પહોંચી છે’: ‘આદિપુરૂષ’ માટે મનોજ મુંતશિરે બે હાથ જોડીને માફી માંગી, લોકોએ કહ્યું- તમે નહીં ફ્લૉપ ફિલ્મ બોલી રહી છે

    મનોજ મુંતશિરની માફીને લઈને લોકોનું કહેવું છે કે આ જ્ઞાન પહેલાં આવવું જોઈતું હતું. તો એમ પણ પૂછ્યું કે માફી માંગવામાં આટલો સમય કેમ લગાડવામાં આવ્યો? 

    - Advertisement -

    વિવાદાસ્પદ ડાયલૉગ્સ અને રામાયણના નબળા ચિત્રણના કારણે વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ‘આદિપુરૂષ’ના સંવાદ લેખક મનોજ મુંતશિરે હવે માફી માંગી છે. એક ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, આદિપુરૂષના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે એ બાબત તેઓ સ્વીકારે છે અને જે માટે સૌની બે હાથ જોડીને માફી માંગે છે. 

    મનોજ મુંતશિરે ટ્વિટમાં લખ્યું કે, ‘હું સ્વીકાર કરું છું કે ફિલ્મ આદિપુરૂષના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હું તમામ ભાઈ-બહેનો, વડીલો, પૂજ્ય સાધુ-સંતો અને શ્રીરામના ભક્તોની બે હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા સૌની ઉપર કૃપા વરસાવે અને આપણને એક અને અતૂટ રહીને પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.’

    જોકે, મનોજ મુંતશિરની માફીને લઈને લોકોનું કહેવું છે કે આ જ્ઞાન પહેલાં આવવું જોઈતું હતું. તો એમ પણ પૂછ્યું કે માફી માંગવામાં આટલો સમય કેમ લગાડવામાં આવ્યો? 

    - Advertisement -

    ‘ધ સ્કિન ડોક્ટરે’ લખ્યું કે, ‘ફિલ્મ ફ્લૉપ થઇ ગઈ અને સિનેમાઘરોમાંથી ઉતરવાની શરૂ થઇ, ગુમાવવા માટે કંઈ ન બચ્યું, જ્યારે જનતાનો આક્રોશ આપમેળે ઠંડો પડી ગયો ત્યારે માફી માંગી રહ્યા છો. આ કામ ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસોમાં જ થઇ જવું જોઈતું હતું પરંતુ ત્યારે તો તમે કલેક્શન ગણવામાં અને ફિલ્મનો બચાવ કરીને ઘા પર મીઠું ભભરાવવામાં વ્યસ્ત હતા. હવે ફિલ્મની કમાણી અટકી ગઈ છે તો માફી માંગી રહ્યા છો.’ 

    મોના પટેલ નામના યુઝરે લખ્યું કે, આ તમે નહીં પણ ફ્લૉપ ફિલ્મ બોલી રહી છે અને હવે ઘણું મોડું થઇ ચૂક્યું છે. 

    એક વ્યક્તિએ કહ્યું કે, મનોજ મુંતશિરે બહુ પહેલાં માફી માંગી લેવાની જરૂર હતી, પરંતુ તેમને ભૂલ સમજાઈ એ સારું થયું.

    અન્ય એક યુઝરે લખ્યું કે, ફિલ્મ નિર્માતાઓનો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો જ છે અને હિંદુઓએ બહિષ્કાર કર્યો ત્યારે જઈને તેમની આંખ ઊઘડી છે. 

    ફિલ્મ ‘આદિપુરૂષ’ રિલીઝ પહેલાં ખાસ્સી ચર્ચામાં રહી હતી અને પ્રમોશન પણ ખૂબ કરવામાં આવ્યું હતું. જોકે, તેનું ટીઝર લૉન્ચ થયું ત્યારે જ લોકોએ નબળા VFX અને અન્ય બાબતો પર વાંધો ઉઠાવ્યો હતો. આખરે જ્યારે ફિલ્મ રિલીઝ થઇ તો દર્શકોની આશા પર પાણી ફરી વળ્યું. ખાસ કરીને ફિલ્મમાં હનુમાનજીના પાત્ર દ્વારા બોલાયેલા ડાયલૉગ્સના કારણે નિર્માતાઓ-લેખકોએ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં એક દ્રશ્યમાં હનુમાનજીનું પાત્ર ‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી..’ જેવા સંવાદ બોલે છે. અન્ય પણ કેટલાક સંવાદો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, વિરોધ બાદ આ ડાયલૉગ્સ બદલી નાંખવામાં આવ્યા હતા પરંતુ તેનો પણ કોઈ ખાસ ફેર પડ્યો નહીં.

    ફિલ્મ આદિપુરૂષે શરૂઆત સારી કરી હતી અને ત્રણ જ દિવસમાં 300 કરોડની કમાણી કરી હતી. પરંતુ જેમ-જેમ વિરોધ વધતો ગયો તેમ દર્શકોનું પ્રમાણ ઘટતું ગયું અને હવે ફિલ્મ થીયેટરોમાંથી ઉતરવાની શરૂ થઇ ગઈ છે. આ ફિલ્મ 500 કરોડ રૂપિયાના બજેટથી બનાવવામાં આવી હતી પરંતુ તે બજેટ જેટલો આંકડો પણ મેળવી શકી નથી. ક્યાંક તેની કમાણી 128 કરોડ તો ક્યાંક 450 કરોડ જણાવવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં