ભારતની સમુદ્રી કથા સામાન્યપણે સંસ્થાનવાદ કાળની નેવિગેશન-ડાયરીથી શરૂ કરી દેવામાં આવે છે, જાણે હિંદ મહાસાગરમાં પાલ તાણીને (કાપડના સઢ તાણીને) ચાલવાનું જ્ઞાન ભારતે દુનિયાથી ઉધાર લીધું હોય. પરંતુ ઐતિહાસિક સત્ય તેનાથી ઉલટું છે. ભારતના દરિયાકાંઠા, તેનાં બંદરો, તેના વેપારી-નૌકાયન અને તેની સમુદ્રી કારીગરી સદીઓથી હિંદ મહાસાગરનું હ્રદય રહી છે.
આ જ વિસરાઈ ગયેલી પરંતુ જીવંત પરંપરાને ફરી ધધકતી કરવાનો પ્રયાસ છે INSV કૌન્ડિન્ય, ભારતીય નૌસેનાનું એ પ્રાચીન-શૈલીનું ‘સ્ટિચ્ડ શિપ’ જેને ધાતુના ખીલા-સ્ક્રૂની જગ્યાએ દોરડાઓથી સીવીને બનાવવામાં આવ્યું છે અને હવે તે ગુજરાતના પોરબંદરથી ઓમાન (મસ્કત) તરફ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય સમુદ્રી યાત્રા પર નીકળી ચૂક્યું છે.
Wonderful to see that INSV Kaundinya is embarking on her maiden voyage from Porbandar to Muscat, Oman. Built using the ancient Indian stitched-ship technique, this ship highlights India's rich maritime traditions. I congratulate the designers, artisans, shipbuilders and the… pic.twitter.com/bVfOF4WCVm
— Narendra Modi (@narendramodi) December 29, 2025
પીએમ મોદીએ આ જહાજની પહેલી યાત્રા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે INSV કૌન્ડિન્યનું પોરબંદરથી ઓમાનના મસ્કત સુધી પોતાની પહેલી સમુદ્રી યાત્રા પર નીકળવું અત્યંત હર્ષનો વિષય છે. પ્રાચીન ભારતીય સીવણ જહાજ (સ્ટિચ્ડ-શિપ) તકનીકથી નિર્મિત આ જહાજ ભારતના સમૃદ્ધ સમુદ્રી વારસાને જીવંત કરે છે.
શું છે INSV કૌન્ડિન્ય?
INSVનો અર્થ છે Indian Naval Sailing Vessel – એટલે ભારતીય નૌસેનાનું સઢવાળું જહાજ. INSV કૌન્ડિન્ય એક કાર્યશીલ અને સમુદ્ર-યાત્રા માટે યોગ્ય પરંપરાગત જહાજ છે, જેને પ્રાચીન સ્ટિચ્ડ-શિપબિલ્ડિંગ તકનીકથી બનાવવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં લાકડાના તખ્તા/પ્લેન્ક્સને ધાતુના ફાસ્ટનરથી જોડવાની જગ્યાએ પ્રાકૃતિક રેસાઓની (જેમ કે કોઇર/નારિયેળના રેસા) દોરીઓથી ‘ટાંકા’ મારવામાં આવે છે અને પછી પ્રાકૃતિક રેઝિન/સીલન્ટથી સમુદ્રી પાણી માટે સુરક્ષિત બનાવવામાં આવે છે.
આજે જહાજ-નિર્માણ સ્ટીલ, વેલ્ડિંગ અને એન્જિનનો પર્યાય બની ગયું છે ત્યારે નૌસેના દ્વારા એક એન્જિન-રહિત, સીવેલું લાકડાનું જહાજ સમુદ્રમાં ઉતારવું માત્ર પ્રતીકાત્મક નથી, પણ આ તકનીકી સત્યાપન અને સમુદ્રી યોગ્યતાનો દાવો પણ છે, જેને આધુનિક પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં અપનાવવામાં આવેલી પરંપરાગત તકનીકમાં તખ્તાઓને નારિયેળના રેસાના દોરડાથી સિલાઈની જેમ બાંધવામાં આવ્યા છે અને જોડાણને પ્રાકૃતિક રેઝિન વગેરેથી સીલ કરવામાં આવ્યા છે. ધાતુ-આધારિત જોડાણથી બચવાનું એક ઐતિહાસિક કારણ એ પણ માનવામાં આવે છે કે સમુદ્રી વાતાવરણમાં ધાતુ કાટ ખાઈ જાય છે, જ્યારે પ્રાકૃતિક ફાઈબર આધારિત જોડાણ કેટલીક પરંપરાગત સમુદ્રી સંસ્કૃતિઓમાં લાંબા સમય સુધી પ્રચલિત રહ્યા હતા.
‘અજંતા’થી ‘સમુદ્ર’ સુધી: ડિઝાઇનની પ્રેરણા ક્યાંથી આવી?
INSV કૌન્ડિન્યની ડિઝાઇન કોઈ કલ્પનામાંથી નથી આવી પણ તેને અજંતાની ગુફાઓમાં (ખાસ કરીને 5મી સદીના ભીંતચિત્રો) ચિતરાયેલા એક જહાજની છબીથી પ્રેરણા મળી છે. એટલે ભારતની કલા-પરંપરામાં સુરક્ષિત રહેલું એ દૃશ્ય આજે લાકડું, દોરડું અને પાલના રૂપમાં ભૌતિક વાસ્તવિકતા બની ગયું છે.
અહીં પડકાર માત્ર ‘એવું જ દેખાતું’ જહાજ બનાવવાનો નહોતો, પરંતુ આજની સમુદ્રી સ્થિતિમાં તેને ચલાવી શકાય તેવું બનાવવાનો હતો. જહાજનું હલ-ફૉર્મ, રિગિંગ, પાલની સ્થિતિ અને સ્થિરતા, આ બધાનું આધુનિક નેવલ આર્કિટેક્ચરના સંદર્ભમાં પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે.
આધિકારિક રીતે આ જહાજ બનાવવાની યોજના જુલાઈ 2023માં થયેલા ત્રિપક્ષીય કરાર હેઠળ આગળ વધી. 1. સંસ્કૃતિ મંત્રાલય (ફંડિંગ/સાંસ્કૃતિક ધરોહર-ફોકસ), 2. ભારતીય નૌસેના (ડિઝાઇન, તકનીકી સત્યાપન, ઑપરેશન), 3. M/s Hodi Innovations (નિર્માણ/શિપબિલ્ડિંગ). આ ત્રણેય પક્ષોના સહિયારા પ્રયાસોથી આ જહાજ બની શક્યું છે. જહાજનું કીલ લેઇંગ (નિર્માણની શરૂઆત) 2023માં થયું અને પછી તેને 2025માં લૉન્ચ/ઇન્ડક્ટ કરવામાં આવ્યું.
તકનીક અને આધુનિક વિજ્ઞાન
એ સમજવું જરૂરી છે કે ‘પ્રાચીન તકનીક’નો અર્થ એ નથી કે યોજનામાં આધુનિક વિજ્ઞાનનું કોઈ કામ ન હતું. બલ્કે આઇકોનોગ્રાફી (ચિત્ર-આધારિત સંકેતો), પરંપરાગત કારીગરી અને આધુનિક સમુદ્રી ઇજનેરી, ત્રણેયને એકસાથે જોડીને આ કામ પાર પાડવામાં આવ્યું હતું.
નૌકાદળની વિગતો અનુસાર આ પ્રોજેક્ટમાં હાઇડ્રોડાયનેમિક મૉડલ ટેસ્ટિંગ અને અન્ય તકનીકી સત્યાપન સામેલ રહ્યા હતા, જેમાં IIT મદ્રાસના સમુદ્રી/ઓશન ઇજનેરીંગ સહયોગનો પણ ઉલ્લેખ છે. એટલે જહાજની સમુદ્રમાં સ્થિતિ, તેની સ્થિરતા, પાણીનાં મોજાંમાં પ્રતિક્રિયા, પાલ-રિગિંગનો લોડ, આ બધાનું આધુનિક રીતે આકલન કરવામાં આવ્યું, જેથી પ્રાચીન શૈલી ‘માત્ર મ્યુઝિયમ મોડલ’ ન રહે, પરંતુ સમુદ્રી યાત્રા કરી શકે.
જહાજની ક્ષમતાઓ
INSV કૌન્ડિન્યની વિશેષતા વિશે જોકે જાહેરમાં માહિતી ઓછી ઉપલબ્ધ છે, છતાં મીડિયામાં ઘણા રિપોર્ટ્સમાં તેના વિશેની માહિતી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર તે લગભગ 19.6 મીટર (લગભગ 64.3 ફૂટ) લાંબું, 6.5 મીટર પહોળું અને લગભગ 3.33 મીટર ડ્રાફ્ટવાળું જહાજ છે.
ક્રૂ મેમ્બર્સને લઈને અલગ-અલગ રિપોર્ટ્સમાં 15થી 18 સુધીની સંખ્યા જણાવવામાં આવી છે. કેટલાક સ્ત્રોત 15ની આસપાસ જણાવે છે, જ્યારે ઓમાન-યાત્રાના ફ્લેગ-ઑફ કવરેજમાં 18નો ઉલ્લેખ મળે છે. વ્યવહારિક રીતે આવા અભિયાનોમાં ‘કોર ક્રૂ’ ઉપરાંત સપોર્ટ/ઑબ્ઝર્વર/લાયઝન સભ્યો જોડાતા સંખ્યા બદલાઈ શકે છે.
‘કૌન્ડિન્ય’ નામનો અર્થ અને પ્રેરણા
કૌન્ડિન્યને (કૌણ્ડિન્ય) પ્રથમ/પ્રાચીન ભારતીય સમુદ્રી યાત્રી તરીકે યાદ કરવામાં આવે છે, જેમનું નામ દક્ષિણ-પૂર્વ એશિયાઈ પરંપરાઓ/રેકોર્ડ્સમાં મળે છે. માહિતી અનુસાર તેમણે સમુદ્ર પાર કરીને મેકોંગ ડેલ્ટા તરફ યાત્રા કરી હતી, ત્યાં સ્થાનિક રાજકુમારી ‘સોમા’ સાથે તેમનાં લગ્ન થયાં અને આગળ જતાં ફુનાન (Funan) રાજ્યની સ્થાપના કરવામાં આવી. ફુનાનને આજના કંબોડિયાના ઇતિહાસમાં એક પ્રારંભિક રાજકીય એકમ માનવામાં આવે છે.
ભારતીય નૌસેના/સરકારી સંચારમાં પણ કૌન્ડિન્યને ભારતની પ્રાચીન સમુદ્રી પહોંચ અને દક્ષિણ-પૂર્વ એશિયા સાથેના ઐતિહાસિક સાંસ્કૃતિક સંપર્કના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં આ નામ માત્ર રોમાંચક પ્રેમગાથા નથી, આ તે ઇન્ડો-ઓશન નેટવર્કની યાદ છે જેમાં ભારત વેપાર, કારીગર, સન્યાસીઓ, વિચાર અને ભાષા લઈને સદીઓ સુધી સમુદ્ર માર્ગે ચાલતું રહ્યું હતું.
જહાજ પર સભ્યતાગત પ્રતીકો: ગંડભેરુંડ, સૂર્ય-ચિહ્ન અને પ્રાચીન એંકરનો સંકેત
INSV કૌન્ડિન્યને માત્ર એક પ્રાચીન તકનીકી પ્રદર્શન તરીકે નથી બનાવવામાં આવ્યું, પરંતુ તેને એક ચાલતી-ફરતી સાંસ્કૃતિક ધરોહરની જેમ સજાવવામાં આવ્યું છે. વિગતો મુજબ તેના ડિઝાઇન-મોટિફમાં ગંડભેરુંડ (બે-મુખવાળું ગરુડ/ઈગલ) અને સૂર્ય જેવા પ્રતીકોનો ઉપયોગ, સાથે સિંહ-યાલી જેવી આકૃતિ અને હડપ્પા શૈલીના સ્ટોન એંકરનો સંકેત મળે છે.
આ પ્રતીક-ભાષા દર્શાવે છે કે પરિયોજનાનો હેતુ ‘એક જહાજ બનાવવાનો’ માત્ર નથી, પરંતુ પ્રાચીન ભારતના સમુદ્રી વારસાને ફરી જીવિત કરવાનો છે. દુનિયાને એ દેખાડવાનો છે કે ભારતનો સમુદ્ર સાથેનો સંબંધ કેટલો જૂનો, ગહન છે અને પ્રાચીન ભારતની કળા અને એન્જિનિયરિંગ આજે પણ કેટલી સટીક અને ઉપયોગી છે.
જહાજ પર કેવું હશે જીવન?
આ અભિયાન સાથે જોડાયેલા ચાલક દળના વર્ણનથી એ પણ સ્પષ્ટ થાય છે કે જહાજ પર જીવન આધુનિક જહાજો જેવું આરામદાયક નથી. કેબિનોનો અભાવ, ડેકની નીચે અંધારું સ્ટોરેજ હોલ્ડ, ખુલ્લા ડેક પર સ્લીપિંગ બેગમાં સૂવું, ખરાબ હવામાનમાં મર્યાદિત જગ્યામાં વારાફરતી વિશ્રામ અને પાણી-ભોજનનું કડક વ્યવસ્થાપન, આ બધું મળીને આ મુસાફરીને એક વાસ્તવિક ‘સી-એક્સપીરિયન્સ’ બનાવે છે.
So what is life like aboard @INSVKaundinya ? Modern amenities are minimal except for safety and communications. This is how is looks under the deck. As you can see, there are no cabins and just a dark hold for storing supplies. Mostly we sleep on the open deck with sleeping bags,… pic.twitter.com/XHz5n2zbmV
— Sanjeev Sanyal (@sanjeevsanyal) December 28, 2025
આ જ બાબત આ પ્રોજેક્ટના સંદેશને વધુ મજબૂત બનાવે છે. આ માત્ર એક પ્રતીકાત્મક જહાજ નથી, પરંતુ એવું જહાજ છે જે પુરાતન સમુદ્રી અનુશાસન, મર્યાદિત સંસાધનો અને માનવીય કૌશલ્યને સામે લાવે છે, જોકે સુરક્ષા અને સંચારની આધુનિક જરૂરિયાતોને સંપૂર્ણપણે ધ્યાને રાખવામાં આવી છે. જહાજની બહારની સાઈડમાં શૌચાલય માટે એક ટોકરી જેવું સેટઅપ કરવામાં આવ્યું છે, ટોકરી સુધી કૂદીને જવાનું અને પછી પરત આવતી વખતે જહાજ પર કૂદીને ચડવાનું હોય છે.
તે સિવાય ભોજન બનાવવા માટે ત્યાં સ્ટવની વ્યવસ્થા પણ છે, સ્ટવ પર એક ધાતુનું હોલ્ડર પણ લગાવવામાં આવ્યું છે, જેથી કરીને જહાજ હાલકડોલક થાય ત્યારે સ્ટવ પર રખાયેલાં વાસણો ઉંધા ન વળી જાય કે ભોજન નીચે ન પડી જાય. ટૂંકમાં આ જહાજમાં કોઈ વૈભવી ચીજવસ્તુઓ નથી અને તેનો એ હેતુ પણ નથી.
ઓમાન યાત્રા: આ રૂટ કેમ ખાસ છે?
ગુજરાતનો સમુદ્રી ઇતિહાસ અને ઓમાન/આરબ સાથેનો તેનો સંપર્ક સદીઓ જૂનો છે. વ્યાપાર, વસ્તુઓની અવરજવર, જહાજી સમુદાયોનું નેટવર્ક અને સાંસ્કૃતિક પ્રભાવ, આ બધાના સંકેત અનેક ઐતિહાસિક સંદર્ભોમાં મળે છે. તેથી જ પોરબંદરથી મસ્કતનો માર્ગ પ્રતીકાત્મક રીતે તે ઐતિહાસિક સમુદ્રી રાજમાર્ગોની યાદ અપાવે છે જેના પર ભારતની પશ્ચિમી તટરેખાથી ખાડી વિસ્તાર સુધી વેપાર થતો હતો.

INSV કૌન્ડિન્ય પોરબંદરથી મસ્કતની (ઓમાન) યાત્રાને પ્રાચીન સમુદ્રી વેપાર માર્ગોના પુનર્સ્મરણ તરીકે જોવામાં આવી રહી છે. આ માર્ગ એવો હતો જ્યાંથી ભારતનો પશ્ચિમ એશિયા અને વ્યાપક હિંદ મહાસાગર જગત સાથે લાંબા સમય સુધી વેપાર ચાલ્યો હતો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ થયું હતું.
Connecting present with the ancient.
— Randhir Jaiswal (@MEAIndia) December 29, 2025
INSV Kaundinya, built with ancient Indian stitched-ship technique, set sail from Porbandar to Muscat, Oman.
The ship represents a rare convergence of history, craftsmanship and modern naval expertise. It will retrace historic maritime… https://t.co/1wSNf9yUbc
માહિતી અનુસાર જહાજ લગભગ 1,400 કિમીની સમુદ્રી યાત્રા લગભગ 15 દિવસમાં પૂરી કરવાનો લક્ષ્ય રાખે છે અને ફ્લેગ-ઑફ કાર્યક્રમમાં ઓમાની રાજકીય પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા છે. એટલે આ અભિયાન વારસાની સાથે-સાથે ડિપ્લોમેસી/સૉફ્ટ-પાવરનું પણ મંચ છે.
INSV કૌન્ડિન્યને તમે ઇચ્છો તો ‘હેરિટેજ પ્રોજેક્ટ’ કહો, ‘ઇજનેરીંગ રિવાઇવલ’ કહો અથવા ‘સૉફ્ટ-પાવર મિશન’ કહો, વાસ્તવમાં આ ત્રણેયનો સંગમ છે. અજંતાની દીવાલો પર બનેલું જહાજ આજે સમુદ્રની લહેરો પર છે. દોરડાથી સિવાયેલા તખ્તા આજે આંતરરાષ્ટ્રીય જળમાં તરી રહ્યા છે અને ‘કૌન્ડિન્ય’ નામ આજે ફરી ભારતની સમુદ્રી ક્ષિતિજ પર લખાઈ રહ્યું છે.


