Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાવળા અને ગાંધીધામમાં હિંદુ પૂજા સ્થળો નજીક નોનવેજની લારીઓ પૂરબહારમાં ખીલી; ફરિયાદ...

    બાવળા અને ગાંધીધામમાં હિંદુ પૂજા સ્થળો નજીક નોનવેજની લારીઓ પૂરબહારમાં ખીલી; ફરિયાદ થતાં પગલાં લેવાયા

    બાવળા અને ગાંધીધામના બે અલગ અલગ કિસ્સાઓમાં હિંદુ ધાર્મિક સ્થળો પર જ માસ અને મટન વેંચાતા હિંદુઓની લાગણી દુભાઈ હતી અને ફરિયાદ બાદ સ્થાનિક તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    દેશભરની જેમ ગુજરાતમાં પણ રસ્તા પર ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ તથા લારીઓનો (માંસ-મચ્છી અને ઇંડાની) રાફડો ફાટી નીકળેલો છે. રાજ્યમાં વારંવાર ઠેર ઠેર આ વિષયમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવે છે. આવા બે કિસ્સાઓ કાલે પણ બન્યા હતા. બાવળા અને ગાંધીધામની આવી જ બે ભિન્ન ઘટનાઓમાં ગેરકાયદેસર નોનવેજની લારી દુકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

    બાવળામાં ગેરકાયદેસર નોનવેજનું વેચાણ બંધ કરાવવા આવેદન અપાયું

    બાવળામાં સાણંદ ચોકડીથી માધવ કોમ્પ્લેક્ષની વચ્ચેના જાહેર માર્ગ ઉપર બનાવવામાં આવેલી નોનવેજની હાટડીઓ ગેરકાયદેસર રીતે વેચાણ માટે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બે-રોકટોક ચાલી રહી છે. તેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાતા ત્યાંથી આવતાં-જતાં લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો હતો.

    જેથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદનાં જિલ્લા મંત્રી હિતેશ જાદવે મામલતદારને આ ગેરકાયદેસર હાટડીઓ બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે. તેમણે રજૂઆત કરી છે કે આ દુકાનોમાં સડકની ધાર ઉપર માંસ – મટનનું વેચાણ કરે છે. જેમાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધું હોય તેવુ જણાય આવતું નથી.

    - Advertisement -

    જાદવે પોતાની રજૂઆતમાં જોડ્યુ હતું કે, આવી દુકાનો દ્વારા ફુડ સેફ્ટીની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવતુ નથી. તેમજ માંસ – મટનની દુકાનોમાં કામ કરનારાઓ પાસે સરકારી ડોક્ટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્ર લીધેલું હોય તેવુ જણાય આવતું નથી. માંસની ગુણવત્તા માટે પશુચિકિત્સક પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું હોય છે તેવું પ્રમાણપત્ર લીધું હોય તેવું જણાતું નથી. માંસ-મટનનાં વેચાણ માટે જે છરી વાપરવામાં આવે છે તે ગુણવત્તા સભર જણાતી નથી. કારણ કે માંસ કાપવાનું હથીયાર સ્ટેનલેસ સ્ટીલનું હોવું જોઈએ તે પણ ક્યાંય દેખાતુ નથી.

    રજૂઆત પ્રમાણે તેઓએ માંસનાં કચરાનાં નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી હોય તેવુ જણાતું નથી. તેઓએ ઈન્સ્યુલેટેડ એટલે કે માંસનો જથ્થો ફ્રીજમાં મુકવાનો હોય અને તે ફ્રીજ પણ પારદર્શક હોવું જોઈએ. તેના વગર તેઓ માંસનું વેચાણ બેફામ – બેરોકટોક કરે છે. આવા તાપમાનમાં ખુલ્લું માંસ વેચાણ કરવું તે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે. માટે માંસ – મટન વેચાણની ગાઈડ લાઈનનું કયાંય પાલન થતું નથી. જાદવે માંગણી કરી કે આવી હાટડીઓ તાત્કાલીક અસરથી હટવી જરૂરી છે.

    આ સ્થળની નજીકમાં જ જલારામ મંદિર તેમજ ત્રિ-મંદિર જેવા ધાર્મીક સ્થળો આવેલા છે.અને આવા જાહેર માર્ગ ઉપર સરકારી જગ્યામાં માંસ – મટન ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય તો આ તત્વોની કેટલી તાકાત હશે તે પણ નક્કી કરવું અઘરૂં છે. તો આવી જગ્યામાંથી તેઓને તાત્કાલીક અસરથી હટાવવા માટે તંત્ર સજાગ અને જાગૃત બને તેવી લેખીત રજુઆત કરાઈ હતી

    ગાંધીધામમાં ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ પર દબાણની નોટિસ

    ગાંધીધામમાં રાજવી ફાટકથી ગોપાલપુરી જતા માર્ગ પર જીઆઈડીસી વિસ્તારની સામે બનેલા દબાણોને દુર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ હતી. ગાંધીધામ નગરપાલિકા દ્વારા પાણીની લાઈન ઉપર બનેલી પાકા બાંધકામ ધરાવતી 8 દુકાનોને 8 દિવસમાં દબાણને તોડી પાડવા નોટિસ અપાઈ હતી. જેમાં મોટાભાગની ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ છે.

    નોનવેજની હાટડીઓ પર નોટિસ લગાવતા પાલિકાના અધિકારીઓ (ફોટો : દિવ્ય ભાસ્કર)

    સ્થાનિકો અનુસાર આ દબાણ પાણીની લાઈન પર તો છે, તેમજ અહી હિન્દુ ધર્મની આસ્થાનું સ્થાન પણ હોવાથી તેમની લાગણી દુભાતી હોવાની અનેક રજુઆતો વારંવાર કરવામાં આવે છે. નોંધનીય છે કે આ પહેલા પણ આ પ્રકારની નોટિસો આપવામાં આવેલ પરંતુ તે અંતર્ગત કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અગાઉ શહેરના પ્રવેશદ્વાર તેમજ સપનાનગર પાસે પણ દબાણ કરનારાઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં