Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશરદ પવારની પાર્ટી પણ ઉદ્ધવ સેનાના રસ્તે? મહારાષ્ટ્રના 13 NCP વિધાનસભ્યો પક્ષ...

    શરદ પવારની પાર્ટી પણ ઉદ્ધવ સેનાના રસ્તે? મહારાષ્ટ્રના 13 NCP વિધાનસભ્યો પક્ષ બદલવાના મૂડમાં હોવાનું મહા વિકાસ આઘાડીના સૂત્રો કહી રહ્યા છે

    એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિધાનસભ્યોને ખુદ શરદ પવારે મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજી સુધી તેમાં કોઈજ સફળતા મળી નથી.

    - Advertisement -

    મહારાષ્ટ્રનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી હિલોળે ચડ્યું છે. પહેલાં એકનાથ શિંદેએ શિવસેનાના બે ભાગ કર્યા અને પોતાની અલગ પાર્ટી બનાવી ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બની ગયા. હવે સમાચાર આવી રહ્યા છે કે શરદ પવારની NCP પણ તૂટવા તરફ આગળ વધી રહી છે. મહા વિકાસ આઘાડીના સૂત્રોનું માનીએ તો NCPના 13 વિધાનસભ્યો અત્યારે પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે.

    આ સૂત્રો જણાવી રહ્યા છે કે મહા વિકાસ આઘાડીના મહત્વના પક્ષ એવા NCPના 13 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. અત્રે એ નોંધનીય છે કે NCPના સર્વેસર્વા શરદ પવારે અદાણી મામલે રાહુલ ગાંધીના સ્ટેન્ડની ટીકા કરી હતી. જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષના નેતા અજીત પવાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરી ચુક્યા છે.

    જો સમગ્ર NCPનું વલણ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ બદલાઈ રહ્યું હોય તો આ પક્ષના આ 13 વિધાનસભ્યો જ કેમ પક્ષ બદલવાની ઈચ્છા ધરાવે છે તે અંગે હજી સુધી કોઈજ ખુલાસો થયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિધાનસભ્યોને ખુદ શરદ પવારે મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ  હજી સુધી તેમાં કોઈજ સફળતા મળી નથી.

    - Advertisement -

    મહા વિકાસ આઘાડીના સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે આ તમામ વિધાનસભ્યો યોગ્ય સમય આવવાની રાહ જોઈ રહ્યાં છે અને જેવો યોગ્ય સમય આવશે કે તેઓ ભાજપમાં જોડાઈ જશે.

    મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલેકે NCPના 53 વિધાનસભ્યો છે. આથી જો પક્ષ પલટાના કાયદામાંથી બચવું હોય તો NCPના વિદ્રોહી વિધાનસભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 9 હોવી જરૂરી છે, જ્યારે સૂત્રોનું માનીએ તો અત્યારે આ સંખ્યા 13ની છે. આથી જો NCPના તમામ 13 વિદ્રોહી વિધાનસભ્યો એક સાથે ભાજપમાં જોડાઈ જશે તો તેમના પર પક્ષ પલટાનો કાયદો લાગુ પડશે નહીં. જો ઉપરોક્ત પક્ષ પલટો થયો તો ગૃહમાં ભારતીય જનતા પાર્ટીની સંખ્યા જે હાલમાં 105 છે તે વધીને 118 થઇ જશે.

    વિધાનસભામાં એકનાથ શિંદેની શિવસેનાના 40 વિધાનસભ્યો હોવા છતાં તેઓ મુખ્યમંત્રી છે જ્યારે સહુથી મોટા પક્ષ એવા ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપ મુખ્યમંત્રી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં