કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો (Pahalgam Terror Attack) થયા બાદ ભારતીય સેનાએ પ્રતિશોધની જ્વાળામાં ઑપરેશન સિંદૂર લૉન્ચ (Operation Sindoor) કર્યું હતું અને અનેક આતંકી ઠેકાણાં ધ્વસ્ત કરી નાખ્યા હતા. ઑપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી. જોકે, આ ઑપરેશનમાં માત્ર ઇન્ડિયન આર્મી જ નહીં, પરંતુ વાયુસેના અને ભારતીય નૌકાદળ (Indian Navy) પણ સક્રિયપણે સામેલ હતા. ભારતીય નેવીની આ ઑપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા હતી. નેવીએ તો પાકિસ્તાનના (Pakistan) કરાચી (Karachi) પોર્ટને તબાહ કરી નાખવાની તૈયારી કરી લીધી હતી.
જોકે, ભયભીત પાકિસ્તાને યુદ્ધવિરામની પહેલ કરીને ભારત સાથે વાટાઘાટો ચાલુ કરી દીધી હતી અને પરિણામે યુદ્ધવિરામ લાગુ પણ થયો હતો. ત્યારબાદ નૌકાદળ, સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. જેમાં ડાયરેક્ટર જનરલ ઑફ નેવલ ઑપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે, ભારતીય નેવી પાકિસ્તાન પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. કરાચી બંદર સહિતના સ્થળો પર હુમલો કરવા માટે ફક્ત આદેશની રાહ જોવાઈ રહી હતી.
Watch LIVE:
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 11, 2025
Media Briefing on #OpSINDOOR by DGMO & senior officers from the Indian Navy and Indian Air Force at National Media Centre. https://t.co/iK4Smpx2A5
વાઇસ એડમિરલે કહ્યું કે, “ઑપરેશન સિંદૂર શરૂ થતાં જ નૌકાદળ તેની સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે અરબી સમુદ્રમાં તહેનાત થઈ હતી. અમે અરબી સમુદ્રને બ્લોક કરી દીધો હતો. અમે કરાચી બંદર સહિત સમુદ્ર અને જમીન પર નક્કી કરાયેલા સમય પર હુમલો કરવા માટે ટાર્ગેટ પણ સાધી લીધો હતો. રાહ હતી માત્ર આદેશની.”
તેમણે વધુમાં કહ્યું કે, “આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર જ નૌકાદળે તેના શસ્ત્રો, યુદ્ધ જહાજો અને અન્ય તૈયારીઓનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે જ સેના કાર્યવાહી માટે પણ તહેનાત થઈ ગઈ હતી, જેથી સમયસર લક્ષ્યો પર નિશાન સાધીને દુશ્મનને પાઠ ભણાવી શકાય.” આ સાથે જ અરબી સમુદ્રમાંથી આતંકી રાષ્ટ્ર તરફથી થતી હિલચાલ પણ જોવામાં આવી રહી હતી.
અરબ સાગરમાં પાકિસ્તાનું દબાવી દીધું હતું ગળું
નોંધનીય છે કે, ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 7 મેના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) 9 આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યો હતો. જેમાં લશ્કર-એ-તૈયબા અને હિઝબુલના લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે જ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના એક ડઝનથી વધુ લોકોનો પણ સફાયો કરી દેવામાં આવ્યો હતો.
વાઇસ એડમિરલ એએન પ્રમોદે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય નેવીએ પાકિસ્તાનની એરિયલ યુનિટ અને નેવીને બંદરો પર એવી રીતે રોકી રાખી હતી કે તે તેની જગ્યા પરથી સહેજ પણ ખસી ન શકી. તેઓ બંદરો પર ખૂબ નજીક હતા. આ કારણે અમે તેમના પર સતત નજર રાખી હતી, જેથી જ્યારે અમને આદેશ મળે ત્યારે અમે તેના પર કાર્યવાહી કરી શકીએ.”
ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોથી અનેક ભારતીય શહેરો પર હુમલો કર્યો, પરંતુ ભારતે બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. જોકે, શુક્રવારની રાત્રે પાકિસ્તાને સૌથી મોટી ભૂલ કરીને દિલ્હી તરફ મિસાઈલ છોડી મૂકી હતી. હરિયાણાના સિરસામાં જ ભારતે મિસાઈલ તોડી પાડી હતી, પરંતુ ત્યારપછી ભારતે સુપર સોનિક બ્રહ્મોસ મિસાઈલથી પાકિસ્તાનના 10 એરબેઝ તબાહ કરી નાખ્યા હતા.