હોમપેજદેશભોજશાળા માતા સરસ્વતીનું મંદિર, મુસ્લિમોની નમાજની મંજૂરી રદ: અયોધ્યા ચુકાદાના આધારે હાઇકોર્ટે...

ભોજશાળા માતા સરસ્વતીનું મંદિર, મુસ્લિમોની નમાજની મંજૂરી રદ: અયોધ્યા ચુકાદાના આધારે હાઇકોર્ટે કેવી રીતે આપ્યો ઐતિહાસિક નિર્ણય

કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ ઐતિહાસિક સાહિત્ય, સંદર્ભો અને પુરાતત્વીય વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે ભોજશાળા એક સમયે સંસ્કૃત શિક્ષણ, વૈદિક અભ્યાસ અને જ્ઞાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. હિંદુ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે રાજા ભોજે 1034 આસપાસ માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી હતી અને ભોજશાળા વૈદિક અભ્યાસનું કેન્દ્ર હતું.

- Advertisement -

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસરને લઈને વર્ષોથી ચાલી રહેલા ઐતિહાસિક, ધાર્મિક અને કાનૂની વિવાદમાં આખરે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે એવો ચુકાદો આપ્યો છે, જેને ઘણા લોકો અયોધ્યા બાદનો વધુ એક મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય ગણાવી રહ્યા છે. ઈન્દોર બેન્ચના જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે ભોજશાળાનું ધાર્મિક સ્વરૂપ માતા વાગ્દેવીના (સરસ્વતી) મંદિર તરીકે જ છે.

 કોર્ટે માત્ર ઐતિહાસિક દાવાઓને માન્યતા આપી નથી, પરંતુ 2003માં આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા બહાર પાડવામાં આવેલા તે વિવાદિત સર્ક્યુલરને પણ રદ કરી નાખ્યું છે, જેના આધારે મુસ્લિમોને શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવતી હતી અને હિંદુઓના પૂજા અધિકારો મર્યાદિત કરવામાં આવ્યા હતા.

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે ભોજશાળામાં હિંદુ પૂજાની પરંપરા ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. સમય સાથે તેમાં નિયંત્રણો મૂકવામાં આવ્યા હશે, પરંતુ પૂજા અને આસ્થા સતત ચાલુ રહી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઐતિહાસિક સાહિત્ય, પુરાતત્વીય સંદર્ભો અને ઉપલબ્ધ દસ્તાવેજો દર્શાવે છે કે આ સ્થળ રાજા ભોજ સાથે સંકળાયેલ સંસ્કૃત શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું અને અહીં માતા સરસ્વતીને સમર્પિત મંદિર અસ્તિત્વમાં હતું. તેથી વિવાદિત પરિસરનું ધાર્મિક સ્વરૂપ ‘ભોજશાળા સાથેનું વાગ્દેવી મંદિર’ તરીકે જ માન્ય ગણવામાં આવે છે.

- Advertisement -

‘કમાલ મૌલા મસ્જિદ’ના દાવા વચ્ચે કોર્ટે શું કહ્યું?

વર્ષોથી મુસ્લિમ પક્ષ આ પરિસરને ‘કમાલ મૌલા મસ્જિદ’ તરીકે રજૂ કરીને ત્યાં નમાજનો અધિકાર માગતો રહ્યો હતો. 2003માં ASIએ એક વ્યવસ્થા ઊભી કરી હતી, જેમાં મંગળવારે હિંદુઓને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે શુક્રવારે મુસ્લિમોને નમાજની મંજૂરી આપવામાં આવી હતી. આ વ્યવસ્થાને હિંદુ પક્ષ લાંબા સમયથી પડકારતો રહ્યો હતો.

હાઇકોર્ટે હવે આ સમગ્ર વ્યવસ્થાને કાયદેસર રીતે અયોગ્ય ઠેરવી છે. ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે 2003નું ASI સર્ક્યુલર, જેમાં હિંદુઓના અધિકારો મર્યાદિત કરવામાં આવ્યા હતા અને મુસ્લિમોને નમાજની મંજૂરી આપવામાં આવી હતી, તે રદ કરવામાં આવે છે.

કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે 2003માં ASIએ ભોજશાળા પરિસરમાં હિંદુઓના પૂજા અધિકારો પર મૂકેલા નિયંત્રણો અને મુસ્લિમોને નમાજ માટે આપવામાં આવેલી મંજૂરી હવે કાયદેસર રીતે માન્ય રહી નથી અને તે આદેશ રદ કરવામાં આવે છે.

આ સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું કે જો મુસ્લિમ સમુદાય ઇચ્છે તો ધાર જિલ્લામાં મસ્જિદ અથવા નમાજ માટે અલગ જમીનની ફાળવણી માગતી અરજી રાજ્ય સરકાર સમક્ષ કરી શકે છે. જો આવી અરજી કરવામાં આવશે તો રાજ્ય સરકાર કાયદા મુજબ યોગ્ય અને કાયમી જમીન ફાળવવા અંગે વિચાર કરી શકે છે.

આયોધ્યા ચુકાદાનો આધાર, ASIના પુરાવાઓ પર વિશ્વાસ

આ ચુકાદો આપતી વખતે હાઇકોર્ટે માત્ર ધાર્મિક દલીલો અથવા ભાવનાઓના આધારે નિર્ણય કર્યો નહોતો. કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે તેણે ASI સરવે, ઐતિહાસિક દસ્તાવેજો, પુરાતત્વીય પુરાવાઓ અને સુપ્રીમ કોર્ટના અયોધ્યા ચુકાદામાં નક્કી કરાયેલા સિદ્ધાંતોના આધારે નિર્ણય લીધો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય માત્ર દાવા-પ્રતિદાવાઓના આધારે નહીં, પરંતુ ASIના વૈજ્ઞાનિક સરવે, ઐતિહાસિક દસ્તાવેજો, પુરાતત્વીય પુરાવાઓ અને અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા કાનૂની સિદ્ધાંતોના આધારે લેવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યું કે ભારતના દરેક શાસનની બંધારણીય ફરજ છે કે તે માત્ર ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્મારકોનું જ નહીં, પરંતુ તેમના ગર્ભગૃહ અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા દેવતાઓનું પણ સંરક્ષણ કરે.

ASIના 98 દિવસના વૈજ્ઞાનિક સરવેમાં શું મળ્યું?

આ સમગ્ર કેસમાં ASIનો સરવે રિપોર્ટ સૌથી મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યો હતો. 2024માં હાઇકોર્ટના આદેશ બાદ ASIએ ભોજશાળા પરિસરનો 98 દિવસ સુધી વૈજ્ઞાનિક સરવે કર્યો હતો. સરવેમાં વિડીયોગ્રાફી, આર્કિટેક્ચરલ અભ્યાસ, સ્તંભોની તપાસ, શિલાલેખો અને અવશેષોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ASIએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે હાલનું માળખું અગાઉના મંદિરોના ભાગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. કોતરણીવાળા પિલરો, દેવમૂર્તિઓના ખંડિત અવશેષો, નિશવાળા સ્તંભો અને અન્ય સ્થાપત્ય પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અગાઉ અહીં હિંદુ મંદિર અસ્તિત્વમાં હતું.

ASIએ પોતાના સરવેમાં જણાવ્યું હતું કે હાલના માળખામાં ઉપયોગમાં લેવાયેલા અનેક સ્તંભો, કોતરણીવાળા ભાગો અને સ્થાપત્યના તત્વો અગાઉના હિંદુ મંદિરોના હતા અને બાદમાં તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે.

રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે કેટલીક દેવમૂર્તિઓના આકારો અને ચહેરાઓ કાપી નાખવામાં આવ્યા છે. કેટલાક પિલરો પર ચારેય દિશામાં કોતરણી જોવા મળી હતી જેમાં ખંડિત દેવમૂર્તિઓના અવશેષો હતા. ASIએ પણ કહ્યું હતું કે હાલનું માળખું બેસાલ્ટના ઊંચા પ્લેટફોર્મ પર ઊભું કરવામાં આવ્યું છે અને તેમાં જૂના મંદિરના તત્વો ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

‘ભોજશાળા સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર હતું’

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં રાજા ભોજ અને ભોજશાળાના ઐતિહાસિક સંબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે ઐતિહાસિક સાહિત્ય દર્શાવે છે કે ભોજશાળા માત્ર મંદિર નહોતું, પરંતુ સંસ્કૃત અભ્યાસ અને જ્ઞાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.

કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ ઐતિહાસિક સાહિત્ય, સંદર્ભો અને પુરાતત્વીય વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે ભોજશાળા એક સમયે સંસ્કૃત શિક્ષણ, વૈદિક અભ્યાસ અને જ્ઞાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. હિંદુ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે રાજા ભોજે 1034 આસપાસ માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી હતી અને ભોજશાળા વૈદિક અભ્યાસનું કેન્દ્ર હતું.

લંડન મ્યુઝિયમમાં રહેલી માતા સરસ્વતીની પ્રતિમા પર પણ કોર્ટની નોંધ

કેસ દરમિયાન હિંદુ પક્ષે દલીલ કરી હતી કે બ્રિટિશ શાસન દરમિયાન અહીંથી માતા સરસ્વતીની પ્રતિમા લઈ જઈને લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. અરજદારોએ આ પ્રતિમાને ભારત પરત લાવવાની માંગ પણ કરી હતી.

હાઇકોર્ટે આ મુદ્દે સીધો આદેશ આપ્યો ન હતો, પરંતુ ભારત સરકારને રજૂઆત પર વિચાર કરવા કહ્યું હતું. હાઇકોર્ટે કહ્યું કે ભોજશાળામાંથી બ્રિટિશ શાસન દરમિયાન લઈ જવામાં આવેલી માતા સરસ્વતીની પ્રતિમાને લંડનથી પરત લાવવાની માંગ અંગે ભારત સરકાર અરજદારોની રજૂઆત પર વિચાર કરી શકે છે.

