‘ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ક્ષેત્રમાં ગુજરાત કરશે દેશનું નેતૃત્વ’: પીએમ મોદીએ રાજ્યને ₹18,800 કરોડની ભેટ આપી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે (5 જૂન) ગુજરાતના સુરતની મુલાકાત દરમિયાન ₹18,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ ગુજરાતની તેમની આ પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન તેમણે સુરતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સુરત માત્ર એક શહેર નથી, પરંતુ એક ‘સ્પિરિટ’ છે. તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે સુરત પ્લેગ જેવી મહામારી માટે ઓળખાતું હતું, પરંતુ આજે શહેર સ્વચ્છતાના ક્ષેત્રે દેશ માટે એક મોડેલ બની ગયું છે અને સતત સ્વચ્છતા એવોર્ડ જીતી રહ્યું છે.

સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે છેલ્લા અઢી દાયકાથી ગુજરાતની જનતા ભાજપ પર સતત વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. તાજેતરની ચૂંટણીમાં લોકોએ સમર્થનના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ખાસ ખુશ છે કારણ કે જનતાએ તેમના પોતાના અગાઉના રેકોર્ડ પણ પાછળ છોડી દીધા છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડા પ્રધાને કહ્યું કે દેશ હવે કોંગ્રેસની ‘પરજીવી’ અને અરાજકતા ફેલાવતી રાજનીતિ સ્વીકારવા તૈયાર નથી. તેમના જણાવ્યા અનુસાર કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી અરાજકતામાંથી રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ દેશની જનતા વારંવાર તેને નકારી રહી છે. તેમણે આગળ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસને લોકો હાંસિયામાં ધકેલી ચૂક્યા છે.

કોંગ્રેસશાસિત રાજ્યોનો ઉલ્લેખ કરતા તેમણે હિમાચલ પ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને AAP-શાસિત પંજાબના ઉદાહરણો આપ્યા હતા. PM મોદીએ કહ્યું કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં લોકો કુશાસનથી પરેશાન છે અને અનેક રાજ્યોમાં પક્ષને ચૂંટણીમાં ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

હજીરા વિસ્તારનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે તેને દેશના મહત્વપૂર્ણ મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવનારા લોકો એ જ છે જેમણે વર્ષો સુધી દેશને અન્ય દેશો પર નિર્ભર રાખ્યો હતો. તેમણે એવું પણ કહ્યું કે આત્મનિર્ભરતા વિના કોઈ દેશ લાંબાગાળે પ્રગતિ કરી શકતો નથી.

ઊર્જા ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓની ચર્ચા કરતા વડા પ્રધાને જણાવ્યું કે ભારતની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હવે 250 ગીગાવોટ સુધી પહોંચી છે, જેમાંથી આશરે 50 ગીગાવોટ ઊર્જા એકલા ગુજરાતમાંથી આવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ક્ષેત્રમાં પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરશે.

વૈશ્વિક પરિસ્થિતિ અંગે બોલતાં PM મોદીએ જણાવ્યું કે કોરોના મહામારી અને વિવિધ યુદ્ધો બાદ સમગ્ર વિશ્વ ઊર્જા અને સપ્લાય ચેઇન સંકટનો સામનો કરી રહ્યું છે. આવા સમયમાં ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અત્યંત જરૂરી બની ગઈ છે. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસોથી ભારત દરેક પડકારનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યું છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેમણે ‘કચરેથી કંચન’ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ સુરતને આગામી દાયકાઓ સુધી પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે તાપી બેરેજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.