ભારત સહિત એશિયાના અનેક ભાગોમાં આ વર્ષે ઉનાળો અત્યંત વહેલો અને આકરો શરૂ થઈ ગયો છે. એપ્રિલ મહિનામાં જ તાપમાન વધી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન નિષ્ણાતો હાલમાં વૈશ્વિક આબોહવાની પેટર્ન ‘અલ નીનો’ અને તેના વધુ શક્તિશાળી સ્વરૂપ ‘સુપર અલ નીનો’ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે, જેથી સમજી શકાય કે શું આ જ પરિબળ અત્યંત ગરમી પાછળ જવાબદાર છે અને આગામી મહિનાઓમાં સ્થિતિ કેવી રહેશે.
ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ઉનાળાના મધ્ય ગાળા પહેલાં જ તાપમાનમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા પ્રદેશોમાં હીટવેવનું (લૂ) એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગરમીએ તેની પકડ મજબૂત કરી લીધી છે.
ચાલુ વર્ષે 25 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના બાંદામાં 47.4°C તાપમાન નોંધાયું હતું, જે દેશનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. તેવી જ રીતે દિલ્હીના સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં પારો 42.8°C સુધી પહોંચી ગયો હતો. આ તાપમાન સામાન્ય કરતાં 5°C વધુ હોવાથી સત્તાવાર રીતે તેને હીટવેવ જાહેર કરવામાં આવી છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન હાલમાં 40°C થી 45°Cની વચ્ચે રહે છે. જોકે, ચિંતાની વાત એ છે કે દિલ્હી, હરિયાણા અને ઓડિશા જેવાં રાજ્યોમાં રાત્રિનું તાપમાન પણ અસાધારણ રીતે ઊંચું નોંધાઈ રહ્યું છે. રાત્રે ગરમી ઘટતી ન હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.
IMDના રિપોર્ટ અનુસાર, હાલ દેશનાં ઓછામાં ઓછાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હીટવેવ અથવા ગંભીર હીટવેવની સ્થિતિ છે. હિમાચલ પ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશ જેવા કેટલાક પ્રદેશોમાં તો અત્યંત ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ ચેતવણીઓ જારી કરવામાં આવી છે, જે સૂચવે છે કે આ વર્ષનો ઉનાળો અગાઉનાં વર્ષો કરતાં વધુ ગરમ છે.
વૈશ્વિક સ્તરે ગરમીનો પ્રકોપ
આ ભીષણ ગરમી માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે એક ચિંતાજનક પેટર્ન ઊભી થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વર્તમાન ગરમીની સ્થિતિ એ એક મોટા આંતરરાષ્ટ્રીય જળવાયુ પરિવર્તનનો ભાગ છે. આ સંકેતો સ્પષ્ટ કરે છે કે ગરમીનો આ વધારો કોઈ એક દેશની નહીં, પણ સમગ્ર વિશ્વની સમસ્યા બની ગઈ છે.
નાસાના GISTEMPના (GISS Surface Temperature Analysis) ડેટા મુજબ, માર્ચ 2026 વૈશ્વિક સ્તરે અત્યાર સુધીના સૌથી ગરમ મહિનાઓમાંનો એક રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 1951-1980ના સરેરાશ તાપમાન કરતાં આશરે 1.27°C વધારે નોંધાયું હતું. આ આંકડો આમ સામાન્ય લાગે, પરંતુ વૈશ્વિક પરિદૃશ્યમાં તેની અસરો મોટી હોય છે.
યુરોપની ‘કોપરનિકસ ક્લાઈમેટ સર્વિસ’ દ્વારા જાહેર કરાયેલા આંકડા પણ આ જ દિશામાં નિર્દેશ કરે છે. તેમના મતે, તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતા 1.48°C વધુ નોંધાયું છે. આ આંકડો માર્ચ મહિનાને ઇતિહાસના અત્યાર સુધીના સૌથી ગરમ મહિનાઓની યાદીમાં ટોચ પર મૂકે છે, જે પર્યાવરણ માટે ખતરાની ઘંટડી સમાન છે.
