Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતતિલક નહીં હોય તો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં નહીં મળે પ્રવેશ: વડોદરાના ગરબા...

    તિલક નહીં હોય તો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં નહીં મળે પ્રવેશ: વડોદરાના ગરબા ક્લબનો મહત્વપૂર્ણ નિર્ણય, અન્ય શહેરોમાં પણ તૈયારી શરૂ

    ગત વર્ષે નવરાત્રી મહોત્સવમાં ગરબા આયોજન દરમિયાન ઘણી જગ્યાએ મુસ્લિમ યુવાનો ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કેટલીક જગ્યાએ ફરજિયાત તિલક લગાવીને આવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    ગુજરાતમાં નવરાત્રીનું આગવું મહત્વ જોવા મળે છે. અનેક સ્થળોએ નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનું આયોજન પણ થતું હોય છે. ત્યારે હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યભરમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા ગરબા આયોજકોએ નવરાત્રીની તૈયારીઓ આદરી લીધી છે. આ વચ્ચે વડોદરામાં પણ નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. તેવામાં વડોદરાના ડભોઈ ખાતે યોજાનાર નવરાત્રીમાં સંચાલકોએ દાખલો બેસે તેવો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુરૂપ ગરબા રમવા આવતા ખેલૈયાઓએ લલાટ પર તિલક ફરજિયાત કરવાનું રહેશે.

    વડોદરામાં આવેલા ડભોઈ વિસ્તારમાં મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આયોજકોએ એક નિર્ણય કર્યો છે અને સ્પષ્ટ કહી દીધું છે કે, નવરાત્રી દરમિયાન ગરબામાં આવતા તમામ ખેલૈયાઓએ લલાટ પર ફરજિયાત તિલક કરવાનું રહેશે. હિંદુ સિવાયના કોઈપણ વ્યક્તિને આ ગરબા મહોત્સવમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે તિલક સનાતન ધર્મનું મહત્વનું પ્રતિક અને રિવાજ છે. જ્યારે ઈસ્લામમાં તિલકને હરામ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રી મહોત્સવમાં હિંદુ સિવાયના લોકોને ન પ્રવેશવા દેવાની માંગ કરવામાં આવતી હતી. ત્યારે દર્ભાવતી ગરબા મહોત્સના આયોજકોએ મહત્વનો નિર્ણય લઈને દાખલો બેસાડયો છે.

    મા ગઢભવાની કલ્ચરલ ગ્રુપના પ્રમુખ અને ડભોઈ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂની પરંપરા મુજબ હિંદુ સંસ્કૃતિમાં તિલક કરવાનું અનેરૂ મહત્વ છે. ભગવાનની ભક્તિ હોય કે કોઈ દેવી દેવતાનો હોમ કે યજ્ઞ હોય તેમાં તિલક કરવું ફરજિયાત છે. નવરાત્રી પણ મા જગદંબાનો યજ્ઞ છે, તેથી ગરબા ખેલનાર યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસ ચણિયાચોળી અને યુવકોએ જબ્બો તેમજ ફરજિયાત તિલક કરીને આવવાનો આગ્રહ રાખવો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવરાત્રી મહોત્સવમાં ગરબા આયોજન દરમિયાન ઘણી જગ્યાએ મુસ્લિમ યુવાનો ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કેટલીક જગ્યાએ ફરજિયાત તિલક લગાવીને આવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં પણ તૈયારીઓ શરૂ

    અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રીને હવે 10 દિવસ બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. જેમાં 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરને મંજૂરી નહીં હોય. તથા ગરબા સ્થળેથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવી વગેરે જેવી 12 ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. સાથે જ ગરબા આયોજકો દ્વારા એમ્બ્યુલન્સ અને ડૉક્ટર-નર્સના સ્ટાફને ગ્રાઉન્ડમાં ખડે પગે રખાશે.

    આ ઉપરાંત રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા પણ રાજકોટ શહેર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં 49 જેટલા સ્થળોએ સાર્વજનિક નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ તમામ સ્થળો પર ખાસ 108 એમ્બ્યુલન્સનું વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં હાલમાં જ એક કેથ લેબને પણ કાર્યરત કરવામાં આવી છે. જેના લીધે હાર્ટનો પ્રોબ્લેમ ધરાવતા અનેક દર્દીઓને રાહત મળી શકશે. આ સિવાય સરકારી તબીબોની સાથે જરૂર પડ્યે ખાનગી તબીબોની ટીમને પણ સ્થળ પર તૈનાત રાખવાનો નિર્ણય કરાયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં