Saturday, March 7, 2026
More
    હોમપેજદેશપીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કેમ કરી હાઈપાવર્ડ ડેમોગ્રાફી મિશનની ઘોષણા: આંકડાઓ...

    પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કેમ કરી હાઈપાવર્ડ ડેમોગ્રાફી મિશનની ઘોષણા: આંકડાઓ સાથે સમજો કયા રાજ્યમાં ઘૂસણખોરીનું કેટલું જોખમ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ડેમોગ્રાફી બદલવાના ષડયંત્ર અંગે રાષ્ટ્રને કહ્યું કે, “હું રાષ્ટ્રને એક ચિંતા, પડકાર વિશે ચેતવણી આપવા માંગુ છું. એક સુવિચારિત ષડયંત્ર હેઠળ દેશની ડેમોગ્રાફી બદલવામાં આવી રહી છે અને એક નવા સંકટના બીજ વવાઈ રહ્યા છે."

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી 79મા સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધન કરતાં ભારતમાં ડેમોગ્રાફી ચેન્જ (Demographic Change) વિશે ચિંતા વ્યક્ત કરી અને ‘હાઈ-પાવર ડેમોગ્રાફી મિશન’ શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે ચેતવણી આપી કે દેશની વસ્તીની રચના બદલવાનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં થઈ રહેલા આ ફેરફારો દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય યુવાનોની આજીવિકા છીનવી, દેશની બહેન-દીકરીઓને ફસાવનારા ઘૂસણખોરોને ચેતવણી પણ આપી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ડેમોગ્રાફી બદલવાના ષડયંત્ર અંગે રાષ્ટ્રને કહ્યું કે, “હું રાષ્ટ્રને એક ચિંતા, પડકાર વિશે ચેતવણી આપવા માંગુ છું. એક સુવિચારિત ષડયંત્ર હેઠળ દેશની ડેમોગ્રાફી બદલવામાં આવી રહી છે અને એક નવા સંકટના બીજ વવાઈ રહ્યા છે. ઘૂસણખોરો દેશના યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે. ઘૂસણખોરો દેશની બહેનો અને દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે. આ સહન કરવામાં આવશે નહીં. આ ઘૂસણખોરો નિર્દોષ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અને તેમની જમીન કબજે કરે છે. દેશ આ સહન કરશે નહીં.”

    વડાપ્રધાનએ વધુમાં નોંધ્યું કે, લોકશાહીમાં પરિવર્તન એ એક રાષ્ટ્રીય જોખમ છે અને કહ્યું કે, “જ્યારે સરહદી વિસ્તારોમાં ડેમોગ્રાફી ચેન્જ થાય છે, ત્યારે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ પેદા કરે છે…કોઈ પણ દેશ પોતાને ઘૂસણખોરોના હવાલે સોંપી શકતો નથી…તેથી, હું કહેવા માંગુ છું કે અમે ‘હાઈ-પાવર ડેમોગ્રાફી મિશન’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.” વડાપ્રધાન મોદીની ડેમોગ્રાફી ચેન્જ અંગેની કડક ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તેમની સરકાર દેશભરમાં, ખાસ કરીને સરહદી રાજ્યોમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો પર કડક કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -

    મહત્વની બાબત એ પણ છે કે દેશમાં પરિસ્થિતિ એટલી હદે વકરી રહી છે કે દેશના વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આ અંગે ચિતા વ્યક્ત કરવી પડે છે. ઘણા સેક્યુલર અને લિબરલ ગેંગના લોકો આ બાબતને RSS ભાજપનો એજન્ડા ગણાવી દેશે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જે આંકડાકીય માહિતી સામે આવી છે તે કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે.

    આંકડાઓ રજૂ કરે છે ચોંકાવનારું ચિત્ર

    રાષ્ટ્રીય સ્તરે વસ્તી ફેરફાર (2001-2011)

    ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીક્લીમાં (EPW) પ્રકાશિત એક સંશોધન પેપર, જેમાં પ્રોફેસર શમીકા રવિ અને અન્ય સંશોધકોએ 2001થી 2011ની વસ્તી ગણતરીના આધારે ધાર્મિક રચનામાં ફેરફારોનું વિશ્લેષણ કર્યું. તેના મુખ્ય આંકડાઓ અનુસાર હિંદુ વસ્તી 2001માં 80.46%થી ઘટીને 2011માં 79.8% થઈ એટલે કે 0.7%નો ઘટાડો નોંધાયો છે.

