Thursday, January 9, 2025
More
    હોમપેજદેશજે ફાતિમા શેખને ગણાવાય છે દેશની પહેલી મુસ્લિમ શિક્ષિકા, તેના વિશે લેખક...

    જે ફાતિમા શેખને ગણાવાય છે દેશની પહેલી મુસ્લિમ શિક્ષિકા, તેના વિશે લેખક દિલીપ મંડલે કહ્યું- વાસ્તવમાં આવું કોઈ પાત્ર જ નથી, મેં હવામાંથી સર્જી નાખ્યું હતું

    મંડલ કહે છે કે, “જેમને આ સમીકરણ જોઈતું હતું તેમણે આગની જેમ વાત ફેલાવી દીધી. તમે સમજી શકો કે સાવિત્રીબાઈ ફૂલે સાથે ફાતિમા શેખ નામક કાલ્પનિક ચરિત્ર જોડવામાં કોનો ફાયદો છે.” 

    - Advertisement -

    ગુરુવારે (9 જાન્યુઆરી) લેખક-એક્ટિવિસ્ટ દિલીપ મંડલે એક એવો દાવો કર્યો, જેનાથી નવી જ ચર્ચાઓ વેગ પકડ્યો છે. મંડલનું કહેવું છે કે ફાતિમા શેખ, જેને ભારતની પહેલી મુસ્લિમ શિક્ષિકા ગણાવવામાં આવે છે, તેનું કોઈ અસ્તિત્વ જ નથી અને આમ જ નામ ઉભું કરી દેવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ પાત્ર ઇતિહાસમાં હતું જ નહીં અને આ કારનામું તેમણે પોતે કર્યું હતું. 

    દિલીપ મંડલે એક X પોસ્ટ પર માફી માંગતા કહ્યું કે, “વાસ્તવમાં કોઈ ફાતિમા શેખ ન હતાં. આ કોઈ ઐતિહાસિક ચરિત્ર નથી. મારું જ કારનામું છે. મારો આ ગુનો કે ભૂલ છે કે મેં એક ખાસ સમયે શૂન્યમાંથી એટલે કે હવામાંથી આ નામ ઉપજાવી કાઢ્યું હતું. આના માટે મને દોષ આપો. આંબેડકરવાદી વર્ષોથી આ બાબત માટે મારાથી નારાજ છે.”

    તેઓ આગળ કહે છે કે, “મેં આ શા માટે કર્યું એ મને પૂછશો નહીં. સમય-સમયની વાત છે. એક મૂર્તિ ઘડવાની હતી તો મેં બનાવી નાખી. હજારો લોકો સાક્ષી છે. મોટાભાગના લોકોએ આ નામ પહેલી વખત મળી પાસેથી જ જાણ્યું છે.” તેઓ આગળ કહે છે કે, “હું જાણું છું કે આ બધું કઈ રીતે થાય છે, છબી કઈ રીતે બને છે. હું આ વિદ્યાનો માસ્ટર છું એટલે મારા માટે કઠિન પણ ન હતું. હું મૂર્તિઓ બનાવું છું. મારું કામ છે.”

    - Advertisement -

    તેઓ આગળ કહે છે કે, “ભારતમાં ફાતિમા શેખની પહેલી જયંતી મળી પહેલ પર મનાવવામાં આવી. મેં પહેલી વખત આ નામ લીધું. એક કાલ્પનિક સ્કેચ બનાવવામાં આવ્યો, કારણ કે જૂનો કોઈ ફોટો હતો. નહીં. કિસ્સાઓ મેં જ ઘડી નાખ્યા અને આ રીતે બની ગઈ ફાતિમા શેખ.” આગળ તેઓ કહે છે કે, “વાત ફેલાઈ, કારણ કે ફેલાવવામાં આવી અને આ કામ મેં જ કર્યું.”

    મંડલ કહે છે કે, “જેમને આ સમીકરણ જોઈતું હતું તેમણે આગની જેમ વાત ફેલાવી દીધી. તમે સમજી શકો કે સાવિત્રીબાઈ ફૂલે સાથે ફાતિમા શેખ નામક કાલ્પનિક ચરિત્ર જોડવામાં કોનો ફાયદો છે.” 

    દિલીપ મંડલે હકીકત જણાવતાં કહ્યું કે, “જ્યોતિબા ફૂલે કે સાવિત્રીબાઈ ફૂલેનું આખું લેખન પ્રકાશિત છે. તેમાં ક્યાંય એ નામ નથી કે ફાતિમા શેખ ભણાવતાં હતાં. બાબાસાહેબે પણ આ નામ લીધું ન હતું. જ્યારે જ્યોતિબા ફૂલે બાબાસાહેબના ગુરુ હતા. ઉપરાંત, મહાત્મા ફુલે કે સાવિત્રીબાઈના કોઈ જીવનકારે પણ ફાતિમા શેખ વિશે નથી લખ્યું. મુસ્લિમોને પણ ખબર ન હતી કે કોઈ ફાતિમા શેખ છે. હું શરત લગાવું છું, 2006 પહેલાં કોઈ આ નામનો ઉલ્લેખ બતાવી દે.”

    તેઓ અંતે કહે છે કે, કોઈ મુસ્લિમ સ્કોલરે પણ 15 વર્ષ પહેલાં આ નામનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને બ્રિટિશ દસ્તાવેજોમાં ફૂલે દંપતીનાં કામોનો ઉલ્લેખ છે, પરંતુ ફાતિમા શેખ જેવું કોઈ નામ નથી, કારણ કે તેનું અસ્તિત્વ જ નથી. તેઓ કહે છે કે, ફાતિમા શેખનું નામ સૌથી વધુ તેમણે જ લીધું છે, તેઓ સ્વીકારે છે. પણ એ વાત પણ સાચી છે કે ફાતિમાનું કોઈ અસ્તિત્વ ન હતું. 

    વાસ્તવમાં અત્યાર સુધીમાં દાવો એવો કરવામાં આવતો રહ્યો છે કે સાવિત્રીબાઈ ફૂલે સાથે ફાતિમા શેખ નામની એક મહિલા હતી, જે બાળકોને ભણાવતી હતી અને તેને ભારતની પહેલી મુસ્લિમ શિક્ષિકા તરીકે ઓળખવામાં આવે છે. પણ હવે દિલીપ મંડલનું કહેવું છે કે આવું કોઈ પાત્ર ન હતું અને તેમણે આમ જ હવામાંથી સર્જી નાખ્યું હતું, કારણ કે જે-તે રાજકીય પરિસ્થિતિ માટે તેની જરૂર હતી. 

    જોકે, દિલીપ મંડલના આ દાવા બાદ એક પુસ્તકનો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે, જે 1991માં પ્રકાશિત થઈ હતી, જેમાં ફાતિમા શેખનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે ઈન્ટરનેટ પર આ વાતની ચર્ચા થઈ તો દિલીપ મંડલે ફરી ચોખવટ કરી. 

    મંડલનું કહેવું છે કે, પુસ્તકમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ફાતિમા શેખ ‘ભણાવતાં હતાં’. તેમાં આખું નામ પણ નથી અને શું સહયોગ કરતાં હતાં એ પણ લખવામાં આવ્યું નથી. તેમણે આગળ કહ્યું કે, સાવિત્રીબાઈ ફૂલે તેમના સમયનાં મહાન સમાજ સુધારક હતાં. જ્યોતિબા ફૂલે પણ સમાજ સુધારક સિવાય એક સફળ વયવસાયી પણ હતા. સહયોગી સેંકડો રહ્યા હશે. દોઢસો વર્ષ જૂની જ વાત છે. કોઈ ઠોસ પ્રમાણ રજૂ કરવાં જોઈએ. 

    તેમણે કહ્યું કે, આ વાત અંગ્રેજોના સમયની છે. તેઓ તો રેકોર્ડ રાખતા હતા. જો વાસ્તવિક ચરિત્ર હોત તો નામનો ઉલ્લેખ જોવા મળ્યો જ હોત. 

    જ્યારે તેમને ફરી પડકાર ફેંકવામાં આવ્યો તો કહ્યું કે, જો કોઈ ફાતિમાની જયંતી 2006 પહેલાં મનાવવામાં આવી રહી હોય તેવો કોઈ ઉલ્લેખ કાઢીને આપી દે તો તેઓ માની લેશે કે આ ચરિત્ર તેમણે બનાવ્યું નથી. 

    આ દાવા જો સાચા માની લેવામાં આવે તો એનો અર્થ એ થયો કે દિલીપ મંડલે એકલે હાથે એક પાત્ર ઊભું કરી નાખ્યું અને તેની નોંધ ઇતિહાસમાં પણ કરાવી દીધી. કારણ કે ફાતિમા શેખ પર બહુ લેખો લખાયા છે અને તેમને એક સમાજ સુધારક, શિક્ષિકા અને ખાસ કરીને બાળકીઓનાં શિક્ષણ માટે અવાજ ઉઠાવનારાં પણ ગણાવી દેવામાં આવ્યાં છે. 

    ફાતિમા શેખના નામે એક વિકિપીડિયા પેજ પણ છે. જોકે, વિકિપીડિયાના લેખમાં જે કાંઈ પણ સંદર્ભો આપવામાં આવ્યા છે તે વર્તમાન સમયના છે, એટલે અહીં મંડલનો દાવો સાચો પડે છે. જ્યાં સુધી વાત 1991ના પુસ્તકની છે, તો તેમાં માત્ર એક જ જગ્યાએ ફાતિમાનો ઉલ્લેખ જોવા મળે છે, પણ ક્યાંય તેમના કામ વિશે લખવામાં આવ્યું નથી. જેથી એવું બની શકે કે ફાતિમા નામની કોઈ મહિલા ફૂલે દંપતી સાથે કામ કરતી હશે, પણ તેઓ એક્ટિવિસ્ટ હોય કે ઐતિહાસિક પાત્ર હોય એમ નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં