અમદાવાદમાં (Ahmedabad) બાંગ્લાદેશી ઘૂસણખોરોના (Bangladeshi infiltrators) ગઢ બની ગયેલા ચંડોળા (Chandola) તળાવમાં શરૂ થયેલા ડિમોલિશન અભિયાને (Mega Demolition) આખા દેશનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું હતું. પહલગામ આતંકી હુમલા બાદ અચાનક રાતોરાત અઢળક બુલડોઝર ચંડોળામાં પહોંચી ગયા અને કાર્યવાહી આદરી દીધી એવું નથી. પરંતુ વર્ષોથી ગુજરાત સરકાર અને તેની વિવિધિ એજન્સીઓની સાથે પોલીસ પણ આ કાર્યવાહીની તૈયારી કરી રહી હતી. ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આખરે આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.
ચંડોળામાં થયેલું ઐતિહાસિક ડિમોલિશન ઑપરેશન એક-બે દિવસ કે મહિનાઓમાં પાર નહોતું પડાયું. તેની પાછળ સરકારની એજન્સીઓ વર્ષોથી કામ કરી રહી હતી. સરકારના અધયિકારીઓએ પણ આ દિશામાં વર્ષો પહેલાં ડગ માંડી દીધા હતા. આ તમામ બાબતોમાં સૌથી મહત્વપૂર્ણ બાબત હતી રાજકીય ઈચ્છાશક્તિ. ગુજરાત સરકાર મજબૂતીથી એજન્સીઓની પાછળ ઊભી રહી હતી અને કોઈપણ ભોગે આ કાર્યવાહી પાર પાડવા પ્રતિબદ્ધ હતી.
ચંડોળામાંથી ઝડપાયા ઇસ્લામી આતંકીઓ અને તપાસ બની તેજ
ચંડોળામાં જે ગતિવિધિઓ ચાલી રહી હતી તે સરકારના ધ્યાને પણ હતી. આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ જાણ કરવામાં આવી હતી. અનેક તૈયારીઓ બાદ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધવાને લઈને લીલી ઝંડી પણ આપી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ચંડોળા જેવો સંવેદનશીલ વિસ્તાર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓનો અડ્ડો ન બને તે ધ્યાન રાખવું પણ જરૂરી હતું. જેના પરિણામે ગુજરાત ATSએ લાંબા સમયથી ચંડોળામાં પોતાના સૂત્રો એક્ટિવ કરી દીધા હતા.
આગળ જતાં તે જ સૂત્રોએ એવી જાણકારી આપી હતી જેના કારણે ગુજરાત ATSની સાથે અન્ય એજન્સીઓ પણ સક્રિયપણે આ મિશનમાં સામેલ થઈ હતી. જાણકારી એવી હતી કે, અલ-કાયદાના આતંકીઓ ચંડોળામાં એક્ટિવ થઈ ચૂક્યા છે. ત્યારબાદ રાહ હતી ગુજરાત સરકારની કાર્યવાહીની. યોગ્ય સમય જોઈને ગુજરાત ATSએ ચંડોળા વિસ્તારમાંથી ચાર અલ-કાયદાના આતંકીઓને પકડી પાડ્યા હતા. આ ઘટનાક્રમ આજથી બે વર્ષ પહેલાં એટલે કે મે, 2023માં શરૂ થયો હતો.

આતંકીઓ પકડાયા તો પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે, પૈસાનો હવાલો બાંગ્લાદેશ સુધી ફેલાયેલો હતો. ત્યારબાદ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધાયો અને અન્ય એજન્સીઓ પણ આ કાર્યવાહીમાં જોતરાઈ ગઈ. નોંધનીય છે કે, આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે કામોથી થતી આવક સીધી બાંગ્લાદેશ જઈ રહી હતી. આ ઘટના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ પોતાના સૂત્ર એક્ટિવ કરી દીધા હતા.