    બીજી તરફ મુસ્લિમ વસ્તી 2001માં 13.43%થી વધીને 2011માં 14.23% થઈ છે, જેમાં 0.8% વધારો જોવા મળ્યો છે. દેશના 640 જિલ્લાઓમાંથી 468 (73%) જિલ્લાઓમાં હિંદુ વસ્તી ઘટી, જ્યારે 513 (80%) જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી વધી છે. 458 (72%) જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તીનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ (17.7%) કરતાં વધુ હતો, જ્યારે હિંદુઓ માટે આવા જિલ્લાઓ 268 (42%) અને ખ્રિસ્તીઓ માટે 417 (65%) હતા. 227 જિલ્લાઓમાં હિંદુ વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ (-0.7%) કરતાં વધુ ઘટ્યું.

    અસમ: ગેરકાયદેસર ઘૂસણખોરીનું કેન્દ્ર

    2011ની વસ્તી ગણતરી અનુસાર અસમમાં મુસ્લિમ વસ્તી 30.9%થી (2001) વધીને 34% થઈ ગઈ છે. ધુબરી, બારપેટા, ગોલપાડા અને મોરિગાંવ જેવા જિલ્લાઓમાં મુસ્લિમ બહુમતી થઈ ગઈ હતી. બાંગ્લાદેશ સાથેની સરહદને કારણે બાંગ્લાદેશી મુસ્લિમો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશે છે. આ ઘૂસણખોરો નકલી દસ્તાવેજો બનાવે છે, નોકરીઓ અને જમીનો હપડે છે અને ગુનાઓમાં સામેલ થાય છે.

    2019માં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સમાં (NRC) 19 લાખ લોકોને બાકાત રાખવામાં આવ્યા, જેમાંથી મોટાભાગના ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનું માનવામાં આવે છે. આદિવાસી સમુદાયો આ ઘૂસણખોરીનો સખત વિરોધ કરે છે, કારણ કે તેમની જમીનો હડપાઈ રહી છે અને સાંસ્કૃતિક ઓળખ પર જોખમ ઊભું થયું છે.

    પશ્ચિમ બંગાળમાં વસ્તી વધારો

    સંશોધન મુજબ બંગાળના ઉત્તર 24 પરગણા, મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી હોવાનું સામે આવ્યું છે. આ જિલ્લાઓમાં હિંદુ વસ્તીનું પ્રમાણ 1%થી વધુ ઘટ્યું, જે રાષ્ટ્રીય સરેરાશ (-0.7%) કરતાં વધુ છે. તૃણમૂલ કોંગ્રેસ સરકાર આ ગેરકાયદેસર ઘૂસણખોરોને રાજકીય લાભ માટે આશરો આપે છે, જેના કારણે આ જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તીનો વધારો થયો છે.

    કેરળ: જન્મદરમાં અસંતુલન

    2011ના આંકડા અનુસાર, કેરળમાં હિંદુઓ 54%, મુસ્લિમો 27% અને ખ્રિસ્તીઓ 18% છે. જન્મદરના આંકડા જોવામાં આવે તો 2008થી 2019ની વચ્ચે મુસ્લિમોનો જન્મદર 36.3%થી વધીને 44.4% થઈ ગયો છે. એટલે કે 10%નો વધારો થયો છે. બીજી તરફ હિંદુઓનો જન્મદર 45%થી ઘટીને 41% થયો છે. તથા ખ્રિસ્તીઓનો જન્મદર 17.6%થી ઘટીને 14.3% થયો છે. 2015 પછી મુસ્લિમોનો જન્મદર હિંદુઓ કરતાં વધી ગયો, જે તેમના વસ્તી પ્રમાણ (27%) કરતાં ઘણો વધુ છે.

    પૂર્વોત્તર રાજ્યો: ખ્રિસ્તી વસ્તીનો વધારો

    નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ખ્રિસ્તી વસ્તી ઝડપથી વધી રહી છે. 238 જિલ્લાઓમાં ખ્રિસ્તી વસ્તી 50%થી વધુ વધી છે. ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસીઓને નાણાકીય પ્રોત્સાહન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની લાલચ આપીને ધર્માંતરણ કરાવે છે.

    લાંબા ગાળાના ફેરફારો (1950-2015)

    આર્થિક સલાહકાર પરિષદના અભ્યાસ મુજબ, હિંદુ વસ્તી 84%થી (1950) ઘટીને 78% (2015) (-7.8%) થવા પામી છે જ્યારે મુસ્લિમ વસ્તી 9.84%થી વધીને 14.09% (+43.15%) થઈ છે. આ સિવાય ખ્રિસ્તી અને શીખોની વસ્તીમાં એકંદરે +5.38% અને +6.58%નો વધારો જોવા મળ્યો છે.

    અન્ય રાજ્યો

    ઉત્તર પ્રદેશમાં ઉત્તર-પશ્ચિમના જિલ્લાઓમાં હિંદુ વસ્તી ઘટી, મુસ્લિમ વસ્તી વધી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના જિલ્લાઓ અને મલબાર પ્રદેશમાં મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશાના મધ્ય જિલ્લાઓમાં પણ હિંદુ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે.

    ડેમોગ્રાફી ચેન્જના કારણો

    અસમ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા સરહદી રાજ્યોમાં બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદેસર ઘૂસણખોરો આવે છે. આ ઘૂસણખોરો નકલી દસ્તાવેજો બનાવે છે, નોકરીઓ અને જમીનો હડપે છે અને ગુનાઓ જેમ કે દાણચોરી, હિંસા અને ધર્માંતરણમાં સામેલ થાય છે.

    આ સિવાય વિદેશી ફંડિંગ દ્વારા ચાલતા ધર્માંતરણના રેકેટ, જેમ કે છાંગુર પીર જમાલુદ્દીન જેવા કેસો, આદિવાસીઓ અને ગરીબ વર્ગોને નિશાન બનાવે છે. નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય જેવા પૂર્વોત્તર રાજ્યોમાં આદિવાસીઓને નાણાકીય પ્રોત્સાહન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની લાલચ આપીને ખ્રિસ્તી પંથમાં ફેરવવામાં આવે છે. આ સિવાય લવ જેહાદ દ્વારા હિંદુ મહિલાઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવવામાં આવે છે.

    મુસ્લિમ વસ્તીનો જન્મદર (24.6%) રાષ્ટ્રીય સરેરાશ (17.7%) કરતાં ઘણો વધુ છે. તેના કારણે મુસ્લિમ વસ્તી ઝડપથી વધે છે, જેમ કે કેરળમાં જન્મદરના આંકડા દર્શાવે છે. હિંદુઓનો જન્મદર ઘટી રહ્યો છે, જે ખાસ કરીને કેરળ, અસમ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે.

    ડેમોગ્રાફી ચેન્જની અસરો

    ગેરકાયદેસર ઘૂસણખોરી સરહદી વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો દાણચોરી, હિંસા અને ગુનાઓમાં સામેલ હોય છે. અસમમાં આદિવાસી જમીનો પર ગેરકાયદેસર કબજો અને હિંદુ મંદિરોનું અપમાન (જેમ કે ધુબરીમાં જૂન 2025માં હનુમાન મંદિરમાં ગૌમાંસ ફેંકવાની ઘટના) સ્થાનિક લોકોમાં ગુસ્સો ફેલાવે છે.

    જ્યાં મુસ્લિમો બહુમતીમાં હોય છે, ત્યાં હિંદુ તહેવારો (જેમ કે રામ નવમી, હનુમાન જયંતી, દિવાળી, દુર્ગા પૂજા) પર વિરોધ થાય છે. હિંદુઓ પર હુમલા, મંદિરોનું અપમાન અને સાંસ્કૃતિક દમનની ઘટનાઓ વધે છે. જેમ કે ઉત્તર પ્રદેશના સંભલમાં, જ્યાં મુસ્લિમો બહુમતીમાં છે, ઘણાં હિંદુ મંદિરો બંધ અને ઉપેક્ષિત જોવા મળ્યા. 2024માં એક વિવાદાસ્પદ મસ્જિદના સરવે દરમિયાન મુસ્લિમ ટોળાંએ હિંસા ફેલાવી.

    મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિંદુઓને અને અન્ય બિન-મુસ્લિમો માટે ‘નો-ગો ઝોન’ અને ‘મિની પાકિસ્તાન’ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં તેમને ભય અને દમનનો સામનો કરવો પડે છે. મુસ્લિમોની વધતી વસ્તી ચોક્કસ વિસ્તારોમાં ‘વોટબેંક’ બની જાય છે, જેનો રાજકીય પક્ષો લાભ લે છે. તેનાથી હિંદુઓ અને અન્ય બિન-મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટે છે.

    1909ના મોર્લે-મિન્ટો રિફોર્મ્સ અને 1935ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ દ્વારા મુસ્લિમોને અલગ ચૂંટણી મતદારો આપવામાં આવ્યા હતા. જેના કારણે મુસ્લિમ લીગની શક્તિ વધી અને 1946ની ચૂંટણીઓમાં 87% બેઠકો જીતી, જેના પરિણામે પાકિસ્તાનની રચના કરવી પડી.

    ઇતિહાસનું પુનરાવર્તન?

    ભારતનું 1947નું વિભાજન એ એક ચેતવણીસૂચક ઉદાહરણ છે. મુસ્લિમ લીગે ‘ટુ-નેશન થિયોરી’ના આધારે દાવો કર્યો કે હિંદુઓ અને મુસ્લિમો એકસાથે રહી શકે નહીં અને અલગ ઇસ્લામી રાષ્ટ્રની માંગણી કરી. 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમોએ મુસ્લિમ લીગને ભારે બહુમતીથી ટેકો આપ્યો, જેના પરિણામે ‘ડાયરેક્ટ એક્શન ડે’ની હિંસા, લૂંટ, બળાત્કાર અને નરસંહાર થયો અને પાકિસ્તાનની રચના થઈ.

    આજે, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિંદુઓ પર હુમલા, તહેવારો પર વિરોધ, અને મંદિરોનું અપમાન જેવી ઘટનાઓ સામાન્ય બની છે. 2021ના પ્યૂ રિસર્ચ અનુસાર, 74% ભારતીય મુસ્લિમો શરિયા કાયદાને પ્રાધાન્ય આપે છે, જે ભારતના ધર્મનિરપેક્ષ કાયદાઓ સાથે સંઘર્ષ ઊભો કરે છે. આવી માનસિકતા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિંદુઓ અને અન્ય બિન-મુસ્લિમો માટે જોખમ વધારે છે.

    સરકારના પગલાં: ઉકેલ તરફની દિશા

    ઑપરેશન પુશબેક

    કેન્દ્ર સરકારે ‘ઑપરેશન પુશબેક’ શરૂ કર્યું છે, જેનો હેતુ ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને શોધવા, અટકાયત કરવા અને દેશનિકાલ કરવાનો છે. અસમમાં ભાજપ સરકાર આ ઘૂસણખોરોને દેશનિકાલ કરવા માટે આક્રમક રીતે કામ કરી રહી છે.

    હાઈ-પાવર ડેમોગ્રાફી મિશન

    વડાપ્રધાન મોદીએ જાહેર કરેલું આ મિશન વસ્તી રચનામાં થઈ રહેલા ફેરફારોને નિયંત્રિત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન ગેરકાયદેસર ઘૂસણખોરી, ધર્માંતરણ અને ઉચ્ચ જન્મદર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

    ધર્માંતરણ વિરોધી કાયદાઓ

    ધર્માંતરણની ઘટનાઓને રોકવા માટે કડક કાયદાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. આ કાયદાઓ હિંદુઓ, શીખો અને અન્ય બિન-મુસ્લિમ સમુદાયોને નિશાન બનાવતા ઇસ્લામી અને ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટોને રોકવામાં મદદ કરશે.

    ‘વસ્તી એ ભવિષ્ય છે’ એ કહેવત ભારતના સંદર્ભમાં સાચી સાબિત થઈ રહી છે. ગેરકાયદેસર ઘૂસણખોરી, ધર્માંતરણ અને ઉચ્ચ જન્મદરને કારણે હિંદુ વસ્તી ઘટી રહી છે, જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી વસ્તી ઝડપથી વધી રહી છે. આ ફેરફારો ભારતની ધર્મનિરપેક્ષ ઓળખ, સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ભારતનું ધર્મનિરપેક્ષ ચરિત્ર તેની હિંદુ બહુમતીને કારણે જ ટકી રહ્યું છે. 1947નું વિભાજન, જે ઇસ્લામી રેખાઓ પર થયું, એ ચેતવણી છે કે વસ્તી રચનામાં ફેરફાર દેશની અખંડિતતાને નબળી પાડી શકે છે. ‘હાઈ-પાવર ડેમોગ્રાફી મિશન’, ‘ઑપરેશન પુશબેક’ અને ધર્માંતરણ વિરોધી કાયદાઓ જેવા પગલાં આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. ભારતે ઇતિહાસમાંથી શીખીને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવું પડશે, નહીં તો બદલાતી વસ્તી રચના દેશને ‘પાકિસ્તાન-ઇન-ધ-મેકિંગ’ તરફ દોરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં