અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત વક્ફ બોર્ડ (Gujarat Waqf Board) સંચાલિત જમાલપુર (Jamalpur) કાચની મસ્જિદ (Kanch Ki Masjid) ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનારા સલીમ જુમ્માખાન પઠાણ પર હવે સંકટના વાદળો છવાયા છે. સલીમ પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ EDના (Enforcement Directorate) દરોડા (Raid) પડી રહ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, કાચની મસ્જિદમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. વક્ફની આડમાં સલીમ સહિતની ટોળકી વક્ફના ટ્રસ્ટી હોવાનું કહીને દાયકાઓથી આ જગ્યાઓની ગેરકાયદે ઉઘરાણી કરી રહી હતી.
હવે આ કેસમાં EDની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જમાલપુર અને ખેડા સહિતના સ્થળોએ એજન્સીએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. મળતી માહિતી મુજબ, 6 મેના રોજ વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બિલ્ડર્સ અને કન્સ્ટ્રક્શનના નામે વ્યવસાય કરતા ગુનેગાર સલીમ પઠાણના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમાલપુરની કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિતની જગ્યાઓ પર સર્ચ ઑપરેશન હાથ ધરાયા છે.
સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. વક્ફે આ જમીન AMCને ઉર્દૂ શાળાઓ બનાવવા માટે આપી હતી, પરંતુ શાળાઓ જર્જરિત થતાં સલીમે તેને તોડાવીને બીજી શાળાઓ બનાવવાની જગ્યાએ દુકાનો ઊભી કરી હતી અને દાયકાઓ સુધી તેનું ભાડું ઉઘરાવ્યું હતું. સલીમની ટોળકી પોતાને વક્ફ બોર્ડના ટ્રસ્ટીઓ ગણાવતી હતી. આ મામલે વક્ફ બોર્ડ પણ શંકાના દાયરામાં છે.
આ કેસ સામે આવ્યા બાદ ઑપઇન્ડિયાએ સમગ્ર ઘટના પર પીડિત વ્યક્તિ સાથે વાત કરીને વિગતે ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને વક્ફ બોર્ડના અધ્યક્ષ સાથે વાત કરવાના પ્રયાસ પણ કર્યા હતા. પીડિત ફરિયાદીએ ઑપઇન્ડિયાને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે વક્ફ બોર્ડમાં ગેરકાયદે ઉઘરાણી મામલે ફરિયાદ કરી હતી, પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી. જેના કારણે તેમણે વક્ફ બોર્ડની સંડોવણી હોવાના આરોપ પણ લગાવ્યા હતા.
સ્થાનિક પોલીસના બંદોબસ્ત વચ્ચે એજન્સીની કાર્યવાહી
આ સમગ્ર મામલે ઈ-ડિવિઝન ACP વાણી દૂધાતે જણાવ્યું હતું કે, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા સલીમ જુમ્માખાન પઠાણની સાથે સંકળાયેલા તમામ લોકોને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સલીમ કાચની મસ્જિદની જમીન પર ગેરકાયદે દુકાનો બનાવીને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું, જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ સમગ્ર કેસની વિગતો માટે ઑપઇન્ડિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે. આ કેસમાં વક્ફની તે જમીન પર દુકાનોની સાથે સ્થાનિક મકાનો પાસેથી પણ ભાડા ઉઘરવવામાં આવતા હતા. મકાન દીઠ 7થી 8 હજારનું ભાડું લેવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સલીમ પઠાણ સહિતના લોકોની ધરપકડ પણ કરી છે અને કાર્યવાહી પણ આગળ વધી રહી છે.