સેટેલાઈટ ઇમેજિસ, સરકારી દસ્તાવેજોની તપાસ, ઇન્ટેલિજન્સ ઈનપુટ- સતત આગળ વધતી રહી એજન્સીઓ
ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓએ પોતાના સૂત્રો સક્રિય કર્યા બાદ ધીરે-ધીરે ઘણી અંદરની માહિતીઓ પણ સામે આવવા લાગી હતી. એક તરફ એ સ્પષ્ટ હતું કે, ચંડોળાનો સમગ્ર વિસ્તાર ગેરકાયદેસર વસાહતોથી ભરાયેલો છે અને બીજી તરફ સરકાર વધુ સંવેદનશીલ માહિતી મેળવવા માટે સક્રિય થઈ ગઈ હતી. તેવામાં સરકારી જમીનોના દસ્તાવેજો પણ શોધવામાં આવ્યા અને તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ થઈ ગઈ. સેટેલાઈટ ઇમેજિસથી પણ બાંધકામોની પુષ્ટિ કરવામાં આવી અને સમગ્ર કાર્યવાહી દરમિયાન સતત ઇન્ટેલિજન્સ ઈનપુટ પણ મળી રહ્યા હતા.

સરકારને ધ્યાને આવ્યું હતું કે, છેલ્લા 14 વર્ષોમાં 1.25 લાખ સ્ક્વેર મીટર જમીન પર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હતો અને તેની ઝડપ પણ સતત વધી રહી હતી. તેવામાં આ ગેરકાયદે ધંધા બંધ કરવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકા અને ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટા ડ્રગ્સ અને પ્રોસ્ટિટ્યૂશન રેકેટની પણ ઈનપુટ મળી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, બાંગ્લાદેશમાંથી લાવવામાં આવતી સગીર બાળકીઓને પ્રોસ્ટિટ્યૂટ રેકેટમાં ધકેલવામાં આવી રહી હતી. ત્યારપછી યોગ્ય સમયને જોઈને આખા રેકેટને પકડી પાડવામાં આવ્યું હતું. રેકેટમાં સામેલ લોકોને પણ પકડવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી એજન્સીઓને ખોટા દસ્તાવેજો બનાવી આપનારાઓ સુધી લઈને ગઈ હતી. ધીરે-ધીરે યોજના પ્રમાણે કામ આગળ ચાલી રહ્યું હતું.
સરકાર પાસે પહોંચ્યું એપ્રુવલ, તરત મળી ગઈ લીલી ઝંડી
એજન્સીઓ અને સરકારને ત્યાં સુધી જાણકારી મળી ગઈ હતી કે, બાંગ્લાદેશીઓ હવે સીધા અમદાવાદ આવવા લાગ્યા હતા અને તેમના રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા તો ઠીક પણ તેમના નકલી દસ્તાવેજો પણ અમદાવાદમાં જ બનવા લાગ્યા હતા. ત્યારબાદ નકલી દસ્તાવેજો બનાવી આપનારાઓ પણ એજન્સીઓની રડાર પર આવી ગયા હતા. એક એક કરીને તમામને પકડવા જરૂરી હતા. તૈયારી પણ તેજ બની ગઈ હતી. (હાલ પણ તપાસ ચાલતી હોવાથી ઘણી તપાસ વિશેની માહિતી સામે આવી શકી નથી.)
તમામ સંવેદનશીલ માહિતી અને સૂત્રોની જાણકારી મળ્યા બાદ એજન્સીઓ અને પોલીસ મજબૂત કાર્યવાહી માટે તૈયાર હતી. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સુધી એપ્રુવલ પહોંચી ગયું હતું અને તાત્કાલિક એજન્સીઓને લીલી ઝંડી પણ મળી ગઈ હતી. તેની પાછળ પણ મજબૂત ઈચ્છાશક્તિ જવાબદાર હતી. હવે સમય હતો અંતિમ પ્રહારનો.
DGP અને પોલીસ કમિશનરને ગૃહ રાજ્યમંત્રીનું તેડું અને મોડી રાત્રે શરૂ થયું ઑપરેશન
તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ 25 એપ્રિલની રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ DGP અને પોલીસ કમિશનરને તેડું મોકલ્યું અને મોડી રાત્રે જ ઑપરેશન શરૂ કરી દેવાના આદેશ આપી દીધા. દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર પણ આ મિશન માટે તૈયાર હતા. JCP શરદ સિંઘલને રાતોરાત કાર્યવાહી શરૂ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. DCP અજિત રાજીયનને પણ રજા પરથી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. રાત્રે જ તેઓ ફ્લાઇટ પકડીને પરત આવી ગયા હતા.
સરકારના આદેશ બાદ હવે તમામ એજન્સીઓ પણ તૈયાર હતી અને સમય પણ ખૂબ ઓછો હતો. શનિવારે વહેલી સવારે અચાનક ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસના અન્ય અધિકારીઓ લશ્કર સાથે ચંડોળામાં ઘૂસ્યા અને ઘરમાંથી એક-એક બાંગ્લાદેશી ઘૂસણખોરને વીણીવીણીને ક્રાઇમ બ્રાન્ચ લઈને ગયા. દોરડા બાંધી-બાંધીને એક-એક ઘૂસણખોરને અચાનક ઉઠાવી લેવામાં આવ્યા. હવે તે તમામને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
चंदोला तालाब पर घुसपैठियों के ख़िलाफ़ सबसे बड़ी डिमोलिशन ड्राइव जैसे ही चलनी शुरू हुई तो दोपहर बाद
— Janak Dave (@dave_janak) April 30, 2025
कई बड़े पुलिस अफसरों के मुझे फ़ोन आए.
उन अफसरों के बैचमेट जो दूसरे राज्यो मैं है वो पड़ताल कर रहे थे कि यह कैसे मुमकिन हुआ?
यानी उन अफसरों के राज्यमें भी घुसपैठियों की स्थिति यही… pic.twitter.com/85a8RWuRic
જોકે, મિનિ બાંગ્લાદેશ ગણાતા ચંડોળાના આખા ઇકોસિસ્ટમને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે બે દિવસ પછી એટલે કે સોમવારે અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે 70 બુલડોઝર લઈને ચંડોળા પહોંચી ગયા હતા. ત્યારબાદ વહેલી સવારથી જ ગેરકાયદે મકાનોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી આરંભી દેવાઈ હતી. જોકે, 2010માં પણ તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી શરૂ કરી હતી કે તરત જ ઘૂસણખોરોની ઢાલ બનતા લોકો કોર્ટમાંથી સ્ટે લાવવામાં સફળ થઈ ગયા હતા.
પરંતુ આ વખતે ઑપરેશન એટલું પાકાપાયે શરૂ કરવામાં આવ્યું હતું કે અઢળક બુલડોઝર સાથે ગુજરાત સરકારના અધિકારીઓ ચંડોળામાં ઘૂસી ગયા હતા અને કાર્યવાહી આદરી દીધી હતી. આ વખતે પણ ઘૂસણખોરોની ઢાલ બનનારાઓ હાઇકોર્ટ પહોંચી ગયા હતા, પરંતુ સરકારની સ્પષ્ટ રજૂઆતના પગલે કાર્યવાહીને લીલી ઝંડી મળી ગઈ હતી. હવે સરકારે અમદાવાદમાં બનેલી બાંગ્લાદેશની આખી ઇકોસિસ્ટમને ધ્વસ્ત કરી નાખી છે. ચંડોળાના આખા વિસ્તારને સમતલ કરવામાં આવ્યો છે અને હવે ત્યાં કાંકરિયાની જેમ એક પર્યટન સ્થળ ઊભું કરવાની સરકારની યોજના છે.
મિનિ બાંગ્લાદેશ ગણાતા આ ચંડોળાને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કોઈ રાતોરાત નહોતી થઈ. તેના માટે વર્ષોથી તૈયારી કરવામાં આવી રહી હતી અને યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી હતી. જેવો તે સમય આવ્યો કે આખા દેશમાં ગુજરાત સરકારની કડક કાર્યવાહીના પડઘા પડ્યા. આ ઑપરેશન વિશેની જાણકારી પત્રકાર જનક દવેએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કરી છે. એટલે ‘પહલગામ ઘટના બાદ અચાનક ગુજરાત સરકાર જાગી હોવાની’ રાડારાડ કરતી ગેંગને જાણવું જરૂરી છે કે, આ કોઈ રાતોરાત પાર પાડેલું ઑપરેશન નથી. પરંતુ વર્ષોથી આ કાર્યવાહી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.