મુસ્લિમ પક્ષે કોર્ટમાં શું દલીલો કરી?

મુસ્લિમ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે ખિલજી કાળના ઐતિહાસિક દસ્તાવેજોમાં મંદિર તોડીને મસ્જિદ બનાવ્યાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમણે 1935ના એક ‘અલાન’નો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તત્કાલીન ધાર શાસકે મુસ્લિમોને નમાજની મંજૂરી આપી હોવાનું કહેવાયું હતું.

મુસ્લિમ પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે આ પરિસર લાંબા સમયથી ‘કમાલ મૌલા મસ્જિદ’ તરીકે ઓળખાય છે અને ત્યાં નમાજ પઢવાની પરંપરા રહી છે. જોકે રાજ્ય સરકાર અને હિંદુ પક્ષે દલીલ કરી હતી કે આ સ્થળ 1904ના Ancient Monument Preservation Act હેઠળ પહેલાંથી જ સુરક્ષિત સ્મારક જાહેર થઈ ચૂક્યું હતું, તેથી બાદમાં જારી કરાયેલ કોઈપણ ‘અલાન’ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી.

સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો

2024માં હાઇકોર્ટ દ્વારા ASI સરવેનો આદેશ આપવામાં આવ્યા બાદ મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરવે પર રોક લગાવી ન હતી, પરંતુ કહ્યું હતું કે સરવે રિપોર્ટ પર અંતિમ નિર્ણય સુધી કાર્યવાહી ન કરવામાં આવે.

બાદમાં સુપ્રીમ કોર્ટે સમયબદ્ધ પ્રક્રિયા નક્કી કરીને રિપોર્ટ અનસીલ કરવા, તમામ પક્ષોને નકલ આપવા અને અંતિમ સુનાવણી દરમિયાન વાંધાઓ સાંભળવાનો આદેશ આપ્યો હતો. જાન્યુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ પણ આપ્યો હતો. આ તમામ પ્રક્રિયા બાદ આખરે હાઇકોર્ટે અંતિમ ચુકાદો આપ્યો છે.

જજ પોતે ગયા હતા ભોજશાળાની મુલાકાતે

આ કેસમાં એક મહત્વપૂર્ણ ઘટના એ પણ હતી કે અંતિમ ચુકાદા પહેલાં જસ્ટિસ વિજય કુમાર શુક્લાએ 24 માર્ચે ભોજશાળા પરિસરની જાતે મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની રચના, માળખું અને ધાર્મિક ગોઠવણ સમજવા માટે નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત બાદ જ અંતિમ ચુકાદા તરફ કાર્યવાહી આગળ વધી હતી.

હાઇકોર્ટે હવે કેન્દ્ર સરકાર અને ASIને ભોજશાળા મંદિરના સંચાલન અને વ્યવસ્થાપન અંગે નિર્ણય લેવા આદેશ આપ્યો છે. જોકે ASI પાસે પરિસરનું સંપૂર્ણ વહીવટી અને સંરક્ષણ નિયંત્રણ યથાવત રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભોજશાળા પરિસરની જાળવણી, સંરક્ષણ અને ત્યાં થતી ધાર્મિક પ્રવૃત્તિઓના નિયમન પર ASIનું સંપૂર્ણ નિયંત્રણ અને દેખરેખ યથાવત રહેશે. અર્થાત હવે ASI જ પરિસરની જાળવણી, સંરક્ષણ અને ધાર્મિક પ્રવૃત્તિઓના નિયમન પર અંતિમ નિયંત્રણ રાખશે.

અયોધ્યા બાદ વધુ એક ઐતિહાસિક ચુકાદો?

આ ચુકાદાને ઘણા લોકો અયોધ્યા બાદનો વધુ એક ઐતિહાસિક નિર્ણય ગણાવી રહ્યા છે. કારણ કે આ કેસમાં પણ કોર્ટએ પુરાતત્વીય પુરાવા, ઐતિહાસિક સાહિત્ય, સતત ચાલતી પૂજાની પરંપરા અને ASIના વૈજ્ઞાનિક અભ્યાસના આધારે વિવાદિત પરિસરની ધાર્મિક ઓળખ નક્કી કરી છે.

વર્ષોથી ભોજશાળા વિવાદ માત્ર ધાર જિલ્લો કે મધ્ય પ્રદેશ પૂરતો મર્યાદિત નહોતો. હિંદુ સંગઠનો સતત દાવો કરતા રહ્યા હતા કે આ સ્થળ મૂળ માતા વાગ્દેવીનું મંદિર છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને મસ્જિદ તરીકે રજૂ કરતો રહ્યો હતો. હવે હાઇકોર્ટના આ ચુકાદા બાદ આ લાંબા વિવાદમાં હિંદુ પક્ષને મોટી કાનૂની જીત મળી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં