કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે (2 સપ્ટેમ્બર) એક ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં થોડા ફેરફાર કર્યા હતા. 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ આ નવો આદેશ હવે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર, 2025 તરીકે ઓળખાશે. આ આદેશમાં મૂળ કાયદામાં કોને છૂટછાટ આપવામાં આવશે તે જણાવવામાં આવ્યું છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં પ્રવેશ કરવા, રહેવા માટે અને બહાર જવા માટે વેલિડ પાસપોર્ટ, વેલિડ ટ્રાવેલ ડોક્યુમેન્ટ અને વેલિડ વિઝાની જરૂર હોવા મામલેના એક્ટના નિયમો અમુક કિસ્સાઓમાં લાગુ પડશે નહીં. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને પણ સમાવવામાં આવ્યા છે.

ઓર્ડર કહે છે કે, આ ત્રણ પાડોશી ઇસ્લામી દેશોમાંથી ધાર્મિક પ્રતાડનાના કારણે શરણ લેવા માટે આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ફોરેનર્સ-ઇમિગ્રેશનના કાયદાના નિયમોમાંથી છૂટ મળશે. આ માટે કટ ઑફ ડેટ છે 31 ડિસેમ્બર, 2024. એટલે કે આ તારીખ પહેલાં ભારત આવેલા લોકો માન્ય દસ્તાવેજો વગર પણ રહી શકશે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદામાં (CAA) જોગવાઈ એવી છે કે 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાડોશી દેશોમાંથી ધાર્મિક પ્રતાડના ભોગવીને આવેલા લઘુમતીઓને નાગરિકતા પ્રદાન કરવામાં આવે. હવે આ નવા નિયમમાં ડિસેમ્બર 2024 સુધીમાં ભારત આવેલા આવા પાડોશી દેશોના લઘુમતીઓને સમાવી લેવામાં આવ્યા છે. જેથી તેમને ડિપોર્ટ કરી શકાશે નહીં.
નિયમોમાં અન્ય પણ અમુક લોકોને છૂટ આપવામાં આવી છે. જેમકે સેના, નૌસેના અને વાયુસેનાના સભ્યો ભારત છોડે કે પ્રવેશ કરે, તેઓ ફરજ પર હોય ત્યારે સરકારી ટ્રાન્સપોર્ટમાં તેમના પરિજનો પણ મુસાફરી કરતા હોય તો તેમના માટે પણ નિયમમાં છૂટ મળશે. ઉપરાંત, નેપાળ અને ભૂતાનના નાગરિકોને પણ ભારતમાં વિઝાની જરૂર નથી. આ સિવાય નિયમોમાં તિબેટિયનોને પણ છૂટ આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટના ખંડ ત્રણના પેટાવિભાગ (1), (2) અને (3) (જેમાં ભારતમાં પ્રવેશ માટે માન્ય વિઝા, ડોક્યુમેન્ટ, પાસપોર્ટ જરૂરી છે) રજિસ્ટર્ડ શ્રીલંકન તમિલ નાગરિકોને લાગુ નહીં પડે, જેમણે 9 જાન્યુઆરી, 2015 પહેલાં ભારતમાં શરણ લીધું છે. ઉપરાંત, ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતી વિદેશી વ્યક્તિને પણ વિઝાની જરૂરમાંથી બાકાત રાખવામાં આવી છે, એ કિસ્સામાં જ્યારે જે-તે દેશની સરકાર સાથે કરાર હોય. અન્ય દેશોના સૈન્ય કર્મચારીઓ જે વિદેશી નૌસેના જહાજોમાં ભારતમાં મલ્ટીલેટરલ એક્સરસાઇઝ માટે આવતા હોય, શુભેચ્છા મુલાકાત માટે આવતા હોય કે કુદરતી આફત દરમિયાન મદદ માટે આવ્યા હોય તેમને પણ વિઝાની જરૂરમાંથી મુક્તિ આપવામાં આવી છે.