તાપમાનમાં સૌથી મોટો અને આશ્ચર્યજનક ફેરફાર રશિયાના પૂર્વી સાઇબિરીયા, ખાસ કરીને યાકુટિયા પ્રદેશમાં જોવા મળ્યો હતો. અહીં માર્ચ મહિનાનું તાપમાન સામાન્ય કરતાં 10°Cથી પણ વધુ નોંધાયું હતું. વિજ્ઞાનીઓના મતે માનવ-પ્રેરિત જળવાયુ પરિવર્તન (Climate Change) વગર આટલો મોટો ફેરફાર થવો લગભગ અશક્ય છે.
એપ્રિલના અંતમાં જોવા મળેલા હીટ મેપ્સ સૂચવે છે કે ઉત્તર ભારત, આફ્રિકાનો સાહેલ પટ્ટો અને અરેબિયન પેનિનસુલાના (અરબ દ્વીપકલ્પ) અનેક ભાગોમાં તાપમાન 45°C ને પાર કરી ગયું છે. આ પરિસ્થિતિ પૃથ્વી પર એક વિશાળ ‘હીટ ઝોન’ બનાવે છે, જે સૂચવે છે કે ગરમીનું મોજું હવે વ્યાપક ભૌગોલિક વિસ્તારોને પોતાની લપેટમાં લઈ રહ્યું છે.
અલ નીનો શું છે?
‘અલ નીનો’ એ એક જટિલ પ્રક્રિયા છે. તેને પૃથ્વીના કુદરતી એર કન્ડિશનિંગમાં આવતી ખામી તરીકે સરળતાથી સમજી શકાય છે. સામાન્ય સંજોગોમાં પ્રશાંત મહાસાગર પર ફૂંકાતા મજબૂત પવન સૂર્યની ગરમીથી ગરમ થયેલા ઉપરના પાણીને પશ્ચિમ તરફ એટલે કે એશિયા અને ઑસ્ટ્રેલિયા તરફ ધકેલે છે. આના કારણે એશિયાના સમુદ્રનું તાપમાન વધે છે અને ત્યાં સારો વરસાદ પડે છે. બીજી તરફ, દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે (પેરૂ પાસે) નીચેનું ઠંડું અને પોષક તત્ત્વોથી ભરપૂર પાણી ઉપર આવે છે, જે દરિયાઈ જીવો માટે ઉત્તમ ગણાય છે.
અલ નીનો દરમિયાન આ ટ્રેડ વિન્ડ્સ (પવન) અચાનક નબળા પડી જાય છે અથવા તો તેમની દિશા બદલાઈ જાય છે. જ્યારે આ પવન નબળા પડે ત્યારે ગરમ પાણી એશિયા તરફ જવાને બદલે મધ્ય અને પૂર્વી પ્રશાંત મહાસાગર (દક્ષિણ અમેરિકા તરફ) પાછું વળવા લાગે છે. આના પરિણામે જે દરિયો સામાન્ય રીતે ઠંડો રહેવો જોઈએ તે અસાધારણ રીતે ગરમ થઈ જાય છે.
સમુદ્રની સપાટી પરનું આ ગરમ પાણી તેની ઉપરની હવાને પણ ગરમ કરે છે. ગરમ હવા ભેજ લઈને ઉપર ચઢે છે અને વાદળો બનાવે છે. આના કારણે જે વિસ્તારોમાં સામાન્ય રીતે દુષ્કાળ જેવી સ્થિતિ હોય ત્યાં ભારે વરસાદ પડે છે અને જ્યાં વધુ વરસાદ પડવો જોઈએ (જેમ કે ભારત અને ઑસ્ટ્રેલિયા), ત્યાં પવન ભેજ લાવી શકતા નથી, જેના કારણે ત્યાં વરસાદ ઓછો પડે છે અને ગરમી વધે છે.
ભારતનું ચોમાસું પ્રશાંત મહાસાગરની આ પ્રકિયા સાથે સીધું જોડાયેલું છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં ‘અલ નીનો’ સક્રિય હોય ત્યારે તે ભારત તરફ આવતા ભેજવાળા પવનોને ખેંચી લે છે અથવા નબળા પાડે છે. આના કારણે ભારતમાં ચોમાસું મોડું આવે છે અથવા વરસાદનું પ્રમાણ ઘટી જાય છે અને ઉનાળો વધુ આકરો અને લાંબો બને છે. આમ, હજારો કિલોમીટર દૂર સમુદ્રમાં થતો ફેરફાર ભારતના ખેતરો અને તાપમાન પર મોટી અસર કરે છે.
‘સુપર અલ નીનો’
‘સુપર અલ નીનો’ એ સામાન્ય અલ નીનોનું મોટું સ્વરૂપ છે, જે કુદરતી સંતુલનને સંપૂર્ણપણે ખોરવી નાખવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય અલ નીનોમાં સમુદ્રની સપાટીનું તાપમાન સરેરાશ કરતા 1 ડિગ્રી જેટલું વધતું હોય છે, પરંતુ ‘સુપર અલ નીનો’માં આ વધારો 2થી 2.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ જોવા મળે છે. આ વધારો જોવામાં નાનો લાગે, પરંતુ સમુદ્ર જેવી વિશાળ જળરાશિમાં એક ડિગ્રીનો વધારો પણ અબજો ટન વધારાની ગરમી વાતાવરણમાં છોડે છે. આ વધારાની ગરમી પૃથ્વીના ‘ગ્લોબલ હીટ એન્જિન’ને ઓવરહીટ કરી દે છે, જેના કારણે વિશ્વના અનેક ભાગોમાં તાપમાનના જૂના તમામ રેકોર્ડ તૂટી જાય છે અને અસહ્ય હીટવેવની સ્થિતિ સર્જાય છે.
‘સુપર અલ નીનો’ માત્ર ગરમી જ નથી લાવતું પણ તે વિશ્વના હવામાનનું આખું માળખું બદલી નાખે છે. તેના કારણે એક તરફ દક્ષિણ અમેરિકાના શુષ્ક પ્રદેશોમાં વિનાશક પૂર અને વાવાઝોડાં આવે છે, તો બીજી તરફ ભારત, ઇન્ડોનેશિયા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થાય છે. આ ઘટના પૃથ્વીના જેટ સ્ટ્રીમને (હવાના ઉપરના પ્રવાહો) પણ વિચલિત કરે છે, જેના કારણે શિયાળો ગરમ બની જાય છે અને ચોમાસાના પવન પોતાની દિશા કે શક્તિ ગુમાવી બેસે છે.
‘સુપર અલ નીનો’ની સૌથી ઘાતક અસર દરિયાઈ જીવન અને ખેતી પર પડે છે. સમુદ્રનું તાપમાન અચાનક વધવાને કારણે ખડકો (Coral Reefs) નાશ પામે છે અને માછલીઓનાં મોટા પ્રમાણમાં મોત થાય છે અથવા તેઓ ઠંડા પાણીની શોધમાં અન્યત્ર સ્થળાંતર કરે છે. જમીન પર અતિશય ગરમી અને વરસાદની અનિયમિતતાને કારણે પાક નિષ્ફળ જાય છે.
અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગ
અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચેનો સંબંધ ‘બળતામાં ઘી હોમવા’ જેવો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીના વાતાવરણમાં ગરમી પહેલેથી જ વધી રહી છે અને જ્યારે તેની સાથે અલ નીનો ભળે છે, ત્યારે તે વૈશ્વિક તાપમાનને રેકોર્ડ સ્તરે પહોંચાડી દે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોની સપાટી વધુ ગરમ થઈ રહી છે, જેના પરિણામે અલ નીનોની ઘટનાઓ હવે પહેલાં કરતાં વધુ વારંવાર, વધુ લાંબી અને વધુ વિનાશક બની રહી છે. ટૂંકમાં માનવસર્જિત પ્રદૂષણને કારણે થતું તાપમાનમાં વધારો કુદરતી અલ નીનોને વધુ ‘સુપર’ અને ઘાતક બનાવવામાં મદદ કરે છે.
બીજી તરફ, અલ નીનો પોતે પણ ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાને વેગ આપે છે. અલ નીનો દરમિયાન સમુદ્રમાં જમા થયેલી વિશાળ ગરમી વાતાવરણમાં મુક્ત થાય છે, જે પૃથ્વીના સરેરાશ તાપમાનને અસ્થાયી રૂપે ખૂબ વધારી દે છે. આ ચક્રને કારણે જંગલોમાં આગ (Wildfires) લાગવી અને ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધવું જેવી સમસ્યાઓ સર્જાય છે. વિજ્ઞાનીઓ માને છે કે જો ગ્લોબલ વોર્મિંગ આ જ ગતિએ ચાલુ રહેશે તો ભવિષ્યમાં ‘સુપર અલ નીનો’ જેવી ઘટનાઓ એક સામાન્ય બાબત બની જશે, જે પૃથ્વીના પર્યાવરણ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
‘સુપર અલ નીનો’ની આગામી અસરો
ભારતમાં આ વર્ષે માર્ચના અંતથી જ લૂ (Heatwave) શરૂ થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા 5થી 6 ડિગ્રી વધારે રહ્યું છે. જ્યારે હજુ તો મે અને જૂન મહિનાના ‘પીક સમર’ના દિવસો બાકી છે, ત્યારે એપ્રિલમાં 47 ડિગ્રી તાપમાન એ આવનારા સંકટની પૂર્વતૈયારી સમાન છે.
જો 2026ના મધ્યમાં ‘સુપર અલ નીનો’ સક્રિય થાય તો ભારત માટે સૌથી પહેલો ખતરો અતિશય લાંબી હીટવેવનો છે. સામાન્ય રીતે ઉનાળો જૂન મહિનામાં ચોમાસાના આગમન સાથે વિદાય લે છે પરંતુ આ વર્ષે દિવસનું તાપમાન લાંબા સમય સુધી ઊંચું રહી શકે છે. મે અને જૂન મહિનામાં લૂના અનેક રાઉન્ડ આવવાની શક્યતા છે. હવામાન વિભાગે (IMD) અત્યારથી જ ઉત્તર ભારતના ભાગોમાં ‘વોર્મ નાઈટ’ અને ‘સિવિયર વોર્મ નાઈટ’ની સ્થિતિ નોંધી છે. જ્યારે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે હોય ત્યારે માનવ શરીરને ગરમીથી ઠંડક મેળવવાનો સમય મળતો નથી, જે હીટસ્ટ્રોક અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.
ભારત માટે સૌથી મોટી ચિંતા ચોમાસાના વરસાદમાં થતો ઘટાડો છે. અલ નીનોની સીધી અસર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર પડે છે, જે ભારતનો 70% વરસાદ લાવે છે. જો ‘સુપર અલ નીનો’ પ્રશાંત મહાસાગરમાં મજબૂત બનશે તો તે ચોમાસાના પવનને નબળા પાડશે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ભારે ખેંચ વર્તાઈ શકે છે.
એપ્રિલના અંતમાં પશ્ચિમી વિક્ષેપને (Western Disturbances) કારણે તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, જે થોડી રાહત આપશે. પરંતુ વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આવી રાહત માત્ર ક્ષણિક હોય છે. જમીન અને વાતાવરણમાં રહેલી અતિશય ગરમીને કારણે આવી સિસ્ટમ્સ દૂર થતાં જ પારો ફરીથી તેજીથી ઉછળશે, જે સૂચવે છે કે ગરમીનું ચક્ર લાંબુ ચાલશે.
ભારતની આ વર્તમાન હીટવેવ કોઈ એકાકી ઘટના નથી, પરંતુ તે વૈશ્વિક તાપમાન વધારાનો એક ભાગ છે. આફ્રિકાના સાહેલ પ્રદેશથી લઈને અરેબિયન પેનિનસુલા સુધી તાપમાન 45 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ‘સુપર અલ નીનો’ આ વૈશ્વિક ગરમીમાં વધુ એક સ્તર ઉમેરે છે, જેના કારણે માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની હવામાન પેટર્નમાં અસ્થિરતા સર્જાવાની સંભાવના છે.
ટૂંકમાં ભારતમાં સ્થાનિક સ્તરે પણ હવામાનમાં જે ફેરફારો થાય એ સીધી રીતે ગ્લોબલ ક્લાઈમેટ પેટર્ન સાથે જોડાયેલા હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યારે બધું જ સો ટકા નિશ્ચિત નથી. જો ચોમાસું સમયસર અને મજબૂત રીતે બેસી જાય તો ગરમીનું દબાણ ઘટી શકે છે. પરંતુ અત્યારના પ્રારંભિક સંકેતો અને ક્લાઈમેટ મોડલ્સ મુજબ, 2026નું વર્ષ ઉનાળા અને વરસાદની દૃષ્ટિએ પડકારજનક સાબિત થવાનાં એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.


