ગોંડલ, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જિલ્લાનું એક નાનું પરંતુ રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ શહેર. હાલ તે શહેર ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેના વિવાદના કારણે ચર્ચામાં છે. આ વિવાદે ગોંડલના રાજકારણ અને સમાજમાં ગરમાવો પેદા કર્યો છે. અલ્પેશ કથીરિયાએ સુરતમાં એક સભાને સંબોધીને શરૂ કરેલો આ વિવાદ ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો થયા સુધી પણ અટક્યો નથી. આ વિવાદની અસર સોશિયલ મીડિયા, મીડિયાથી લઈને રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે.
રવિવારે (27 એપ્રિલ) અલ્પેશ કથીરિયા, જે પાટીદાર અનામત આંદોલનના કારણે જાણીતા થયા હતા, અચાનક ગોંડલ પહોંચ્યા હતા. તેની સાથે જિગીષા પટેલ પણ હતા. જિગીષા અને ગણેશ વચ્ચે પણ ઘણા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું હતું. ગણેશે સુલતાનપુરની એક સભામાં પડકાર ફેંકતા કોઈનું પણ નામ લીધા વિના કહ્યું હતું કે, જો માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલ આવી જાઓ. આ પડકાર બાદ કથીરિયા સમર્થકો સાથે ગોંડલ પહોંચ્યા હતા.
ગોંડલમાં ગણેશ સમર્થકોએ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ થોડા જ સમયમાં બંનેના સમર્થકો સામસામે આવી ગયા હતા અને અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો થઈ ગયો હતો. માહિતી અનુસાર, અલ્પેશ કથીરિયાએ વિરોધ કરી રહેલા ગણેશ સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યા બાદ આ ઘટના બનવા પામી હતી. જોકે, કથીરિયાની ગાડી પર હુમલો થયા બાદ તે માત્ર દોઢ કલાકમાં જ ગોંડલથી રવાના થઈ ગયા હતા. પરંતુ આ ઘટનાના હવે ગુજરાતભરમાં પડઘા પડ્યા છે. આ સમગ્ર ઘટનાની વિગતે માહિતી મેળવીએ.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
આ સમગ્ર ઘટનાની શરૂઆત 18 માર્ચના રોજથી થાય છે. સાંજના સમયે સગરામજી સ્કૂલમાં પાટીદાર કિશોર અને રાજપૂત યુવાનો વચ્ચે મારપીટ થાય છે. ઘટનાનો વિડીયો પણ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ઘટના બાદ 18 માર્ચે જ પાટીદાર કિશોરના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મયુરસિંહ ઝાલા, દર્શનસિંહ ઝાલા સહિત કુલ ત્રણ શખ્સો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ 19 માર્ચના રોજ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદાર સમાજના આગેવાનોએ આક્રોશ સાથે રેલી યોજી હતી અને આરોપીઓના સરઘસ કાઢવાની માંગણી કરી હતી.
વધુમાં એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો માંગણી પૂરી નહીં કરવામાં આવે તો 22 માર્ચે અડધો દિવસ ગોંડલ બંધ રાખવામાં આવશે. જોકે, ગોંડલ બંધ રહે તેના આગલા દિવસે જ ભાજપના પાટીદાર નેતાઓ જયેશ રાદડિયા અને ભારત બોધરા ગોંડલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભોગ બનનારા કિશોરની હૉસ્પિટલમાં મુલાકાત લીધી હતી. બીજી તરફ રાજપૂત સમાજની વાડીએ સર્વજ્ઞાતિ સંમેલન યોજવામાં આવ્યું હતું. એક તરફ સંમેલન ચાલી રહ્યું હતું અને બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાદડિયા અને બોઘરાએ બંધ બારણે બેઠક શરૂ કરી દીધી હતી.
સૌપ્રથમ તો જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સાથે લાંબા સમય સુધી બંને નેતાઓએ ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ ગોંડલ DySP પણ આ બેઠકમાં પહોંચ્યા હતા. જ્યાં બંધ બારણે ચર્ચાઓ ચાલી હતી. આ બેઠક પૂર્ણ થયાના ગણતરીના કલાકમાં જ પાટીદાર કિશોરના પરિવારજનોએ સમાધાન થઈ ગયું હોવાની વાત જાહેર કરી હતી. તેથી વાતો વહેતી થઈ હતી કે, માર્કેટિંગ યાર્ડમાં ચાલેલી બેઠકમાં આ વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો.
જોકે, આ વિવાદના સમાધાન બાદ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ નેતા ઢોલરીયા પણ હાજર રહ્યા હતા. પાટીદાર અને રાજપૂતો વચ્ચે સમાધાન થયા બાદ ઢોલરીયાએ એક નિવેદન આપ્યું હતું. જેના કારણે આ વિવાદ ફરી વધ્યો હતો. ઢોલરીયાએ કહ્યું હતું કે, “પાટીદાર સમાજ ગણેશ જાડેજાને ખભા પર બેસાડીને ધારાસભ્ય બનાવશે. હવે કોઈ ગોંડલ બેઠક પર નજર ન નાખતા.”
અલ્પેશ કથીરિયાએ સુરતમાં આપ્યા નિવેદન અને ફરી સળગ્યો વિવાદ
ગોંડલના આ વિવાદનું સમાધાન થયા બાદ સૌરાષ્ટ્ર ભાજપના નેતા વિનુભાઈ શિંગાળાની પુણ્યતિથિના અનુસંધાને સુરતમાં એક પાટીદાર સમાજની બેઠક મળી હતી. આ બેઠકને અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ સહિતના આગેવાનોએ સંબોધિત કરી હતી. આ બેઠકમાં ગોંડલ ખાતે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોંડલમાં વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મૂકવાની વાત કરવામાં આવી હતી અને ગણેશ જાડેજા આડકતરી રીતે પડકાર આપવાનું કામ પણ કરવામાં આવ્યું હતું. અહીં એ પણ નોંધવા જેવું છે કે, માર્ચ-2004માં વિનુભાઈ શિંગાળા રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાને હતા, ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ કેસમાં તપાસ જયરાજસિંહ જાડેજા સુધી પણ પહોંચી હતી અને તેમણે હત્યારાઓને સોપારી આપી હોવાના આરોપો પણ લાગ્યા હતા. પરંતુ એ સાબિત ન થયા અને નીચલી અદાલતે તેમને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા અને ઉચ્ચ અદાલતે પણ પુરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા. અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલે આ બેઠક બાદ સોશિયલ મીડિયા પર પણ ગણેશ ગોંડલને અનેક વખત પડકાર ફેંક્યા હતા અને સ્પષ્ટ જાતિવાદી રાજકારણ શરૂ થયું હતું. વધુમાં મેહુલ બોઘરાએ પણ ગણેશ જાડેજાને લઈને સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.
કથીરિયાના પડકારો પર ગોંડલમાં પણ યોજાઈ આક્રોશ રેલી
સુરતમાં અલ્પેશ કથીરિયાની બેઠક બાદ મંગળવારની રાત્રે (22 એપ્રિલ) ગોંડલના સુલતાપુર ગામ ખાતે ગણેશ જાડેજાએ ‘આક્રોશ રેલી’ને સંબોધિત કરી હતી. જેમાં તેમણે અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ તથા મેહુલ બોઘરાની સામે નામજોગ પ્રહાર કર્યા હતા. ગણેશે કહ્યું હતું કે, કેટલાક લોકો 200-500 કિલોમીટર સુંદર બેસીને ગોંડલની શાંતિને ભંગ કરવાની મંશા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, “અલ્પેશ કથીરિયાએ 14-14 પાટીદાર દીકરાના મોતનાં પાપ ભેગા કર્યાં છે. તેણે હવે પાપ ધોવાં જોઈએ.”
જિગીષા પટેલની વાત કરતા તેમણે કહ્યું હતું કે, “તું તારું ઘર સાચવી નથી શકતી. તારા ઘરના વડીલ કે ભાઈને મોકલ. એમને જવાબ દેવાની મારી તૈયારી છે.” મેહુલ બોઘરા પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, બોઘરાનું કામ શાંતિ હોય ત્યાં અશાંતિ ઊભી કરવાનું છે. આ સાથે આ રેલીમાં કથીરિયા, જિગીષા અને બોઘરા વિશે ‘હાય હાય’ના નારા પણ લાગ્યા હતા. અંતે ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, “માનું ધાવણ ધાવ્યા હોવ તો આવી જાઓ ગોંડલ.”
જાડેજાના પડકાર બાદ કથીરિયા, જિગીષાએ ગોંડલ જવાનો લીધો નિર્ણય
ગણેશ ગોંડલના પડકાર પછી અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને રવિવારે (27 એપ્રિલ) ગોંડલ જવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ એક ઇન્ટરવ્યુમાં તેમણે લોકોને જોડાવા આહ્વાન કર્યું હતું. કથીરિયાએ કહ્યું હતું કે, ‘માતાના દૂધ’ની વાત કરવામાં આવી છે, એટલે તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ગોંડલ જશે. જિગીષા પટેલે પણ તેમની સાથે જોડાવવાની વાત કરી હતી. જિગીષાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “તમે (ગણેશ ગોંડલ અને સમર્થકો) ગોલ્ડન સ્પૂનબોય છો. પહેલાં તારા માતાના પાલવમાંથી અને પિતાની ઓથમાંથી બહાર નીકળ. તું જન્મથી ગોલ્ડન સ્પૂનબોય છે. એટલે તને સંઘર્ષની વ્યાખ્યા ખબર ન હોય. તું અને તારા પિતા બંને બોડીગાર્ડની છત્રછાયામાં જીવો છો.”
વધુમાં એડવોકેટ મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, 24 કલાક બોડીગાર્ડ સાથે લઈને ફરે છે. તેવા લોકોએ ‘માતાના ધાવણ’ જેવા શબ્દ ન વાપરવા જોઈએ. આ સાથે જ બોઘરાએ ‘ગુંજશે ગોંડલ’ હેશટેગનો ઉપયોગ કર્યો હતો. આ બધા વિવાદો વચ્ચે કથીરિયા અને જિગીષાએ આખો દિવસ ગોંડલમાં ફરવાની જાહેરાત કરી હતી અને રવિવારે ગોંડલ પહોંચ્યા હતા.
ગોંડલ પહોંચ્યા બાદ તેમના સમર્થકો પણ એકઠા થઈ ગયા હતા અને બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકો પણ એકઠા થઈ ગયા હતા. બંને વચ્ચે ઘર્ષણ થયું હોવાનું પણ કહેવાય છે. દરમિયાન કથીરિયાએ સ્પીડમાં ગાડી ચલાવીને વિરોધ કરી રહેલા ગણેશ સમર્થકો પર કાર ચડાવી દેવાનો પર્યાસ કર્યો હતો અને ત્યારબાદ સ્થિતિ વણસી હતી અને કથીરિયાની ગાડી પર હુમલો થઈ ગયો હતો. આ ઘટનામાં કથીરિયાના સમર્થકોને માર મારવામાં આવ્યો હતો અને ગાડીઓના કાચ પણ તોડી પાડવામાં આવ્યા હતા. તે પછી કથીરિયાએ દોઢ કલાકમાં જ ગોંડલ છોડી દીધું હતું. ઘટના બાદ ગણેશ જાડેજાએ કહ્યું છે કે, ગોંડલની જનતાએ કથીરિયાને જવાબ આપી દીધો છે. હાલ જયરાજસિંહ જાડેજાના ઘરે દરેક સમાજના રાજકીય આગેવાનો પહોંચ્યા છે.