Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેનેડામાં 20 દિવસમાં બીજા ગુજરાતી યુવકનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ, ભાવનગરના આયુષનો મૃતદેહ...

    કેનેડામાં 20 દિવસમાં બીજા ગુજરાતી યુવકનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ, ભાવનગરના આયુષનો મૃતદેહ બ્રીજ નીચે મળી આવ્યો; પિતા 13 વર્ષ હતા CM મોદીની સિક્યોરિટીમાં

    કેનેડામાં ઉપરાઉપરી બે આઘાતજનક બનાવોથી ત્યાં વસતા ગુજરાતીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. કેનેડાના એક સંગઠન ‘હ્યુમન ફોર હાર્મની’એ ગુજરાતી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કિલિંગથી સાવધ રહેવા જણાવ્યું છે.

    - Advertisement -

    છેલ્લા ઘણાં સમયથી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. મોટા પ્રમાણમાં ભારતીયો કેનેડાની વાટ પકડી રહ્યા છે અને ત્યાં જ સેટલ થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, 2022માં 2.26 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડા ગયા હતા. આમાં ગુજરાતીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. જોકે, પાછલા દિવસોમાં કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓના મૃત્યુ થયાના અહેવાલો સામે આવતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

    20 દિવસમાં બે ગુજરાતી વિદ્યાર્થીઓના રહસ્યમય મોત, બંને એક જ યુનિવર્સિટીમાં હતા

    કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓના મૃત્યુ અંગે ચોંકાવનારી વાત એ છે કે બંને રહસ્યમય સંજોગોમાં મોતને ભેટ્યા હતા. ગત 18 એપ્રિલે અમદાવાદના 26 વર્ષીય યુવક હર્ષ પટેલના મૃત્યુના અહેવાલો સામે આવ્યા હતા. એના 20 દિવસ બાદ ભાવનગરના 22 વર્ષીય આયુષ ડાંખરાનો મૃતદેહ એક બ્રીજ નીચે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

    આશ્ચર્યજનક બાબત એ છે કે હર્ષ અને આયુષ બંને કેનેડાના ટોરન્ટો (Toronto)ની યૉર્ક યુનિવર્સિટી (York University)માં અભ્યાસ કરતા હતા. હર્ષ મૅનેજમેન્ટ અને આયુષ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો.

    - Advertisement -

    બંને વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ગાયબ થઈ ગયા

    હર્ષ અને આયુષ બંનેના કેસમાં એ વાત સામાન્ય છે કે તેઓ એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને બંનેના મોબાઈલ ફોન ગાયબ થઈ ગયા છે. હર્ષ પટેલનું તો વૉલેટ, ક્રેડિટ કાર્ડ અને પાસપોર્ટ પણ ગાયબ હોવાનું કહેવાય છે. હર્ષ પટેલ અસાઈનમેન્ટના કામે જવાનું કહીને નીકળી ગયો અને પાછો નહોતો ફર્યો.

    તો અન્ય વિદ્યાર્થી આયુષ ડાંખરા ગત 5મેના રોજ ગુમ થઇ ગયો હતો અને બીજા દિવસે તેની લાશ મળી આવી હતી.

    આયુષના પિતા 13 વર્ષ તત્કાલીન CM નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં હતા

    અહેવાલ અનુસાર, આયુષ ડાંખરા મૂળ ભાવનગર પાસેના સિદસર ગામનો વતની છે. ધોરણ-12 બાદ આયુષ વધુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો. છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી. આયુષ 5 મેના રોજ ઘરેથી નીકળ્યો હતો, પરંતુ દોઢ દિવસ સુધી પાછો ન ફરતા તેના મિત્રોએ મિસિંગ રિપોર્ટ લખાવી હતી. કેનેડા પોલીસે તપાસ કરતાં આયુષની ડેડબોડી મળી આવી હતી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

    આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 દરમિયાન તેમની સિક્યોરિટીમાં હતા.

    કેનેડામાં વસતા ગુજરાતીઓમાં ભયનો માહોલ

    કેનેડામાં ઉપરાઉપરી બે આઘાતજનક બનાવોથી ત્યાં વસતા ગુજરાતીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. કેનેડાના એક સંગઠન ‘હ્યુમન ફોર હાર્મની’એ ગુજરાતી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કિલિંગથી સાવધ રહેવા જણાવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદનો પાટીદાર યુવક હર્ષ પટેલ દોઢેક વર્ષ પહેલાં અભ્યાસ માટે કેનેડા ગયો હતો. 14 એપ્રિલ 2023ના રોજ તે મિત્રને અસાઈનમેન્ટના કામે મળવા જાઉં છુ કહીને નીકળ્યો હતો, પછી પાછો ફર્યો નહોતો. ચોંકાવનારી વાત એ છે કે તેનો મૃતદેહ મળ્યા બાદ તેનો ફોન અચાનક જ મંગળવારથી ચાલુ થઇ ગયો હતો. તેમાં મેસજ પણ રીડ થાય છે અને ડેટા પણ વપરાય છે. પરંતુ સામે કોઈ ફોન નથી ઉપાડતું. તેના શંકાસ્પદ મૃત્યુ બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં