Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકમાં વીજળીના ભાવવધારા સામે 22 જૂને રાજ્યવ્યાપી બંધની જાહેરાત, ઉદ્યોગોના સંગઠને કહ્યું-...

    કર્ણાટકમાં વીજળીના ભાવવધારા સામે 22 જૂને રાજ્યવ્યાપી બંધની જાહેરાત, ઉદ્યોગોના સંગઠને કહ્યું- સરકારને અમે વિનંતી કરી, પણ કોઈ ફેર ન પડ્યો

    યતનાલના ધારાસભ્ય અને બીજેપી નેતા બી.આર. પાટીલે કોંગ્રેસ સરકારનો ઉધડો લેતાં જણાવ્યું કે, “જો સરકાર ઉદ્યોગોની માંગણીઓ પર વિચાર નહીં કરે તો એકાદ-બે વર્ષમાં કર્ણાટકમાંથી ઉદ્યોગો પડોશી રાજ્યમાં પલાયન કરશે.”

    - Advertisement -

    કર્ણાટકમાં તાજેતરમાં આવેલી કોંગ્રેસ સરકારે રાજ્યમાં વિદ્યુત શુલ્ક વધારી નાખ્યો છે જેથી સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગ સંગઠનોમાં રોષ પેદા થયો છે. આને લઈને કર્ણાટકમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. કર્ણાટક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (KCC&I) એ કોંગ્રેસ સરકારના વિરોધમાં 22 જૂને રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરી છે. યુનિયનનું કહેવું છે કે તેમણે નવા વીજ શુલ્કની અસર વિશે રાજ્ય સરકારને માહિતગાર કરી હતી, પણ તેમને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી પોતાની માંગણી રજૂ કરવા માટે તેઓએ બંધનો આશરો લેવો પડ્યો છે.

    KCC&Iએ કોંગ્રેસ સરકારને પોતાનો સંદેશ પહોંચાડવા માટે એસોસિએશનના તમામ સભ્યોને હડતાળમાં ભાગ લેવા વિનંતી કરી છે. સંગઠને તમામ સભ્યોને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “અમે તમામ વેપાર અને ઉદ્યોગોને 22 જૂને તેમના વ્યવસાયો બંધ રાખવા માટે વિનંતી કરીએ છીએ. આ બંધ વીજ સપ્લાય કરતી કંપનીઓ (ESCOM)ના વિરોધમાં છે. છેલ્લા 8 દિવસથી અમે વીજળીના શુલ્કમાં થયેલા અસામાન્ય ભાવવધારાનો વિરોધ કરી રહ્યા છીએ. જોકે, અધિકારીઓ અને સરકારી પ્રતિનિધિઓ કોઈ ઉકેલ નથી લાવી રહ્યા.”

    કર્ણાટકમાં બંધનું એલાન કરનારા એસોસિએશને કહ્યું હતું કે, “સરકારનું ધ્યાન દોરવા માટે અમે આ બંધનું એલાન કરી રહ્યા છીએ. અમારી માંગણી છે કે ઈલેક્ટ્રીસિટી ચાર્જમાં ઘટાડો કરવામાં આવે.” કર્ણાટકમાં નવી સરકાર ચૂંટાયા બાદ ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ કોસ્ટ એડજસ્ટમેન્ટ ચાર્જ (FPPCA)ના નામે યુનિટ દીઠ 51 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. વીજ શુલ્કમાં વધારો થવાને લઈને રાજ્ય સરકારનો બચાવ કરતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ નિર્ણય સરકાર દ્વારા નહીં પણ કર્ણાટક ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (KERC) દ્વારા લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    ‘તો ઉદ્યોગોએ પડોશી રાજ્યોમાં પલાયન કરવું પડશે’

    યતનાલના ધારાસભ્ય અને બીજેપી નેતા બી.આર. પાટીલે કોંગ્રેસ સરકારનો ઉધડો લેતાં જણાવ્યું કે, “જો સરકાર ઉદ્યોગોની માંગણીઓ પર વિચાર નહીં કરે તો એકાદ-બે વર્ષમાં કર્ણાટકમાંથી ઉદ્યોગો પડોશી રાજ્યમાં પલાયન કરશે.”

    એક અહેવાલ મુજબ, કર્ણાટકના બેંગલોરમાં લોકો વીજળીના ભાવ વધવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોની ફરિયાદ છે કે તેમના બિલમાં 50 ટકાનો વધારો થયો છે, તો કેટલાકે જણાવ્યું છે કે તેમનું બિલ પહેલાં કરતાં બમણું આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં