Wednesday, May 7, 2025
More
    હોમપેજગુજરાત1600 KMથી વધીને 2300 KM થઈ ગયો ગુજરાતનો દરિયાકાંઠો!: માપણી પદ્ધતિમાં મોટા...

    1600 KMથી વધીને 2300 KM થઈ ગયો ગુજરાતનો દરિયાકાંઠો!: માપણી પદ્ધતિમાં મોટા બદલાવ, સેટેલાઇટ સહિત અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગનું છે આ પરિણામ- અહીં સમજો કઈ રીતે થયો આ ‘વધારો’

    પહેલાંના સમયમાં દરિયાકિનારાની લંબાઈ માપવા માટે નકશા, ફીલ્ડ સર્વે અને મેન્યુઅલ ગણતરીઓનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિઓમાં ચોકસાઈની મર્યાદાઓ હતી. હવે સેટેલાઈટ ઈમેજરી, ડ્રોન ટેક્નોલોજી અને GIS સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, જે ખૂબ જ ચોક્કસ અને વિગતવાર માપન આપે છે.

    - Advertisement -

    ગુજરાત (Gujarat) ભારતનું પશ્ચિમી રાજ્ય, દેશના સૌથી લાંબા દરિયાકિનારા માટે જાણીતું છે. તાજેતરના ડેટા અનુસાર, ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં (Coastline Length) નોંધપાત્ર વધારો થયો છે. પહેલાં ગુજરાતનો દરિયાકિનારો લગભગ 1,600 કિલોમીટર ગણવામાં આવતો હતો, પરંતુ હવે તે 2,340.62 કિલોમીટર નોંધાયો છે. એટલે કે લગભગ 700 કિલોમીટરનો વધારો થયો એવું માનવામાં આવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકિનારો વર્ષ 1970માં 1,214 કિલોમીટર હતો, બાદમાં 1660 કિલોમીટર થયો, ત્યારબાદ 1945 કિલોમીટર થયો. આમ, ગુજરાતનો દરિયાકાંઠો છેલ્લા 53 વર્ષમાં લગભગ બમણો થઈને 2,340 કિલોમીટર થયો છે. આ નોંધપાત્ર વધારો શું છે? શું ગુજરાતનો દરિયાકિનારો ખરેખર ભૌગોલિક રીતે વધ્યો છે? કે આ માત્ર માપણીની ચોકસાઈનું પરિણામ છે? આજે જાણીએ કે આ પ્રશ્નોના વાસ્તવિક ઉત્તર શું છે.

    દરિયાકિનારાની લંબાઈમાં વધારો! કેવી રીતે?

    ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં થયેલો વધારો ભૌગોલિક વિસ્તરણને બદલે ચોક્કસ માપણી અને ગણતરીની નવી પદ્ધતિઓનું પરિણામ છે. ભારત સરકારે દરિયાકિનારાની લંબાઈની ગણતરી માટે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. જેમાં સેટેલાઈટની મદદ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે આપણે એ દરેક પદ્ધતિ વિશેની જાણકારી મેળવીશું.

    - Advertisement -

    જીઓગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS): GIS સોફ્ટવેરનો (જેમ કે ArcGIS, QGIS) ઉપયોગ દરિયાકિનારાની રેખાને ડિજિટલ રૂપે ટ્રેસ કરવા માટે થયો. આ પદ્ધતિ 1:10,000 સ્કેલ પર નાની-નાની વિગતો (જેમ કે ખંભાતની ખાડી, કચ્છની ખાડી) સામેલ કરે છે.

    સેટેલાઈટ ઈમેજરી (Sentinel-2, Landsat-9): Sentinel-2 અને Landsat-9 સેટેલાઈટ્સના ઉચ્ચ-રિઝોલ્યુશન ચિત્રોનો ઉપયોગ જમીન-પાણીની સીમા નક્કી કરવા થયો. નોર્મલાઈઝ્ડ ડિફરન્સ વોટર ઈન્ડેક્સ (NDWI) દ્વારા પાણી અને જમીનની સીમા ઓળખાઈ. Sentinel-2 ડેટા 5-10 મીટરની ચોકસાઈ આપે છે.

    LiDAR (Light Detection and Ranging): LiDAR લેસર-આધારિત ટેકનોલોજી છે, જે દરિયાકિનારાની ટોપોગ્રાફી અને ભરતીના સ્તરના (Mean High Water) આધારે ચોક્કસ રેખા નક્કી કરે છે. 1-2 મીટરની ચોકસાઈ નાના વળાંકો અને નદીમુખોને સામેલ કરે છે.

    ફ્રેક્ટલ એનાલિસિસ: બોક્સ-કાઉન્ટિંગ અને ડિવાઈડર મેથડ દ્વારા દરિયાકિનારાની ફ્રેક્ટલ ડાયમેન્શન (જટિલતા) માપવામાં આવી. આ પદ્ધતિ નાના સ્કેલ પર વધુ વિગતો સામેલ કરે છે, જેનાથી લંબાઈ વધે છે.

    અખાત અને ટાપુઓનો સમાવેશ: ગુજરાતના દરિયાકિનારામાં કચ્છનો અખાત, ખંભાતનો અખાત, અને લગભગ 144 નાના ટાપુઓનો સમાવેશ થાય છે. નવી ગણતરીઓમાં આ બધાના કિનારાઓની લંબાઈને પણ ધ્યાનમાં લેવામાં આવી.

    વધુ વિગતવાર માપન: પહેલાંની ગણતરીઓમાં દરિયાકિનારાની રેખા સરળ રીતે (straight-line approximation) માપવામાં આવતી હતી. હવે, દરિયાકિનારાના દરેક નાના-નાના વળાંકો, ખાંચાઓ અને નદીમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

    માપણીની પદ્ધતિમાં ફેરફારની વિગતો

    નવી પદ્ધતિઓને કારણે ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં આશરે 700 કિલોમીટરનો વધારો નોંધાયો છે. આ ફેરફાર માત્ર ગુજરાત સુધી મર્યાદિત નથી; ભારતના કુલ દરિયાકિનારાની લંબાઈ પણ 7,517 કિલોમીટરથી વધીને 11,098.81 કિલોમીટર થઈ છે.

    ગુજરાતના દરિયાકિનારાની વિશેષતાઓ

    ગુજરાતનો દરિયાકિનારો ભારતના કુલ દરિયાકિનારાનો લગભગ 21% હિસ્સો ધરાવે છે, જે તેને દેશનું સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય બનાવે છે. આ દરિયાકિનારો વિવિધ ભૌગોલિક વિશેષતાઓ ધરાવે છે.

    જેમકે, ઉત્તર-પશ્ચિમ ગુજરાતમાં આવેલ કચ્છનો અખાત દરિયાકિનારાની લંબાઈમાં નોંધપાત્ર યોગદાન આપે છે. તેના અસંખ્ય નાના ટાપુઓ અને જટિલ કિનારાઓને કારણે ગણતરીમાં વધારો થયો. દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં આવેલ ખંભાતના અખતે પણ દરિયાકિનારાની લંબાઈમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

    આ ઉપરાંત ગુજરાતના દરિયાકિનારા પાસે ઘણા નાના-મોટા ટાપુઓ છે, જેમ કે દીવ, બેટ દ્વારકા, અને અન્ય નાના ટાપુઓ. આ ટાપુઓના કિનારાઓની લંબાઈ પણ હવે ગણતરીમાં સામેલ કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતની નદીઓ જેમ કે નર્મદા, તાપી, અને સાબરમતી દરિયામાં મળે છે, જે નદીમુખો (estuaries) બનાવે છે. આ નદીમુખોની લંબાઈ પણ દરિયાકિનારાની ગણતરીમાં ઉમેરાઈ છે.

    Coastal vulnerability assessment of Gujarat coast to sea level rise using  GIS techniques: a preliminary study | Journal of Coastal Conservation

    આ વિવિધતાઓને કારણે ગુજરાતનો દરિયાકિનારો અત્યંત જટિલ છે, અને નવી ટેક્નોલોજીએ આ જટિલતાને વધુ ચોક્કસ રીતે માપવાનું શક્ય બનાવ્યું.

    શા માટે માપણીમાં ફેરફાર થયો?

    દરિયાકિનારાની લંબાઈ માપવી એ એક જટિલ પ્રક્રિયા છે, કારણ કે તેની ગણતરી ઘણા પરિબળો પર આધાર રાખે છે.

    કોસ્ટલાઈન પેરાડોક્સ (Coastline Paradox)

    દરિયાકિનારાની લંબાઈ માપવાની પ્રક્રિયા ‘કોસ્ટલાઈન પેરાડોક્સ’ નામની ગાણિતિક સમસ્યા સાથે જોડાયેલી છે. આ સિદ્ધાંત મુજબ, દરિયાકિનારાની લંબાઈ તમે જે સ્કેલ (scale) પર માપો છો તેના પર આધાર રાખે છે. જો તમે નાના સ્કેલનો ઉપયોગ કરો (દા.ત., 1:100,000), તો દરિયાકિનારો સરળ લાગે છે અને લંબાઈ ઓછી આવે છે.

    કોસ્ટલાઈન પેરાડોક્સ (ફોટો: CK-12)

    પરંતુ જો તમે ખૂબ જ નાના સ્કેલનો ઉપયોગ કરો (દા.ત., 1:1,000) તો દરેક નાના વળાંકો, ખાંચાઓ અને બેટની વિગતોનો સમાવેશ થાય છે, જે લંબાઈમાં નોંધપાત્ર વધારો કરે છે. ગુજરાતના કિસ્સામાં, નવી ગણતરીઓમાં ખૂબ જ નાના સ્કેલનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના પરિણામે દરિયાકિનારાની લંબાઈ વધી.

    પહેલાંના સમયમાં દરિયાકિનારાની લંબાઈ માપવા માટે નકશા, ફીલ્ડ સર્વે અને મેન્યુઅલ ગણતરીઓનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિઓમાં ચોકસાઈની મર્યાદાઓ હતી. હવે સેટેલાઈટ ઈમેજરી, ડ્રોન ટેક્નોલોજી અને GIS સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, જે ખૂબ જ ચોક્કસ અને વિગતવાર માપન આપે છે.

    શું આનો અર્થ એ છે કે ગુજરાતની જમીન ઘટી?

    ના, દરિયાકિનારાની લંબાઈમાં થયેલો આ વધારો ભૌગોલિક રીતે જમીન ઘટવાનું અથવા દરિયાકિનારાના વિસ્તરણનું પરિણામ નથી. આ માત્ર ગણતરીની ચોકસાઈનું પરિણામ છે. કેમ કે અહીં વાત દરિયોકાંઠો વધવાની છે. અહીં દરિયાકાંઠાનો અર્થ જ થાય કે દરિયા અને જમીનના મિલનનો ભાગ. જો એ બંને વધે તો જ દરિયાકાંઠો વધે એ એક સામાન્ય સમજની વાત છે. પરંતુ અહીં ફરી એ જ બાબતે આપનું ધ્યાન દોરીશું અમે કે કોઈ લંબાઈ બહુગોળિક રીતે વધી નથી, માત્ર લંબાઈની માપણી આકરવાની પદ્ધતિ આધુનિક થતા આ નવા અંતરના આંકડા સામે આવ્યા છે.

    બીજી જાણવા જેવી વાત એ છ ગુજરાતના દરિયાકિનારાના કેટલાક ભાગોમાં દરિયાઈ ધોવાણને (coastal erosion) કારણે ઉપયોગલાયક જમીન ઘટી રહી છે. ગુજરાતના 1,945.60 કિલોમીટર દરિયાકિનારામાંથી 537.5 કિલોમીટર (27.6%) ધોવાણનો ભોગ બન્યો છે. આ ધોવાણને કારણે કેટલાક વિસ્તારોમાં જમીન દરિયાના ખારા પાણીથી ધોવાતા તે ખેતી, રહેણાંક, અને આર્થિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી રહી નથી. પરંતુ એનો અર્થ એ નથી કે તે જમીનનું અસ્તિત્વ જ નથી રહ્યું.

