બૉમ્બે હાઇકોર્ટે તાજેતરમાં એક પોક્સો હેઠળ દાખલ થયેલા કેસમાં બે પક્ષકારો વચ્ચે સમાધાન થયા બાદ ચુકાદો આપીને FIR રદ કરી દીધી છે. કેસમાં એક વ્યક્તિ પર સગીર ભત્રીજીએ યૌન શોષણના આરોપ લગાવ્યા બાદ પોક્સો એક્ટની કલમ 8 અને 12 હેઠળ કેસ દાખલ થયો હતો. ઉપરાંત ભારતીય ન્યાય સંહિતાની અમુક કલમો પણ લગાવવામાં આવી હતી. કોર્ટના ચુકાદા બાદ ન્યાય, સંવેદના અને કાયદાની કડકાઈ અંગે ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કેસ જ્યારે કોર્ટમાં ગયો તો આરોપ લગાવનાર પીડિતાએ કહી દીધું કે હવે તેને તેના કાકા સામે કોઈ ફરિયાદ નથી. તેણે એમ પણ કહ્યું કે તેના કાકા તેને દીકરીની જેમ રાખે છે. અદાલતે ટિપ્પણી કરી કે આ આરોપો એક ‘ગેરસમજ’ના કારણે લગાવવામાં આવ્યા હતા. સમાધાનના ભાગરૂપે આરોપીને 1.5 લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ રકમ પીડિતાના અભ્યાસ માટે ‘મેકબુક’ (એપલ કંપનીનું લેપટોપ) ખરીદવાના હેતુથી નક્કી કરવામાં આવી છે.
13 ફેબ્રુઆરી 2026ના રોજ આપવામાં આવેલા આ ચુકાદાને એ કેસો પૈકીનો એક ગણવામાં આવી રહ્યો છે જેમાં કોર્ટ પરસ્પર સમજૂતી અને સમાધાનના આધારે ફોજદારી કેસોની કાર્યવાહી અટકાવી દે છે, ભલે આવા કેસો સામાન્ય રીતે સમાધાન યોગ્ય (compoundable) ન હોય. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આવા નિર્ણયો શા માટે લેવાય છે અને સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ આની માન્યતા વિશે શું કહે છે?
કાનૂની માળખું: CrPCની કલમ 482 હેઠળ કેસ રદ કરવાની સત્તા
આવાં સમાધાનોના મૂળમાં હાઇકોર્ટની એક વિશેષ કાયદાકીય સત્તા રહેલી હોય છે. આ સત્તા CrPCની કલમ 482માં આપવામાં આવી હતી, જેનો હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 528માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જોગવાઈ હેઠળ હાઇકોર્ટને એ અધિકાર છે કે તે ન્યાયના હિતમાં અથવા કાયદાના દુરુપયોગને રોકવા માટે કોઈ પણ FIR અથવા ફોજદારી કાર્યવાહીને રદ કરી શકે છે.
સામાન્ય રીતે કેટલાક ગુના એવા હોય છે જેમાં બંને પક્ષો પરસ્પર સમાધાન કરી શકે છે. આને ‘સમાધાન યોગ્ય’ (compoundable) ગુના કહેવામાં આવે છે અને તેની જોગવાઈ CrPCની કલમ 320માં છે. પરંતુ POCSO અથવા બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ ‘બિન-સમાધાન યોગ્ય’ (non-compoundable) માનવામાં આવે છે, એટલે કે તેમને ખાનગી રીતે ઉકેલી શકાતા નથી. તેમ છતાં તાજેતરના વર્ષોમાં અદાલતોએ કલમ 482નો ઉપયોગ કરીને કેટલાક કિસ્સાઓમાં કાર્યવાહી રદ કરી છે, ખાસ કરીને જ્યારે મામલો વ્યક્તિગત વિવાદનો હોય અને બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ ગઈ હોય.
જોકે આ અધિકાર અમર્યાદિત નથી. સુપ્રીમ કોર્ટ અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે FIR રદ કરવી એ એક અસાધારણ પગલું છે અને તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. આવું ત્યારે જ કરવું જોઈએ જ્યારે આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા હોય અથવા કેસ ચાલુ રાખવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થતું હોય. POCSO જેવા કેસોમાં અદાલતો ખાસ કરીને બે બાબતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે: એક તરફ સમાધાન અને બીજી તરફ બાળકોની સુરક્ષા. ઘણા કિસ્સાઓમાં જો પીડિતા પુખ્ત વયની થઈ ગઈ હોય અને તે પોતે સમાધાન માટે તૈયાર હોય અથવા આરોપી સાથે લગ્ન કરી લીધાં હોય તો અદાલતો કાર્યવાહી રદ કરવાની પરવાનગી આપી દે છે.
વ્યવસ્થા પર દબાણ અને વ્યવહારુ અભિગમ
દેશની અદાલતો પર અત્યારે કામનું ભારે ભારણ છે. વર્ષ 2026ની શરૂઆત સુધીમાં આશરે 5.4 કરોડ કેસો પેન્ડિંગ (લંબિત) છે, જેમાંથી લગભગ 70% ફોજદારી કેસો છે. સિવિલ કેસોમાં ચુકાદા આવતાં ઘણીવાર દાયકાઓ વીતી જાય છે. આવા સંજોગોમાં ઘણીવાર પક્ષકારો સામેના પક્ષ પર વધુ દબાણ લાવવા માટે વિવાદને ફોજદારી સ્વરૂપ આપી દે છે. એટલે કે જે મામલો શરૂઆતમાં પારિવારિક અથવા કરાર (કોન્ટ્રેક્ટ) સાથે જોડાયેલો હોય તે આગળ જતાં એવી FIRમાં ફેરવાઈ જાય છે, જેમાં જાતીય અપરાધ, મારપીટ અથવા છેતરપિંડી જેવા આરોપો લગાવી દેવામાં આવે છે.
જ્યારે પોલીસ તપાસમાં વિલંબ થાય ત્યારે સ્થિતિ વધુ જટિલ બની જાય છે. તપાસ લાંબી ખેંચાય છે, સાક્ષીઓ ફરી જાય છે અને સમય વીતવા સાથે પુરાવા નબળા પડી જાય છે. આવા કિસ્સામાં દોષ સાબિત કરવો મુશ્કેલ બની જાય છે. આ સંજોગોમાં જ્યારે બંને પક્ષો પરસ્પર સમાધાન કરી લે છે ત્યારે અદાલતો ઘણીવાર વ્યવહારુ વલણ અપનાવે છે. આનાથી એક તરફ લંબિત કેસોનું ભારણ ઓછું થાય છે, તો બીજી તરફ જો પીડિતા આરોપી સાથે લગ્ન કરી લે અથવા પોતાના આરોપો પાછા ખેંચી લે તો સામાજિક શાંતિ જાળવવાનો પ્રયાસ થાય છે.
કેસ રદ કરવાના માર્ગદર્શક સિદ્ધાંતો
સુપ્રીમ કોર્ટે પોતાના અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે બિન-સમાધાન યોગ્ય (non-compoundable) ગુનાઓમાં FIR રદ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. CrPC હેઠળ જે ગુનાઓ કલમ 320માં સામેલ નથી તેમને બિન-સમાધાન યોગ્ય માનવામાં આવે છે. આ કિસ્સાઓમાં રાજ્ય પોતે જ કાર્યવાહી (Prosecution) ચલાવે છે કારણ કે તેને સમાજ વિરુદ્ધનો ગુનો માનવામાં આવે છે.
વર્ષ 1992ના ચર્ચિત કેસ ‘હરિયાણા રાજ્ય વિરુદ્ધ ભજનલાલ’માં સુપ્રીમ કોર્ટે FIR રદ કરવા માટેના 7 આધાર જણાવ્યા હતા. જેમાં એ પણ સામેલ હતું કે જો આરોપો પ્રથમ દૃષ્ટિએ અત્યંત અવિશ્વસનીય હોય અથવા કોઈ ગુનાનો ખુલાસો જ ન કરતા હોય તો અદાલત હસ્તક્ષેપ કરી શકે છે. આ ચુકાદાએ નિરર્થક અને નકામા મુકદ્દમાઓને રોકવા માટે અદાલતોને એક મજબૂત આધાર આપ્યો હતો.
ત્યારબાદ 2012ના ઐતિહાસિક કેસ ‘જ્ઞાન સિંઘ વિરુદ્ધ પંજાબ રાજ્ય’માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો સમાધાનથી ન્યાય સુનિશ્ચિત થતો હોય તો હાઇકોર્ટને એ અધિકાર છે કે તે ગંભીર ગુનાઓમાં પણ કાર્યવાહી રદ કરી શકે છે, જો તેનું સ્વરૂપ મુખ્યત્વે ખાનગી કે સિવિલ વિવાદ સાથે જોડાયેલું હોય. જોકે, અદાલતે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે બળાત્કાર જેવા જઘન્ય અપરાધો અથવા એવા ગુનાઓ જે સમાજ પર વ્યાપક અસર કરે છે, તેમને વૈવાહિક કે વ્યાપારી વિવાદોની જેમ જોઈ શકાય નહીં. આવા કિસ્સાઓમાં FIR રદ કરવી એ અત્યંત સાવધાની અને મર્યાદિત સંજોગોમાં જ શક્ય છે.
આનાથી આગળ વધતા સુપ્રીમ કોર્ટે 2014ના કેસ ‘નરેન્દ્ર સિંઘ વિરુદ્ધ પંજાબ રાજ્ય’માં એ સ્પષ્ટ કર્યું કે હત્યાના પ્રયાસ જેવા ગંભીર મામલાઓમાં પણ કયા સંજોગોમાં FIR રદ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે નિર્ણય લેતી વખતે 3 બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ: ગુનાની ગંભીરતા, સમાધાનની સત્યતા (શું તે દબાણમાં થયું છે કેકેએમ?) અને દોષ સાબિત થવાની શક્યતા.
ત્યારબાદ 2017માં ‘પર્બતભાઈ આહીર વિરુદ્ધ ગુજરાત રાજ્ય’ના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરીથી જણાવ્યું હતું કે, સમાધાન થયું હોવા છતાં આર્થિક ગુનાઓ અથવા એવા કિસ્સાઓમાં FIR રદ ન કરવી જોઈએ જેની સમાજ પર વ્યાપક અસર પડતી હોય.
ખાસ કરીને જાતીય અપરાધોના કિસ્સામાં અદાલતો અત્યંત સતર્ક રહે છે, કારણ કે આવા ગુનાઓની અસર માત્ર પીડિત પર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ પર પડે છે. 2025ના ‘મધુકર વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય’ના કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બળાત્કાર સંબંધિત FIRને માત્ર ‘અસાધારણ સંજોગોમાં’ જ રદ કરી શકાય છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે બંને પક્ષો વચ્ચે સ્વેચ્છાએ સમાધાન થયું હોય અને અદાલતને લાગે કે મુકદ્દમો ચાલુ રાખવામાં કોઈ જાહેર હિત નથી.
જોકે, 2024ના ‘રામજી લાલ બૈરવા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય’ના કેસમાં સુપ્રીમ કોર્ટે માત્ર સમાધાનના આધારે POCSOની કાર્યવાહી રદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, POCSO કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શોષણથી બચાવવાનો છે, તેથી માત્ર પરસ્પર સમાધાન આવા ગંભીર કેસોને ખતમ કરવાનો આધાર બની શકે નહીં.
FIR રદ કરવા અને ના કરવાની પેર્ટન
વિવિધ કેસોમાં અદાલતોનું વલણ આ જ સિદ્ધાંત પર આધારિત જોવા મળે છે. POCSOના કેસોમાં ઘણીવાર FIR ત્યારે રદ કરવામાં આવે છે જ્યારે પીડિતાએ આરોપી સાથે લગ્ન કરી લીધાં હોય અને બંને પારિવારિક જીવન જીવી રહ્યાં હોય.
2025માં સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં કાર્યવાહી સમાપ્ત કરવામાં આવી હતી કારણ કે એક વિવાહિત દંપતીને લાંબા મુકદ્દમાથી પરેશાન કરવું યોગ્ય નહોતું. તેવી જ રીતે 2025માં કેરળ હાઇકોર્ટે POCSOના બે કેસોને સમાધાન પછી એટલા માટે રદ કર્યા હતા કારણ કે બંને કિસ્સાઓમાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. 2023માં દિલ્હી હાઇકોર્ટે પણ એક POCSO FIR ને ખતમ કરી દીધી હતી, જ્યાં બંને પક્ષો સગીર હતા અને પરસ્પર સમાધાન થઈ ગયું હતું.
જોકે, દરેક કિસ્સામાં રાહત મળતી નથી. 2026માં મધ્યપ્રદેશ હાઇકોર્ટે સમાધાન થયું હોવા છતાં બળાત્કાર સાથે જોડાયેલા POCSO કેસને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. અદાલતે કહ્યું હતું કે પીડિતાનું શરીર ‘તેનું મંદિર’ છે અને આવો અપરાધ એ સામાજિક અપરાધ છે.
તેવી જ રીતે 2024માં સુપ્રીમ કોર્ટે એક શિક્ષક વિરુદ્ધ નોંધાયેલી POCSO FIRને પુનઃસ્થાપિત (Restore) કરી દીધી હતી. આ પહેલા હાઇકોર્ટે પારિવારિક સમાધાનના આધારે તેને રદ કરી દીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તે આદેશને પલટી નાખ્યો હતો.
નિષ્કર્ષ: ન્યાય કે સમાધાન?
આવા સમાધાનો અદાલતો પર વધતા બોજ, ન્યાયાધીશોની અછત અને લાંબી કાનૂની પ્રક્રિયા વચ્ચે એક વ્યવહારુ રસ્તો બનીને સામે આવે છે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે આનાથી ગંભીર ગુનાઓ સામેનો કડક સંદેશ નબળો પડી શકે છે, ખાસ કરીને બાળકો સાથે જોડાયેલા મામલાઓમાં.
બોમ્બે હાઇકોર્ટના કિસ્સામાં શિક્ષણ માટે આર્થિક સહાયનો આદેશ ‘પીડિત-કેન્દ્રીત’ વિચારધારા દર્શાવે છે, પરંતુ તે એ સવાલ પણ ઉભો કરે છે કે શું પૈસાથી સન્માન અને ન્યાયની ભરપાઈ થઈ શકે?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમાધાન જાહેર હિતથી ઉપર ન હોઈ શકે. અદાલતોએ દરેક કેસમાં તથ્યોને સાવધાનીપૂર્વક તપાસીને એ સુનિશ્ચિત કરવું પડશે કે FIR રદ કરવી એ માત્ર એક સગવડ નહીં, પરંતુ ન્યાયનું માધ્યમ બને.


