Tuesday, April 30, 2024
More
    હોમપેજરાજકારણહવે લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવા અહેવાલ, પણ MLAએ ઑપઇન્ડિયાને...

    હવે લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવા અહેવાલ, પણ MLAએ ઑપઇન્ડિયાને કહ્યું- આ બધી પાયાવિહોણી વાતો; મોઢવાડિયાએ પણ ‘સ્પષ્ટતા’ કરી

    2 ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને ચર્ચા છે કે હજુ વધુ ધારાસભ્યો પાર્ટી છોડશે. જેમાં લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનાં નામો પણ સામેલ છે. જોકે, બંને નેતાઓએ આ બધી વાતોને માત્ર અફવા ગણાવી છે.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક આવી રહી છે. દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓએ લોકસભાને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે રાજ્યમાં લોકસભા બેઠકોનાં મધ્યસ્થ કાર્યાલયોની શરૂઆત પણ કરી દીધી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટી, જે પહેલેથી જ ખરાબ પ્રદર્શન કરતી રહી છે તે વધુ કંગાળ બનતી ચાલી છે. 2 ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને ચર્ચા છે કે હજુ વધુ ધારાસભ્યો પાર્ટી છોડશે. જેમાં લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનાં નામો પણ સામેલ છે. જોકે, બંને નેતાઓએ આ બધી વાતોને માત્ર અફવા ગણાવી છે. ઑપઇન્ડિયાએ લુણાવાડાના ધારાસભ્યનો સંપર્ક કરીને રાજીનામું આપવા અંગેની માહિતી મેળવી હતી.

    લોકસભા ચૂંટણી પહેલાં બધા જ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. તેવામાં એવી રાજકીય અટકળો વહેતી થઈ હતી કે, લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે. બીજી તરફ, ઘણા દિવસથી અર્જુન મોઢવાડિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ ચાલી જ રહી છે. પણ હાલ બંને નેતાઓ આ વાતો નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી.

    ‘હું તો કોંગ્રેસમાંથી લોકસભા લડવાનો છું’- લુણાવાડા MLA

    લુણાવાડાના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને જ્યારે ઑપઇન્ડિયાએ રાજીનામાં અંગે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે, “આ બધી વાતો બિલકુલ વાહિયાત છે. અમારે કોઈને તો હજુ આ વિષય પર વાત પણ થઈ નથી. હું તો કોંગ્રેસમાં જ છું. જો હું ભાજપમાં જોડાઈ ગયો હોય તો રાજીનામું ક્યાં છે? આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “કદાચ ભાજપવાળા જ આ બધી વાતો ઉડાવતા હોય, વિરોધી દળવાળા તો બધું કરે જ. હું આજે પણ ભાજપમાં નહીં જોડાઉં અને કાલે પણ નહીં.”

    - Advertisement -

    આ ઉપરાંત કોંગ્રેસી ધારાસભ્યે પોતે કોંગ્રેસ છોડશે તેવી વાતોને પાયાવિહોણી ગણાવી અને કહ્યું કે તેઓ તો કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પર જ લોકસભા ચૂંટણી પણ લડશે.

    આ ઉપરાંત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મૂકીને પોતે કોંગ્રેસ છોડવાના હોવાના અહેવાલોને નકારી દીધા છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “મારા કોઈપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.”

    નોંધનીય છે કે, લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિશે છેલ્લા કેટલા સમયથી રાજીનામું આપવાની અટકળો વહેતી થઈ હતી. જેમાં મોઢવાડિયા માટે એવું પણ કહેવાય રહ્યું હતું કે, તેઓ રાજીનામું આપીને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ભાજપમાં સામેલ થઈ શકે છે. તાજેતરમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ નકારી દીધું ત્યારે તેમણે જાહેરમાં પાર્ટીવિરોધી સ્ટેન્ડ લીધું હતું, જેનાથી અટકળોને બળ મળ્યું હતું. પરંતુ હાલ તો તેઓ કહી રહ્યા છે કે પોતે ક્યાંય જઈ રહ્યા નથી. પરંતુ રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં