અમદાવાદમાં (Ahmedabad) એક એવી ઘટના બની કે, વક્ફ બોર્ડની (Waqf Board) કરોડોની જમીન પર અચાનક પાંચ જણા ઊઠીને ગેરકાયદે દુકાનો બનાવી નાખે છે અને પોતે વક્ફના ટ્રસ્ટી હોવાનો દાવો કરીને દુકાનોને ભાડા પર આપીને બે દાયકા સુધી ભાડું વસૂલે છે. તે તમામ ભાડું વક્ફ બોર્ડના ખાતામાં જવાના બદલે આ પાંચ લોકોના (કદાચ વધુ પણ હોય શકે!) ખિસ્સામાં જાય છે. માત્ર એક કે બે વર્ષ નહીં, પરંતુ 20 વર્ષથી તેઓ આવી રીતે ગેરકાયદે ભાડું વસૂલી રહ્યા હતા અને આશ્ચર્ય તો એ વાતનો છે કે, વક્ફ બોર્ડને આ સમગ્ર કૌભાંડ વિશે જાણ હતી, કારણ કે ફરિયાદીએ વક્ફ બોર્ડમાં ફરિયાદ કરીને તેમનું ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ.
આ ઘટના અમદાવાદના જમાલપુરની છે. અહીં એક કાચની મસ્જિદ આવેલી છે અને તેની નજીક વક્ફ બોર્ડની કેટલીક જમીન પણ છે. તે જમીન વક્ફ બોર્ડે AMCને આપી હતી. જેના પર કોર્પોરેશને ઉર્દૂ શાળાઓ સ્થાપી હતી. 2001ના ભૂકંપ બાદ આ શાળાઓ જર્જરિત થઈ જતાં તેને તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન સલીમખાન પઠાણ નામના શખ્સે તે જમીન પર શાળાઓ સ્થાપવાની જગ્યાએ 10 દુકાનો ઊભી કરી નાખી હતી અને તેને ભાડા પર આપી દીધી હતી.
વધુમાં વક્ફ બોર્ડની જમીન પર 150 જેટલા મકાનો પણ હતા અને ખાસ વાત તો એ છે કે, સલીમખાન પઠાણ, મહંમદ યાસર શેખ, મહમુદખાન પઠાણ, ફૈઝ મોહંમદ પીર મહંમદ અને સાહિદ અહેમદ શેખે પોતે વક્ફ બોર્ડમાં ટ્રસ્ટીઓ હોવાનું કહીને 20 વર્ષ સુધી આ મકાનો અને દુકાનોમાંથી ભાડું ઉઘરાવ્યું હતું અને બોર્ડમાં એક પણ રૂપિયો જમા કરાવ્યો નહોતો. બાદમાં જમાલપુરના રિક્ષાચાલક મોહંમદ રફીક અંસારીએ પોલીસ ફરિયાદ કરતા તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ટ્રસ્ટી હતા જ નહીં, તેમ છતાં ભાડું ઉઘરાવતા હતા. FIRની નકલ પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
એક-બે નહીં, 20 વર્ષથી થતું હતું કૌભાંડ અને વક્ફ બોર્ડને પણ હતી જાણ!- ફરિયાદી મોહંમદ રફીક અંસારી
વક્ફની જમીનોનું સંરક્ષણ, તેની જમીન પર બનેલી મિલકતોનું નિયંત્રણ અને દેખરેખ પણ વક્ફ બોર્ડના સભ્યો અને મોટા-મોટા અધિકારીઓની જવાબદારી હોય છે. તેવામાં પ્રશ્ન એ થઈ રહ્યા છે કે, વક્ફની આટલી વિશાળ જમીન પર ગેરકાયદે દુકાનો ઊભી થઈ ગઈ અને આખા વિસ્તારમાંથી કોઈ 5 ઠગો આવીને ભાડા ઉઘરાવવા લાગ્યા, પોતાને વક્ફ બોર્ડના ટ્રસ્ટીઓ ગણવવા લાગ્યા. આટઆટલી ઘટનાઓ ઘટી ગઈ અને વક્ફ બોર્ડને પણ આ કૌભાંડ વિશે જાણ હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? શું તેમાં વક્ફ બોર્ડના મોટા-મોટા ઠેકેદારોના નામ પણ સંડોવાયેલા હતા?
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પોલીસ ફરિયાદ કરનાર મોહંમદ રફીક અંસારીએ જણાવ્યું હતું કે, તેમને જ્યારે જાણ થઈ કે સલીમખાન સહિતની ટોળકી ટ્રસ્ટી નથી તો તેમણે તરત જ વક્ફ બોર્ડનો સંપર્ક કર્યો હતો અને ગાંધીનગર જઈને ફરિયાદ પણ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, તેમણે વક્ફ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ મોહસીન લોખંડવાલાને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વક્ફની જમીન પર ગેરકાયદે કબજો કર્યો હોવાની ફરિયાદ બાદ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ફરિયાદીએ એવું પણ કહ્યું છે કે, આવું ત્યારે જ થઈ શકે જ્યારે અંદરના કેટલાક સભ્યો પણ તેમાં જોડાયેલા હોય. અહીં ફરિયાદીની શંકા પણ વ્યાજબી છે. પોલીસે તે દિશામાં પણ તપાસ કરવી રહી કે, વક્ફ બોર્ડને આ ઘટના વિશેની જાણ હતી, છતાં કાર્યવાહી કેમ ન થઈ. વધુમાં વક્ફ બોર્ડના જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ તપાસ બેસાડવી જોઈને, જેથી કરીને ગરીબ મુસ્લિમોને ન્યાય મળી શકે. બે દાયકા સુધી ભાડાની બધી સંપત્તિઓ કોઈ અજાણ્યા માણસના ખિસ્સામાં જઈ રહી હતી અને વક્ફ બોર્ડને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નહોતી તે ગંભીર બાબત ગણાય છે. તેથી પૂરતી તપાસ બાદ જ આ ઘટનાને લઈને કોઈક ચોક્કસ તારણ નીકળી શકે એમ છે.
‘હું પ્રશંસા કરું છું ભાજપ સરકારની’- ફરિયાદી
ફરિયાદીએ ઑપઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવા વક્ફ કાયદાના કારણે હવે સલીમખાન પઠાણ જેવા લોકો વક્ફની જમીનો પર કબજો નહીં કરી શકે અને વક્ફ બોર્ડ પણ આંખ આડા કાન નહીં કરી શકે. તેમણે કહ્યું કે, “ગાંધીનગર જઈને ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેમણે કશું નહોતું કર્યું. હવે નવા કાયદા આવશે તો કોઈપણ વ્યક્તિ વક્ફની જમીનો પર એકહથ્થો કજબો નહીં કરી શકે. હું આ કાયદા માટે ભાજપ સરકારની ખૂબ પ્રશંસા કરું છું.”
વધુમાં ફરિયાદીને શંકા એવી પણ છે કે, સલીમખાન પઠાણની સાથે વક્ફ બોર્ડના કેટલાક બની બેઠેલા ઠેકેદારો પણ આ કૌભાંડમાં સામેલ હશે. તેથી જ વક્ફ બોર્ડને ફરિયાદ કર્યા બાદ પણ તેમણે કાર્યવાહી નહોતી કરી. ત્યારબાદ તેમણે અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને અમદાવાદ પોલીસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “પોલીસ અધિકારી ગોસાઈ સાહેબે અને અમદાવાદ પોલીસે તેમની ખૂબ મદદ કરી છે અને આવા ઠેકેદારો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે.”
આવા કૌભાંડ થતાં અટકી ન જાય તે માટે જ વક્ફ કાયદાનો થઈ રહ્યો છે વિરોધ
એક તરફ દેશમાં વક્ફ કાયદાને (Waqf Act) લઈને મુસ્લિમોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે અને રસ્તા પર ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અમદાવાદમાં કરોડોની સંપત્તિનો કૌભાંડ સામે આવ્યો છે. મુસ્લિમોના બની બેઠેલા આવા ઠેકેદારો જ વક્ફ કાયદાને લઈને સામાન્ય મુસ્લિમોને ઉશ્કેરી રહ્યા છે અને રસ્તા પર ઉતારી રહ્યા છે. કારણ કે, જો નવા કાયદા લાગુ થઈ ગયા તો આવી મલાઈ ખાવા નહીં મળે અને કરોડોની રકમ પોતાના ખિસ્સામાં આવતી બંધ થઈ જશે. જો નવા વક્ફ કાયદા (સુધારો) લાગુ થઈ ગયા હોત તો આ કૌભાંડ ઘણા સમય પહેલાં જ બહાર આવી ગયો હોત.
આ સાથે જ સુધારો લાગુ થઈ ગયો હોત તો આ બની બેઠેલા મુસ્લિમોના ઠેકેદારોની દુકાનો બંધ થઈ ગઈ હોત અને કરોડોની ગેરકાયદે આવક પર રોક લાગી ગઈ હોત. એટલે જ તો તેઓ આ નવા કાયદાને લઈને રઘવાયા થયા છે અને તેને મુસ્લિમો સામેના અત્યાચારનું સાધન ગણાવી રહ્યા છે. પરંતુ, કાયદાનો વાસ્તવિક હેતુ એ છે કે, વક્ફની જમીનોનો યોગ્ય ઉપયોગ થાય અને તેનો સીધો લાભ ગરીબ વર્ગના મુસ્લિમોને મળે, નહીં કે આવા બની બેઠેલા 5 કે 6 સભ્યોને.
જો નવો કાયદો લાગુ થયો હોત તો સપત્તિઓના સરવે અને રજિસ્ટ્રારમાં પણ બદલાવ આવ્યા હોત, સ્ટેટ અને સેન્ટ્રલ કાઉન્સિલની રચનામાં પણ પરિવર્તન આવ્યું હોત, પછાત વર્ગના મુસ્લિમો અને મહિલાઓને પણ કાઉન્સિલમાં સભ્યપદ મળ્યા હોત અને વક્ફની પ્રક્રિયા અને જમીન નિયંત્રણથી લઈને તેની દેખરેખ અને વક્ફ ટ્રિબ્યુનલમાં પણ બદલાવ આવ્યો હોત. જો આવું થયું હોત તો આવા કૌભાંડ બંધ થઈ ગયા હોત અને વક્ફ બોર્ડના નામે ગરીબ મુસ્લિમો સાથે અન્યાય ન થયો હોત. માત્ર 5-7 સત્તાધીશો જ વક્ફ સંપત્તિઓને ઉપયોગ કરતા બંધ થયા હોત અને મોટી મુસ્લિમ આબાદીને તેનો સીધો લાભ મળ્યો હોત.
કાયદાના અમલીકરણ બાદ જેને ગેરકાયદે સંપત્તિઓ મળી રહી હતી તે બંધ થઈ જાત. તેથી જ તો આજે વક્ફ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. જેથી કરીને બે હાથે વક્ફની સંપત્તિઓને લૂંટી શકાય અને કૌભાંડ આચરીને પોતાના ખિસ્સા ભરી શકાય. વાસ્તવિકતા એ છે કે, આવા લોકોને નવા વક્ફ કાયદાથી એટલા માટે વાંધો છે કે, આવી મલાઈ ખાવાની બંધ થઈ જશે. તેમને ન તો ગરીબ મુસ્લિમોને પડી છે અને ન તો તેમના મજહબની સંપત્તિઓની. તેમને ફિકર માત્ર એટલી છે કે, જો કાયદો લાગુ થઈ ગયો તો તેમની દુકાનો બંધ થઈ જશે.
અમદાવાદની આ ઘટનાનો નિષ્કર્ષ એ નીકળે કે આવી તો ઘણી સંપત્તિઓ હશે, જ્યાં માત્ર બની બેઠેલા 5-7 વ્યક્તિઓ જ વક્ફની જમીનો પર રાજ કરતા હશે અને સંપત્તિઓ પોતાના ખિસ્સામાં નાખતા હશે. ગરીબ મુસ્લિમો સાથે થતાં આ જ અન્યાયને ડામવા માટે સરકાર વક્ફ કાયદાનું સંશોધન લાવી છે, પરંતુ હવે મલાઈ ખાનારી આ જ જમાત તેમના જ લોકોને તેની વિરુદ્ધ ભડકાવી રહી છે. વાસ્તવિકતા એ છે કે, કાયદો લાગુ થયા બાદ આવા વક્ફના નામે ચરી ખાનારાઓના ધંધા બંધ થઈ જશે.