Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆધાર-પાન લિંકને લઈને સરકારને ઘેરવા ગયા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ટ્વિટર...

    આધાર-પાન લિંકને લઈને સરકારને ઘેરવા ગયા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ટ્વિટર પર ટ્રોલ થવાનો વારો આવ્યો, નેટિઝન્સે કહ્યું- આટલા દિવસ ક્યાં સૂતા હતા?

    નેટિઝન્સે AAP નેતાને સાચી સમજ આપી અને લોકોને ગેરમાર્ગે ન દોરવા માટે કહ્યું હતું. 

    - Advertisement -

    કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક (PAN-Aadhar Link) કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2023 નક્કી કરી છે. ત્યાં સુધીમાં કોઈ વ્યક્તિ આધાર-પાન લિંક ન કરે તો 1 એપ્રિલ, 2023થી પાન કાર્ડ નિષ્ક્રિય ગણાશે. આ માટે 1 હજાર રૂપિયા ફી લેવામાં આવી રહી છે. જે મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ના હારેલા સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) ટ્વિટર પર સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આખરે ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. 

    ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લોકોને લૂંટવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે દેશના ભાગેડુઓના કારણે જે દેવું થયું છે તે આધાર-પાન લિંકના નામે લોકો પાસેથી 1000 રૂપિયા લઈને વસૂલવામાં આવી રહ્યું છે. સાથે તેમણે ‘ડિજિટલ ઇન્ડિયા’ પર કટાક્ષ કરીને કહ્યું કે જો કોઈ ગ્રાહક પાન અને આધાર બેંકમાં આપે તો તે ત્યારે જ લિંક થઇ જવા જોઈએ. આ ટ્વિટ બાદ તેઓ ટ્રોલ થયા હતા.

    ઉલ્લેખનીય છે કે સરકાર ઘણા સમયથી આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા માટે અપીલ કરતી રહી છે તેમજ ઘણી વખત ડેડલાઈન પણ લંબાવવામાં આવી છે. છેલ્લે માર્ચ 2022ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી પરંતુ વધુ એક વર્ષ માટે આ તારીખ લંબાવીને 31 માર્ચ, 2023 નક્કી થઇ હતી. 

    - Advertisement -

    જોકે, 31 માર્ચ, 2022 પછી સરકારે આધાર-પાન લિંક માટે ફી વસૂલવાનું શરૂ કર્યું હતું અને 1 એપ્રિલ, 2022થી ત્રણ મહિના સુધી એટલે કે 1 જુલાઈ, 2022 સુધી આ માટે 500 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી અને ત્યારબાદ આ ફી 1,000 કરવામાં આવી હતી. 

    આ જ મુદ્દાને લઈને નેટિઝન્સે AAP નેતાને સાચી સમજ આપી અને લોકોને ગેરમાર્ગે ન દોરવા માટે કહ્યું હતું. 

    સુહાસ સોલંકી નામના યુઝરે કહ્યું કે, સરકાર ચાર વર્ષથી કહી રહી છે અને ઈસુદાન પર કટાક્ષ કરતાં કહ્યું કે, જેમને મફતનું જોઈએ છે તેઓ નથી કરાવી રહ્યા એટલે સરકાર હાથ અજમાવી રહી છે. 

    અર્પિત પટેલે કહ્યું કે, ખોટી વાહવાહી મેળવવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા ન જોઈએ અને એ પણ ધ્યાન દોર્યું કે અગાઉ સરકારે મફત કરવાનું આપ્યું હતું. 

    પ્રજ્ઞેશ પટેલે પણ એ જ મુદ્દે ધ્યાન દોર્યું હતું અને સાથે એમ પણ કહ્યું કે ઈસુદાન ગઢવીએ ફરી સાધના માટે જતા રહેવું જોઈએ. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈસુદાન વિપશ્યના માટે ગયા હતા. 

    એક વ્યક્તિએ કહ્યું કે, સરકારે જ્યારે સમય આપ્યો ત્યારે શું ઘોડા વેચીને ઊંઘી રહ્યા હતા? 

    અન્ય પણ ઘણા યુઝરોએ સાચી પરિસ્થિતિ અને માહિતીથી આપ નેતાને વાકેફ કરાવ્યા હતા. 

    પરેશ મેવાડાએ લખ્યું કે, સરકારે જરૂર કરતાં વધારે સમય આધાર-પાન લિંક કરવા આપ્યો હતો ત્યારે તેઓ ક્યાં સૂતા હતા? ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી દ્વારા થતી મફતની જાહેરાતોને લઈને કટાક્ષ પણ કર્યો હતો.

    હિમાંશુ સોલંકીએ કટાક્ષ કરતાં કહ્યું કે તેમના વિચાર બહુ સારા છે અને તેમને VTVમાં કઈ રીતે નોકરી મળી હતી? ઉલ્લેખનીય છે કે ઈસુદાન ગઢવી અગાઉ ‘પત્રકાર’ હતા અને VTV ન્યૂઝમાં કામ કરતા હતા. ત્યાંથી રાજીનામું આપીને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

    કાયમ કોઈને કોઈ મુદ્દે સરકારને ઘેરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા ઈસુદાન ગઢવીએ આ મુદ્દાને લઈને પણ પ્રયાસો કરી જોયા હતા પરંતુ તેનું પરિણામ અવળું આવ્યું હતું અને લોકોએ તેમને સાચી સમજ પણ આપી હતી.

    (આધાર કાર્ડ અને પાન કાર્ડ કઈ રીતે લિંક કરવા તેની સંપૂર્ણ જાણકારી માટે ઑપઇન્ડિયાનું વિસ્તૃત એક્સપ્લેનર અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં