રવિવારે (4 જાન્યુઆરી) સવારે અનેક અખબારો અને મીડિયા પોર્ટલોએ સમાચારો પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો અને ખાડા પડી ગયાં છે. ‘સાચી વાત બેધડક’ કરવાના દાવા કરતા અખબાર ‘દિવ્ય ભાસ્કર’થી લઈને ગુજરાત સમાચાર સુધીનાં અખબારો અને અમુક ટીવી ચેનલોએ આ સમાચારો ચલાવ્યા હતા. હવે રાજ્ય સરકારે મૂળ હકીકત જણાવી છે.

અનેક મીડિયા સંસ્થાઓએ આ દાવા સાથે સમાચાર છાપ્યા અને બ્રિજને જોખમી ગણાવી દીધો હતો.

સરકારની સ્પષ્ટતા: વાસ્તવમાં એ એક્સપાન્સન જોઇન્ટ છે
આ અહેવાલોને ‘તથ્યાત્મક રીતે ખોટા’ અને ‘ભ્રામક’ ગણાવીને સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું કે વાસ્તવમાં આ સ્ટ્રક્ચરલ ક્રેક નથી પણ બ્રિજના બે સ્પાન વચ્ચેના એક્સપાન્સન જોઇન્ટ છે. એક્સપાન્સન જોઇન્ટ સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇનનો એક બહુ અગત્યનો ભાગ છે અને ઋતુ પ્રમાણે તાપમાનમાં ફેરફાર થાય તેને અનુકૂળ બાંધકામ જળવાય રહે તે માટે બ્રિજમાં મૂકવામાં આવે છે. એટલે આ સ્ટ્રક્ચરલ ડેમેજ નથી.
અહેવાલો આવી પછી કેપિટલ પ્રોજેક્ટ ડિવિઝન-3ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કેપિટલ પ્રોજેક્ટ સબ ડિવિઝન-18ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી અને તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે કે જેવું અખબારો અને અહેવાલોમાં જણાવાય છે એવું કોઈ સ્ટ્રક્ચરલ ડેમેજ થયું નથી, જેને ડેમેજ કહેવામાં આવી રહ્યું છે એ વાસ્તવમાં બ્રિજના એક્સપાન્સન જોઇન્ટ છે.
સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ઇન્દિરા બ્રિજનું સતત સમયાંતરે ટેકનિકલ ઇન્સ્પેક્શન થતો રહે છે, તાજેતરમાં જ એક વિગતવાર ટેકનિકલ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં પણ જણાવાયું હતું કે બ્રિજના મૂળ સ્ટ્રક્ચરમાં ક્યાંય કોઈ ડેમેજ નથી કે ન કોઈ ખામી હોવાનું જણાયું છે.
સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે વાહનોના ટ્રાફિક માટે ઇન્દિરા બ્રિજ સદંતર સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારના ડર કે અફવાની વાતોમાં આવ્યા વગર નાગરિકો બ્રિજનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.
એક્સપાન્સન જોઇન્ટનું કામ બ્રિજને સ્થિતિસ્થાપકતા આપવાનું હોય છે અને બ્રિજના બે ડેકની વચ્ચે આવેલો હોય છે. ઋતુ પ્રમાણે તાપમાનમાં વધઘટ થાય અને આ કિસ્સામાં બ્રિજ થોડોઘણો વિસ્તરે કે સંકોચાય છે. એ ફેરફાર એટલો મોટો હોતો નથી કે નરી આંખે દેખાય, પણ આવાં તોતિંગ બાંધકામોમાં એટલા ફેરફારથી પણ સ્ટ્રક્ચરલ ડેમેજ થઈ શકે. તેને ટાળવા માટે ડેક વચ્ચે જોઇન્ટ મૂકવામાં આવે છે, જેથી બ્રિજ થોડોઘણો આમતેમ થઈ શકે અને મૂળ બાંધકામને પણ કોઈ વાંધો આવતો નથી.
સામાન્ય માહિતી મેળવ્યા વગર રિપોર્ટ છાપી મારવાની કુટેવ ધરાવતાં ગુજરાતી અખબારોએ આ સમજ્યા-જાણ્યા વગર છાપી માર્યું અને ફરી એક વખત ફજેતી કરાવી છે!