    શું છે સચોટ માપણીનું મહત્વ?

    ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં થયેલો આ વધારો માત્ર આંકડાકીય ફેરફાર નથી; તેના ઘણા વ્યવહારિક અને નીતિગત પરિણામો છે. ગુજરાતનો દરિયાકિનારો બંદરો, માછીમારી, અને પર્યટન માટે મહત્વનો છે. ચોક્કસ માપણી આ પ્રવૃત્તિઓના આયોજન અને વિકાસમાં મદદ કરશે. દરિયાકિનારાની ચોક્કસ લંબાઈ જાણવાથી ધોવાણ, પૂર, અને આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવા માટે વધુ સારી યોજનાઓ બનાવી શકાશે.

    દરિયાકિનારાના વિકાસ, સંરક્ષણ, અને સંચાલન માટે ચોક્કસ ડેટા સરકારને વધુ અસરકારક નીતિઓ ઘડવામાં મદદ કરશે. ચોક્કસ માપણી દરિયાકિનારાના ભૌગોલિક, પર્યાવરણીય, અને આબોહવાગત અભ્યાસો માટે મહત્વની છે. નોંધનીય છે કે ભારત સરકારે નવી ગણતરીમાં દરિયાકિનારાની વ્યાખ્યાને પણ વધુ વ્યાપક બનાવી. દા.ત., નદીમુખો, લઘુસમુદ્રો, અને ટાઈડલ ઝોનની લંબાઈને પણ સામેલ કરવામાં આવી, જે પહેલાંની ગણતરીઓમાં બહુ ધ્યાનમાં લેવાતી નહોતી.

    અન્ય રાજ્યોના દરિયાકિનારામાં પણ વધારો

    આ વધારો માત્ર ગુજરાત સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર ભારતના દરિયાકિનારાની લંબાઈમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ડેટા અનુસાર, ભારતનો કુલ દરિયાકિનારો 7,517 કિલોમીટરથી વધીને 11,098.81 કિલોમીટર થયો છે. આ વધારો પણ નવી માપણી પદ્ધતિઓ, સેટેલાઈટ ઈમેજરી, અને વધુ ચોક્કસ ગણતરીઓના પરિણામે થયો છે, જેમાં દેશના તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કિનારાઓની જટિલતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ગુજરાત ઉપરાંત, ભારતના અન્ય દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરિયાકિનારાની લંબાઈમાં પણ વધારો નોંધાયો છે. રાજ્યસભાના ડેટા અનુસાર, આંધ્રપ્રદેશનો દરિયાકિનારો 973.7 કિલોમીટરથી વધીને 1,779.91 કિલોમીટર, તમિલનાડુનો 1,076 કિલોમીટરથી 1,346.16 કિલોમીટર, મહારાષ્ટ્રનો 652.6 કિલોમીટરથી 1,213.08 કિલોમીટર, અને ઓડિશાનો 480 કિલોમીટરથી 671.12 કિલોમીટર થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, અંદમાન અને નિકોબાર ટાપુઓનો દરિયાકિનારો 1,962 કિલોમીટરથી 2,316.30 કિલોમીટર થયો છે. આ વધારો પણ ચોક્કસ માપણી અને નવી ટેક્નોલોજીના ઉપયોગને કારણે થયો છે.

    ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં થયેલો વધારો એક આંકડાકીય અને ટેકનિકલ સુધારાનું પરિણામ છે, જે નવી માપણી પદ્ધતિઓ, જીઓસ્પેશિયલ ટેક્નોલોજી, અને વધુ વિગતવાર ગણતરીઓને કારણે શક્ય બન્યું. આનો અર્થ એ નથી કે ગુજરાતનો દરિયાકિનારો ભૌગોલિક રીતે વધ્યો છે, પરંતુ તેની ચોક્કસ લંબાઈ હવે વધુ સચોટ રીતે નોંધાઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં