Tuesday, March 4, 2025
More
    હોમપેજદેશવાઘ-સિંહની સંખ્યામાં ધરખમ વધારો, ગેંડા સંવર્ધનમાં વિશ્વભરમાં નામના, પ્રોજેક્ટ ચિત્તાનો વ્યાપ: PM...

    વાઘ-સિંહની સંખ્યામાં ધરખમ વધારો, ગેંડા સંવર્ધનમાં વિશ્વભરમાં નામના, પ્રોજેક્ટ ચિત્તાનો વ્યાપ: PM મોદીની આગેવાનીમાં વાઇલ્ડ લાઇફમાં અગ્રેસર ભારત, વાંચો કઈ રીતે મળી સફળતા

    PM મોદીએ કહ્યું કે, સ્થાનિક લોકો અને ઇકો-ટુરિઝમ વન્યજીવનને બચાવવામાં ઘણી મદદ કરી શકે છે. ભારતમાં વન વિસ્તારમાં 16,000 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. 2022માં વાઘની સંખ્યા વધીને 3,167 થઈ ગઈ, જે વિશ્વના કુલ વાઘની સંખ્યાના 70% થી વધુ છે

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 3 માર્ચ વિશ્વ વન્યજીવન દિવસ (World Wildlife Day) નિમિત્તે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની (Gir National Park) મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વન્યજીવોને બચાવવા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેઓ વહેલી સવારે સિંહ સફારી પર ગયા, સિંહના બચ્ચાઓના ફોટા લીધા અને સૂર્યોદયનો આનંદ પણ માણ્યો હતો. ત્યારપછી PM મોદીએ રાષ્ટ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડની સાતમી બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

    બેઠકમાં PM મોદીએ ‘પ્રોજેક્ટ લાયન’ની પ્રશંસા કરી હતી, જેના માટે ₹2,927 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ એશિયાઈ સિંહોને બચાવવા અને તેમની સંખ્યા વધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સિંહોની 16મી ગણતરી મે મહિનામાં થશે. આ સાથે જૂનાગઢમાં નેશનલ રેફરલ સેન્ટર-વાઇલ્ડ લાઇફનો પાયો પણ નાખવામાં આવ્યો હતો, જે વન્યજીવોના સ્વાસ્થ્ય અને રોગોની સંભાળ રાખવા માટે એક મોટું કેન્દ્ર બનશે.

    PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બરડા વન્યજીવન અભ્યારણમાં સિંહો માટે ખોરાકની સારી વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત જંગલને સુધારવા માટે કામ કરવામાં આવશે, કારણ કે સિંહો હવે જાતે જ ત્યાં પહોંચવા લાગ્યા છે. તેમણે નદી ડોલ્ફિન પર એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તમિલનાડુના કોઈમ્બતુરમાં SACON એટલે કે સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કેન્દ્ર માનવીઓ અને જંગલી પ્રાણીઓ વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસો કરશે.

    - Advertisement -

    આંકડાઓ અનુસાર, વર્તમાનમાં ગીરમાં 674 સિંહો છે અને આ સંખ્યા દર્શાવે છે કે, સિંહોની સારી સંભાળ રાખવામાં આવી રહી છે. દીપડાની સંખ્યામાં 75%નો વધારો થયો છે અને વિશ્વના 75% વાઘ હવે ભારતમાં રહે છે. ભારતમાં ગેંડાનો શિકાર પણ લગભગ બંધ થઈ ગયો છે. આ દરમિયાન PM મોદીએ ‘પ્રોજેક્ટ ચિત્તા’ને વધુ વિસ્તારવાની પણ વાત કરી હતી. હવે મધ્ય પ્રદેશના ગાંધીસાગર અભ્યારણ અને ગુજરાતના બન્ની ગ્રાસલેન્ડમાં પણ ચિત્તાઓને સ્થાયી કરવામાં આવશે. આ સાથે ઘડિયાળ (મગરની પ્રજાતિ) અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેવા પ્રાણીઓને બચાવવા માટે નવા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. વાઘના સંરક્ષણ માટે પણ એક યોજના બનાવવામાં આવી હતી.

    આ બેઠકમાં પ્રોજેક્ટ ટાઇગર, પ્રોજેક્ટ એલિફન્ટ અને પ્રોજેક્ટ ડોલ્ફિન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશમાં પ્રથમ વખત નદીની ડોલ્ફિનની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 6,327 ડોલ્ફિન મળી આવી હતી. આ ગણતરી 28 નદીઓમાં 8,500 કિલોમીટર સુધી કરવામાં આવી હતી. સૌથી વધુ ડોલ્ફિન ઉત્તર પ્રદેશમાં જોવા મળી હતી. ત્યારબાદ બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામનો નંબર આવે છે. ભારતમાં 106 રાષ્ટ્રીય ઉદ્યાનો, 573 વન્યજીવ અભ્યારણો, 115 કન્ઝર્વેશન રિઝર્વ અને 220  કમ્યુનિટી રિઝર્વ છે. આ બધું મળીને દેશની 5.32% જમીન આવરી લે છે. 2024-25ના બજેટમાં પર્યાવરણ મંત્રાલયને ₹3330.37 કરોડ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળનું બજેટ પણ બમણું કરીને ₹35  કરોડ કરવામાં આવ્યું હતું.

    PM મોદીએ કહ્યું કે, સ્થાનિક લોકો અને ઇકો-ટુરિઝમ વન્યજીવનને બચાવવામાં ઘણી મદદ કરી શકે છે. ભારતમાં વન વિસ્તારમાં 16,000 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. 2022માં વાઘની સંખ્યા વધીને 3,167 થઈ ગઈ, જે વિશ્વના કુલ વાઘની સંખ્યાના 70% થી વધુ છે. પ્રોજેક્ટ ટાઇગર 1973માં શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે વાઘની સંખ્યા ફક્ત 1411 હતી. હવે ભારત વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પ્રોજેક્ટ એલિફન્ટના પરિણામે 2022 સુધીમાં જંગલી હાથીઓની સંખ્યા 29,964 સુધી પહોંચી છે.

    પ્રધાનમંત્રીએ ફોરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયા અને BISAG-Nને જંગલમાં લાગતી આગને રોકવા માટે સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું. તેમણે AI અને મૈપિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. ઉરાંત ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે નેશનલ એક્શન પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો અને ઇન્ડિયન સ્લોથ બિયરને (રીંછ) બચાવવાની પણ વાત કરવામાં આવી હતી.

    PM મોદીના નેતૃત્વમાં ભારતનું વન્યજીવન સંરક્ષણ વિશ્વ માટે એક ઉદાહરણ બની રહ્યું છે. સિંહ, વાઘ, દીપડો, હાથી, ડોલ્ફિન અને ગેંડો જેવા પ્રાણીઓની સંખ્યા વધી રહી છે. જંગલો અને જૈવવિવિધતાને બચાવવાના આ પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આગામી વર્ષોમાં ભારત નવા પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી સાથે વધુ સારું પ્રદર્શન કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં