(તંત્રીલેખ, 13 સપ્ટેમ્બર)
લાંબા સમયથી હિંસાગ્રસ્ત રહેલા મણિપુરમાં આખરે શાંતિ સ્થાપિત થઈ રહી છે. પીએમ મોદી રાજ્યની મુલાકાતે પહોંચ્યા છે. તેમની આ યાત્રા માત્ર સાંત્વના નહીં, પણ શાંતિ અને સ્થિરતાની દિશામાં મજબૂત પગલું પણ છે. વડા પ્રધાનની આ મુલાકાતનો સ્પષ્ટ સંદેશ એ છે કે સરકાર ઉત્તર-પૂર્વના સંવેદનશીલ રાજ્યના પડકારોને માત્ર દૂરથી જોવાની નથી, પણ સીધી મેદાનમાં ઉતરીને તેનું સમાધાન પણ કરવાની છે અને સરકારે કર્યું પણ છે.
છેલ્લા ઘણા મહિનાઓથી ઇકોસિસ્ટમે નેરેટિવ ઘડવાના પ્રયાસો કર્યા કે ‘સરકાર નિષ્ક્રિય છે’, ‘મણિપુરને અવગણી દેવાયું છે’, પણ પીએમ મોદીની મુલાકાતે સાબિત કરી દીધું કે સરકાર ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય હતી અને સ્થિરતાના પ્રયાસોમાં પણ સામેલ હતી. ગૃહ મંત્રાલય સતત રાજ્યમાં સ્થિરતા લાવવા માટે પ્રયાસો કરી રહ્યું હતું અને તે સમયે ઇકોસિસ્ટમ ‘મણિપુર-મણિપુર’ની બૂમો પાડી રહી હતી.
કાયમની જેમ આજે પણ આ ટોળકીના બેવડા ધોરણો સામે આવી રહ્યા છે. પહેલાં વડા પ્રધાનને મણિપુર મોકલવા માટે કકળાટ કરવામાં આવી રહ્યો હતો અને હવે જ્યારે તેઓ પહોંચી ગયા તો ‘સમય’ને લઈને રડવાનું શરૂ થઈ ગયું છે. હકીકત તો એ છે કે આ લોકોનો એજન્ડા ક્યારેય મણિપુરમાં સ્થિરતા સ્થાપિત કરવાનો નહોતો. તેમનો એજન્ડા હતો માત્ર રાજકારણ.
મણિપુરના મુદ્દાને લઈને સૌથી વધુ દેકારો કરનારા નેતાઓ વાસ્તવમાં સમાધાનનો ભાગ બનવાની જગ્યાએ માત્ર કેમેરા અને હેડલાઈનો સુધી સીમિત રહ્યા હતા. સંસદમાં હોબાળો કરવો, ટીવી-સ્ટુડિયોમાં જઈને બઘડાટી બોલાવવી અને સોશિયલ મીડિયામાં મોદી પર વ્યક્તિગત હુમલો કરવો- આ જ તેમનો એજન્ડા હતો. તેમને ન તો મણિપુર સાથે સંબંધ હતો અને ન તો મણિપુરની સ્થિરતા સાથે.
તેમ છતાં, પોતાના અંગત રાજકારણ માટે આ ટોળકી સતત બે વર્ષથી મણિપુર-મણિપુરની બૂમો પાડતી રહી. બીજી તરફ સરકાર ગીતાના સંદેશ અનુસાર સ્થિતપ્રજ્ઞ થઈને પોતાનું કામ કરતી રહી. સરકારે ન તો આ ટોળકીને જવાબ આપવો યોગ્ય સમજ્યો અને ન તો એટલો ભાવ આપ્યો. પણ મણિપુરમાં સ્થિરતા લાવવા માટેના પ્રયાસો સતત ચાલતા રહ્યા, નિરંતર ચાલતા રહ્યા. જે આજે સ્પષ્ટપણે જોઈ પણ શકાય છે. માત્ર ઇકોસિસ્ટમના ‘સરકાર કશું કરતી નથી’ કહેવા માત્રથી સ્થિતિ નથી બદલાતી.
સ્થિતિ બદલાય છે મજબૂત નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિથી. જે મણિપુરમાં બે વર્ષ પહેલાં હિંસા ચરમ પર હતી, ત્યાં હવે નરેન્દ્ર દામોદરદાસ મોદી જઈને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. આ સ્થિતિ પડ્યા-પડ્યા નથી બદલાઈ, તેની પાછળ સરકારે ઘણા પ્રયાસો કર્યા છે. પણ ઇકોસિસ્ટમને તેમાં રસ નહોતો. તેને માત્ર રસ હતો રાજકારણ કરીને કોઈપણ ભોગે સરકારને ઘેરવામાં. જે હાલની ઘડી સુધી થઈ શક્યું નથી.
મોદી સરકારે સતત મણિપુરમાં સ્થિરતા લાવવા માટેના પ્રયાસો કર્યા હતા. સુરક્ષાદળોની ઉપસ્થિતિથી લઈને રાહત શિબિરો અને વાટાઘાટો સુધીના પગલાં લેવામાં આવ્યા હતા. પણ આ પ્રયાસોને મીડિયા અને ઇકોસિસ્ટમના દેકારાએ દબાવવાના પ્રયાસો કર્યા. પણ હવે મોદી સ્વયં મણિપુરમાં ઊભા રહીને સ્થિરતાનો સંદેશ આપી રહ્યા છે. હવે ઇકોસિસ્ટમ પાસે શાંતિથી જોયા કરીને રાડારાડ કર્યા સિવાયનો કોઈ વિકલ્પ નથી.
ઇકોસિસ્ટમે મણિપુરના નામે ઘણા રાજકીય રોટલા શેકયા, પણ મોદીએ હવે એ જ મણિપુરના નામ પર સ્થિરતા અને વિશ્વાસનો સંદેશ આપ્યો છે. આ જ તફાવત છે રાજકીય અવસરવાદ અને રાષ્ટ્રીય નેતૃત્વ વચ્ચે. મણિપુરના લોકોએ મોદીનો સંદેશ સ્પષ્ટપણે સાંભળ્યો હશે: “ભારતનો આ વિસ્તાર ભુલાવી નથી દેવાયો. સરકાર તમારી સાથે છે અને શાંતિ સર્વોપરી છે.”


