ગત 10 એપ્રિલે રામનવમીના રોજ રાજ્યના ખંભાત અને હિંમતનગરમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાંથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસાની ઘટનાઓ બની હતી. જે બાદ પોલીસે ખંભાત હિંસા મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. હવે ખંભાતમાં થયેલી હિંસા મામલે વધુ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલમુનાફ નુરમહમદ મલેક, બાબુભાઈ ઉર્ફે ડાલ અબ્દુલકદર મલેક, અલ્લારખા કાળુભાઈ શેખ, અલ્તાફખાન કાળુખાન પઠાણ, આલ્ફાજહુસેન ઉર્ફે અલ્લુ અકબરહુસેન મલેક, ઉદાય્ત સલીમ મલેક, મોહમ્મદ અસપાક સીદીક મલેક અને આસિફ ઉસ્માન મલેક તરીકે થઇ છે. આ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખંભાત હિંસા અને પથ્થરમારાની ઘટનામાં એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા. પરંતુ ઘટના બાદ પોલીસ તપાસ શરૂ થતાં ઘણા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ પોલીસ હવે તેમના સુધી પણ પહોંચી ગઈ છે. આ આઠ આરોપીઓની ધરપકડ સાથે ખંભાત હિંસામાં પકડાયેલા આરોપીઓની સંખ્યા કુલ 35 પર પહોંચી છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2022/05/Khambhat-hinsa.jpg?resize=696%2C392&ssl=1)
ખંભાત હિંસાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવાનું કાવતરું અગાઉથી ઘડવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, હિંસા પૂર્વનિયોજિત હતી અને શાંતિ ડહોળવા માટે મૌલવીઓએ બહારથી તોફાની તત્વોને બોલાવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, શોભાયાત્રા દરમિયાન પહેલાં પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ દુકાનોમાં આગ લગાડી દેવામાં આવી હતી. ખંભાત હિંસામાં પકડાયેલા ત્રણ મૌલવીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે શોભાયાત્રામાં તોફાન કરવા માટે તેમણે પહેલેથી જ યોજના બનાવી રાખી હતી અને મૌલવીઓએ આ માટે ભરૂચ અને અમદાવાદથી લોકોને બોલાવ્યા હતા અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. આ માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાના સમાચારો મળ્યા હતા.
શોભાયાત્રાને જે દિવસે અનુમતિ મળી હતી એ જ દિવસે તેમાં ધમાલ અને હિંસા કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ માટે આરોપીઓએ શોભાયાત્રા પહેલાં જ ઈંટ, પથ્થર, દંડા વગેરે જેવાં હથિયારો એકઠાં કરી રાખ્યાં હતાં. બીજા દિવસે જ્યારે શોભાયાત્રા મસ્જિદ પાસેથી નીકળી ત્યારે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. અચાનક થયેલા પથ્થરમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ ઉપરાંત સાતથી આઠ દુકાનોમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી. આ જ પ્રકારની ઘટના હિંમતનગરમાં પણ સામે આવી હતી.