પાટણના ચંદ્રુમાણા ગામમાં એક દલિત યુવકના વરઘોડા પર હુમલો થયો હોવાના બનાવની FIR નોંધાયા બાદ પહેલાં ગુજરાતી અને ત્યારબાદ નેશનલ મીડિયામાં પણ ઘટનાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટનામાં અનેક પાસાં હોવા છતાં તેને જાતિવાદી એન્ગલ પણ આપવામાં આવી રહ્યો છે અને બીજી ઘણી બાબતો જણાવવામાં આવી રહી નથી, જે પોલીસ તપાસમાં સામે આવી ચૂકી છે.
NDTVએ એક રિપોર્ટમાં લખ્યું– ‘ગુજરાતમાં ઘોડા પર બેસવા બદલ દલિત વરરાજા પર તલવારો વડે હુમલો.’ રિપોર્ટમાં પણ ‘ડોમિનન્ટ (વર્ચસ્વ ધરાવતી) કાસ્ટ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટનો ઉપયોગ કરીને હવે પ્રોપગેન્ડા ફેલાવનારાઓ સક્રિય થઈ ગયા છે.
Dalit Groom Attacked With Swords For Riding Horse In Gujarat https://t.co/znlsDUFpwP pic.twitter.com/8pObITzfBr
— NDTV (@ndtv) February 2, 2026
ઝી24 કલાકે વિડીયો શૅર કરીને સમાચાર આપ્યા, જેમાં એન્કર કહે છે કે ‘અન્ય જાતિના લોકોએ અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા પર હુમલો કર્યો હતો.’
ઘોડા પર બેઠેલા અનુસુચિત જાતિના વરરાજા પર હુમલાનો પ્રયાસ, પાટણના ચંદ્રુમાના ગામમાં લગ્ન પ્રસંગ વચ્ચે ધડબડાટી બોલી!
— Zee 24 Kalak (@Zee24Kalak) February 1, 2026
#patan #gujarat #marraige #viralvideos #trendingvideos #viralreels #trendingreels pic.twitter.com/2IoVX43NW1
પહેલાં ઘટના શું બની હતી એ સમજીએ.
1 ફેબ્રુઆરીના રોજ પાટણ તાલુકા પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી. ગણપતભાઈ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ તેમના પુત્ર વિશાલનાં લગ્ન હતાં. તેનો વરઘોડો ચંદ્રુમાણા ગામમાં જોગણી માતાજીના મંદિરના ચોકમાં પહોંચ્યો અને ત્યાં ગરબા રમાતા હતા ત્યારે આરોપીઓ હથિયારો લઈને આવી પહોંચ્યા અને હુમલો કરી દીધો હતો, ઉપરાંત જાતિસૂચક અપશબ્દો કહીને ધમકી આપી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે એક પરિવારના 8 લોકો સામે એટ્રોસિટી એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.
જમીનની બાબતને લઈને લાંબા સમયથી ચાલતો વિવાદ
ઘણા મીડિયા અહેવાલોમાં ઘટનાને ‘ડોમિનન્ટ કાસ્ટ અટેક્સ દલિત્સ’ જેવા શબ્દો વડે રજૂ કરવામાં આવી છે, જેનાથી કથિત ઊંચી જાતિ અને દલિતો વચ્ચે સંઘર્ષ થયો હોવાનું લાગી શકે. પરંતુ હકીકત એ છે કે ઘટનામાં આરોપીઓ ઠાકોર સમુદાયના છે. તમામ એક જ પરિવારના છે. ઠાકોર સમુદાય OBCમાં આવે છે. પરંતુ તેમ છતાં અનેક અહેવાલોમાં આ ચોખવટ કરવામાં આવી નથી, જેથી સોશિયલ મીડિયા પર ‘સવર્ણ v/s દલિત’નો એન્ગલ આગળ ધપાવનારાઓને તક મળી ગઈ છે.
But upper’ed’ castes face discrimination na? https://t.co/m5sqW5jvtD— Sayema (@_sayema) February 2, 2026
અન્ય અકાઉન્ટે લખ્યું– ‘જાતિના વાડા તોડવા બદલ ઊંચી જાતિના લોકોએ દલિત વરરાજા પર હુમલો કર્યો.’
Corrections: Dalit groom attacked by Upper caste for breaking the caste barrier.
Now you know why we need #UGC https://t.co/FeHvpoYJhN— Nehr_who? (@Nher_who) February 2, 2026
નજીકમાં મરણ થયું હતું એટલે ડીજે ન વગાડવા કહ્યું હતું, ત્યારબાદ ધમાલ થઈ
ઘટનામાં જ્યારે પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીઓ અને ફરિયાદીઓ વચ્ચે જમીનની બાબતને લઈને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. એટલું જ નહીં 2022માં આ જ ફરિયાદીઓએ આરોપીઓ વિરુદ્ધ જામીનની માથાકૂટમાં એક ફરિયાદ કરાવી હતી, જે મામલે પણ FIR દાખલ થઈ હતી.
ઉપરાંત, ઘટનાની તપાસ કરતા તપાસ અધિકારી અને પાટણ જિલ્લા પોલીસના DySP પરેશ રેણુકા, જેમની પાસે ST/SC સેલનો કારભાર પણ છે, તેમણે મીડિયાને જણાવ્યું કે ઘટના બની ત્યારે આરોપીઓના ઘરની આસપાસ મરણ થયું હતું, જેથી તેમણે વરઘોડામાં ડીજે ન વગાડવા માટે કહ્યું હતું. જેને લઈને બંને પક્ષો વચ્ચે પછીથી ધમાલ થઈ અને મામલો બિચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો.
તપાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે ઘટનામાં જાતિની કોઈ માથાકૂટ નથી અને જૂની અદાવત મૂળ કારણભૂત છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગામમાં જાતિઓ વચ્ચે એવો કોઈ સંઘર્ષ નથી અને અગાઉ પણ દલિત સમુદાયના વરઘોડા શાંતિપૂર્ણ રીતે નીકળતા રહ્યા છે.
હાલ આ મામલે પોલીસે ફરિયાદના આધારે અમુક આરોપીઓની અટકાયત કરી છે તેમ પણ પોલીસે જણાવ્યું છે. ઘટનામાં આગળ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાંથી છાશવારે મેઈનસ્ટ્રીમ મીડિયા આવી ઘટનાઓનું રિપોર્ટિંગ કરતું રહે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આવા સંદર્ભો આપવામાં આવતા નથી અને વાત અવળે પાટે ચડી જાય છે. આવી માહિતીનો ઉપયોગ પછીથી જાતિવાદી એન્ગલ આપવા માટે કરવામાં આવતો રહે છે.
ગુજરાતમાં દલિતોના વરઘોડા અટકાવવામાં આવ્યા હોવાના અને મારપીટ થઈ હોવાના બનાવોનું રિપોર્ટિંગ અગાઉ પણ થઈ ચૂક્યું છે. આ કિસ્સામાં આવા વધુ એક કિસ્સાનો ઉપયોગ બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધારવા માટે કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકત એ છે જે ઉપર જણાવી.


