Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બિલકિસ બાનો કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ રહી છે’: દાહોદના હિંદુ અગ્રણીઓની...

    ‘બિલકિસ બાનો કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ રહી છે’: દાહોદના હિંદુ અગ્રણીઓની ફરિયાદ, આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરી

    રણધીકપુરના મુસ્લિમો દ્વારા હિંદુઓને દબાવવા માટે બિલકિસ બાનો કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી હોવાની ફરિયાદ.

    - Advertisement -

    દાહોદમાં મુસ્લિમો દ્વારા હિંદુઓને બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઈને દાહોદ જિલ્લા હિંદુ યુવા વાહિની અને લીમખેડા હિંદુ સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. 

    દાહોદના લીમખેડા તેમજ સાગવાડા તાલુકાનાં વિવિધ ગામોના લગભગ 250 જેટલા હિંદુ અગ્રણીઓ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને અહીં હિંદુઓને ખોટી રીતે ધમકીઓ આપીને દબાવવા માંગતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. 

    પત્રમાં જણાવવામાં આવ્યું કે, લીમખેડામાં કોમી વાતાવરણ શાંત રહેતું આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં રણધીકપુરના મુસ્લિમો દ્વારા હિંદુઓને દબાવવા માટે બિલકિસ બાનો કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. 

    - Advertisement -

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, મુસ્લિમો હિંદુઓને ‘અમે બિલકિસ બાનો કેસમાં સાક્ષી છીએ’ તેમ કહીને કેસમાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપી રહ્યા છે અને જેના કારણે વિસ્તારનું કોમી વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. ફરિયાદમાં એમ પણ કહેવાયું કે, બિલકિસ બાનો કેસને લીમખેડા તાલુકા સાથે કોઈ લેવાદેવા પણ નથી કે ન તેના કોઈ સાક્ષી અહીં રહે છે, તેમ છતાં આ મુદ્દાનો ઉપયોગ હિંદુઓને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે. 

    આવેદનપત્રમાં હિંદુઓએ આ પ્રકારના તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને હિંદુ સમાજ સામે થઇ રહેલી ખોટી ફરિયાદો અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 

    શું છે બિલકિસ બાનો કેસ? 

    27મી ફેબ્રુઆરી, 2002ના દિવસે ગોધરા રેલવે સ્ટેશન પર ઉભેલી અયોધ્યાથી કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બા મુસ્લિમ ટોળાએ સળગાવી દીધા હતા. જેમાં 59 નિર્દોષોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ રાજ્યમાં કેટલાંક ઠેકાણે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. 

    બિલકિસ બાનોએ આરોપ લગાવ્યો હતો કે રમખાણો બાદ તેઓ ભાગી રહ્યાં હતાં ત્યારે તેમની સાથે ગેંગરેપ થયો હતો અને પરિવારના 7 સભ્યોને મારી નાંખવામાં આવ્યા હતા. દાવા  અનુસાર, બિલકિસ બાનો ત્યારે ગર્ભવતી હતાં. 

    આ કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે 11 વ્યક્તિઓને દોષી ઠેરવ્યા હતા અને જેલની સજા સંભળાવી હતી. તમામે 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ તેમના સારા વ્યવહારને જોઈને ગુજરાત સરકારે ઓગસ્ટ 2022માં તમામને મુક્ત કર્યા હતા. સરકારના આ નિર્ણયને બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેની ઉપર હાલ સુનાવણી ચાલી રહી છે. 

    તે પહેલાં ડિસેમ્બર મહિનામાં બિલકિસ બાનોએ એક અરજી કરીને ગુજરાત સરકારને ગુનેગારોની મુક્તિ પર વિચાર કરવાના આદેશ આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરી હતી,  જેને કોર્ટે ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં