Tuesday, May 21, 2024
More
    હોમપેજદેશમતદાનના આંકડાને લઈને આરોપો લગાવી રહ્યા હતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, ચૂંટણી પંચે...

    મતદાનના આંકડાને લઈને આરોપો લગાવી રહ્યા હતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, ચૂંટણી પંચે ફટકાર લગાવી, કહ્યું- આરોપોમાં કોઇ તથ્ય નહીં, માત્ર મૂંઝવણ પેદા કરવાનો પ્રયાસ

    ઈલેક્શન કમિશને ખડગેએ INDI ગઠબંધનના નેતાઓને લખેલા પત્રનું સંજ્ઞાન લીધું અને જણાવ્યું કે આરોપોમાં તથ્ય નથી. કમિશને ખડગેના તર્કોને સ્પષ્ટ રીતે ફગાવી દઈને તેમના આક્ષેપોને ભ્રમ પેદા કરનારા ગણાવ્યા.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો સતત ચૂંટણી પંચ પર નિતનવા આરોપો લગાવતા રહ્યા છે. દરેક રાજકીય પક્ષોને સરખું મહત્વ અપાય છે અને દરેકને સમાન તકો મળે છે તેમ છતાં કોઇને કોઇ વાતે ચૂંટણી પંચ પર આરોપો લગાવવામાં આવતા રહ્યા છે. ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDI ગઠબંધનના નેતાઓને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે મતદાનના આંકડા જાહેર કરવામાં વિલંબ થતો હોવાનું કહીને સવાલો ઉઠાવ્યા હતા. હવે ચૂંટણી પંચે તેમને ફટકાર લગાવી છે. 

    ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે વૉટર ટર્નઆઉટ ડેટા જાહેર કરવાને લઈને પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને તેનાથી ચૂંટણીને અસર થઈ શકે છે અને મતદારોમાં ખોટો સંદેશ જઈ શકે છે. ઉપરાંત, મતદારો ઉપર તેની નકારાત્મક અસર પણ થઈ શકે તેમ પણ જણાવવામાં આવ્યું. 

    ઈલેક્શન કમિશને ખડગેએ INDI ગઠબંધનના નેતાઓને લખેલા પત્રનું સંજ્ઞાન લીધું અને જણાવ્યું કે આરોપોમાં તથ્ય નથી. કમિશને ખડગેના તર્કોને સ્પષ્ટ રીતે ફગાવી દઈને તેમના આક્ષેપોને ભ્રમ પેદા કરનારા ગણાવ્યા. આયોગ તરફથી જણાવવામાં આવ્યું કે મતદાનના આંકડાઓ મેળવવામાં અને જાહેર કરવામાં ક્યાંય પણ કોઈ પણ રીતે ચૂક જોવા મળી નથી કે ન કોઈ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 

    - Advertisement -

    મતદાનના આંકડાઓ જાહેર કરવામાં કોઇ વિલંબ થતો હોવાની વાતોને ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે નકારી દીધી હતી અને જણાવ્યું કે, જે અપડેટેડ ટર્નઆઉટ ડેટા હોય તે કાયમ ચૂંટણીના દિવસે જે આંકડા આવ્યા હોય તેના કરતાં વધુ જ હોય છે. તેના માટે કમિશને 2019ની લોકસભા ચૂંટણી બાદથી અત્યાર સુધીનાં અમુક તથ્યો પણ રજૂ કર્યાં છે. 

    કમિશને જણાવ્યું કે, 2019માં બીજા તબક્કામાં 18 એપ્રિલના રોજ મતદાનની ટકાવારી 66% આપવામાં આવી હતી, પણ પાંચ દિવસ પછી અપડેટ થયેલો આંકડો 69.43% આવ્યો. 2021માં કેરળની ચૂંટણીમાં પણ પહેલાં આંકડો 69.95% હતો, જે સમીક્ષા બાદ 76% હોવાનું જાણવા મળ્યું. કમિશને એમ પણ કહ્યું કે આ તમામ આંકડાઓ સાર્વજનિક જ હોય છે. 

    મલ્લિકાર્જુન ખડગે એક પક્ષપાતી વિચારને બળ આપતા હોવાનું જણાવીને કમિશને મતદાન આંકડા જાહેર કરવામાં કોઇ અવ્યવસ્થા સર્જાઇ હોય કે વિલંબ કરવામાં આવ્યો હોય તેવા આરોપો નકારી દીધા હતા. સાથે કહ્યું કે, તેમના આરોપો પાયવગરના, તથ્યથી વેગળા અને માત્ર મૂંઝવણ પેદા કરવા માટેના એક જાણીજોઈને કરવામાં આવતા પ્રયાસોનો ભાગ માત્ર છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં