Saturday, April 26, 2025
More

    સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો નિર્ણય માન્ય રાખી 25,000 શિક્ષકોને કર્યા બરતરફ: મમતા સરકાર દ્વારા સરકારી, ગ્રાન્ટ-ઇન શાળાઓમાં ગેરકાયદે નિમણૂક કરવાનો મામલો

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) પશ્ચિમ બંગાળ શાળા ભરતી કૌભાંડ સંબંધિત કલકત્તા હાઇકોર્ટના (Calcutta High Court) નિર્ણયને માન્ય રાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં, શાળા પસંદગી પંચે (SSC) 2016માં સરકારી અને ગ્રાન્ટ લેતી શાળાઓમાં 25,753 શિક્ષકો અને બિન-શિક્ષકોની નિમણૂક કરી હતી. હાઇકોર્ટે આ નિમણૂકોને ગેરકાયદેસર જાહેર કરી હતી અને કર્મચારીઓને બરતરફ કર્યા હતા.

    સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની તપાસને સમર્થન આપ્યું અને કહ્યું કે સમગ્ર પ્રક્રિયામાં ગોટાળો કરવામાં આવ્યો હતો. આમાં બદલાવનો કોઈ અવકાશ નથી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બનેલી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

    આ સાથે, CBI તપાસના કોલકાતા હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર 4 એપ્રિલે સુનાવણી થશે. બીજી તરફ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ કહ્યું, “અમે નિર્ણયનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમને ન્યાયતંત્ર પ્રત્યે સર્વોચ્ચ આદર છે, પરંતુ દેશના નાગરિક તરીકે મને કહેવાનો પૂરો અધિકાર છે કે હું આ નિર્ણય સ્વીકારી શકતી નથી.”

    તેમણે ભાજપ અને CMP પર પશ્ચિમ બંગાળની શિક્ષણ પ્રણાલીને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ ભાજપે બેનર્જીના રાજીનામાંની માંગ કરી છે.