ઉત્તરાખંડના (Uttarakhand) નૈનીતાલમાં (Nainital) એક 11 વર્ષીય હિંદુ સગીરા પર બળાત્કાર (Rape on Hindu Minor Girl) ગુજાર્યાના આરોપસર 65 વર્ષીય ઉસ્માનની (Usman) ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાકટરનું કામ કરતા ઉસ્માન પર સગીરાને લલચાવી-ફોસલાવીને ત્રણ મહિના સુધી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કડક કાર્યવાહીની માંગણી કરવા લાગ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને પોલીસે તતત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરી હતી.
વિગતો અનુસાર, બુધવારે (30 એપ્રિલ) POCSO હેઠળ ઉસ્માનની ધરપકડ થયા બાદ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાત્રિના સમયે આખા નૈનીતાલમાં સ્થિતિ વણસી ગઈ હતી અને પોલીસ પ્રશાસન સક્રિય થઈ ગયું હતું. મસ્જિદની સામે હિંદુઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને નારા પણ લગાવ્યા હતા. તે સિવાય કોન્ટ્રાકટર ઉસ્માનની ઓફિસનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 12 એપ્રિલના રોજ 65 વર્ષીય કોન્ટ્રાકટર ઉસ્માને હિંદુ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પીડિતાએ તેની માતાને ઘટના વિશે જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. POCSO હેઠળ કેસ નોંધાયા બાદ તરત જ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
કોન્ટ્રાકર ઉસ્માનની ઓફિસનો હિંદુઓએ કર્યો ઘેરાવો
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ બુધવારે રાત્રે 9:30 કલાક આસપાસ ઘણા લોકો બજારમાં એકઠા થઈ ગયા હતા. બજારમાં જ આરોપીની ઓફિસ હોવાથી હિંદુ સંગઠનોએ ત્યાં ઘેરાવો કરી લીધો હતો અને પ્રદર્શન શરૂ કરી દીધા હતા. વધુમાં બંને સમુદાય સામસામે આવી જતાં ઘણી દુકાનો અને મકાનોમાં પણ તોડફોડ થઈ હતી. આ ઉપરાંત મારામારીના કિસ્સા પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આક્રોશીત લોકોએ પોલીસ સ્ટેશન અને મસ્જિદની સામે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
SSP પ્રહલાદ મીણાએ જણાવ્યું છે કે, આ કેસને લઈને તપાસ ચાલી રહી છે અને હિંસા આચરનારા આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ નૈનીતાલ સજ્જડ બંધ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પોલીસે તમામ રહેવાસીઓને શાંતિ અને સદભાવ બનાવી રાખવાની અપીલ કરી છે અને ફેક ન્યૂઝથી સતર્ક રહેવા માટેનું પણ કહ્યું છે.
સંવેશનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલા ખડકી દેવામાં આવી છે. SP જગદીશ ચંદ્રે જણાવ્યું છે કે, પોલીસે મસ્જિદ અને બંને સમુદાયના વિસ્તારોમાં પોલીસ કાફલા ખડકી દીધા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. વધુમાં SPએ એવું પણ જણાવ્યું છે કે, આરોપી ઉસ્માને કથિત રીતે સગીરાને પૈસાની લાલચ આપીને કારમાં લઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ સગીરાને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી છે અને આરોપી પોલીસ કસ્ટડીમાં છે.