Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતજખૌમાં બિપરજોય ટકરાયા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ: 22 લોકો ઈજાગ્રસ્ત, 940 ગામમાં...

    જખૌમાં બિપરજોય ટકરાયા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ: 22 લોકો ઈજાગ્રસ્ત, 940 ગામમાં અંધારપટ, તંત્રની સતર્કતાને કારણે મોટી જાનહાનિ નહીં

    બિપરજોયના જોખમને જોતાં વધુ 23 ટ્રેનો રદ કરવામાં આવી છે અને રેલવે સેવા ફરી શરુ કરવા માટે સમીક્ષા કરવામાં આવશે. જોકે, રાહત અને બચાવની પૂર્વ તૈયારીઓ અને ગુજરાત સરકારની સતર્કતાને પગલે મોટી જાનહાનિ હજુ સુધી સામે નથી આવી.

    - Advertisement -

    કચ્છમાં બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં જ તેની અસર દેખાવાની શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડું ગુરુવારે (15 જૂન, 2023) સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક ટકરાયું હતું, એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી. બિપરજોય વાવાઝોડાંને પગલે ભુજ, ઓખા, પોરબંદર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો.

    બિપરજોય જખૌમાં લેન્ડફોલ થયું એ પહેલાં વાવાઝોડાંએ 10 દિવસ સુધી દરિયો ઘમરોળ્યો હતો. કચ્છના પિંગલેશ્વર કાંઠે 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવનની ગતિ 125 કિમી પ્રતિ કલાક હતી જે વધીને 150 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. શુક્રવાર સાંજ સુધીમાં વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે. બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થવાથી કચ્છમાં ભારે નુકસાનની આશંકા હતી, પરંતુ અહેવાલો મુજબ હાલ જાનમાલનું વ્યાપક નુકસાન થયું નથી.

    વાવાઝોડાંના પગલે કચ્છના વિસ્તારોમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તો ભારે પવન ફૂંકાવાને પગલે અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા અને મકાનના છાપરા ઉડી ગયા હતા. રિલીફ કમિશનર ઓફ ગુજરાત, આલોક પાંડેએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ચક્રવાતના કારણે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 23 પશુઓના મોત થયા છે અને 524 વૃક્ષો ધરાશાયી થયા છે. કેટલાક વિસ્તારોમાં વીજ થાંભલા પડી ગયા હતા અને 940 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

    - Advertisement -

    બિપરજોય વાવાઝોડું આજે 16 જૂનના તીવ્ર બને તેવી સંભાવનાને પગલે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મંદિરો, બાગ-બગીચાઓ વગેરે પણ આજે બંધ રાખવામાં આવશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તીવ્ર પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાને પગલે કચ્છમાં 48,000નું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને રાજ્યમાં કુલ 94,000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    બિપરજોયના જોખમને જોતાં વધુ 23 ટ્રેનો રદ કરવામાં આવી છે અને રેલવે સેવા ફરી શરુ કરવા માટે સમીક્ષા કરવામાં આવશે. જોકે, રાહત અને બચાવની પૂર્વ તૈયારીઓ અને ગુજરાત સરકારની સતર્કતાને પગલે મોટી જાનહાનિ હજુ સુધી સામે નથી આવી. વાવાઝોડું તીવ્ર બન્યા બાદ પણ સંભવિત જોખમો પર સરકાર સતત નજર રાખી રહી છે. હાલ NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં