પ્રથમ વખત ભારતીય કંપની બનાવશે નેવીના યુદ્ધજહાજો માટે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ: સંરક્ષણ મંત્રાલયે કર્યો ₹425 કરોડનો કરાર

ભારતની સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 12 મરીન ગેસ ટર્બાઇન જનરેટર (GTG) સેટ્સના પુરવઠા માટે પુણે સ્થિત ભારત ફોર્જ લિમિટેડ સાથે ₹425 કરોડનો કરાર કર્યો છે.

આ કરારની સૌથી મહત્વની બાબત એ છે કે પ્રથમ વખત કોઈ ભારતીય કંપની નૌકાદળના યુદ્ધજહાજો માટે સ્વદેશી ગેસ ટર્બાઇન આધારિત પાવર પ્લાન્ટનું નિર્માણ અને સપ્લાય કરશે. અત્યાર સુધી આ પ્રકારની મહત્વપૂર્ણ ટેક્નોલોજી માટે ભારત મોટા પ્રમાણમાં વિદેશી કંપનીઓ પર નિર્ભર રહ્યું છે.

નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર (DAP) 2020ની ‘બાય (ઇન્ડિયન)’ શ્રેણી હેઠળ અમલમાં મૂકવામાં આવશે અને તેમાં ઓછામાં ઓછું 60 ટકા સ્વદેશી કન્ટેન્ટ હશે.

1.25 મેગાવોટ ક્ષમતા ધરાવતા આ મરીન ગેસ ટર્બાઇન જનરેટર યુદ્ધજહાજોમાં લાગેલી અદ્યતન હથિયાર પ્રણાલીઓ, સેન્સર્સ અને કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ્સને વીજ પુરવઠો પૂરો પાડશે. આધુનિક યુદ્ધજહાજોની કામગીરી માટે આ જનરેટર અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવશે. સાથે જ દરિયાઈ સુરક્ષા સંબંધિત મહત્વની ટેક્નોલોજીમાં ભારતની સ્વનિર્ભરતા વધારશે અને નૌકાદળની ઑપરેશનલ તૈયારીમાં પણ વધારો કરશે.

પાંચ વર્ષના ગાળામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટ હેઠળ ભારત ફોર્જ ખાસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ સુવિધા પણ સ્થાપિત કરશે. ભવિષ્યમાં કંપની વધુ મરીન પાવર પ્લાન્ટ અને પ્રોપલ્શન ગેસ ટર્બાઇનના ડિઝાઇન અને વિકાસમાં પણ ભાગ લેશે.

કંપનીએ જણાવ્યું છે કે નવા 1.25 મેગાવોટ જનરેટર હાલમાં ભારતીય નૌકાદળના જહાજોમાં ઉપયોગમાં લેવાતા ઓછી ક્ષમતાવાળા જનરેટર્સનું સ્થાન લેશે. આ પ્રોજેક્ટ દેશની અંદર ગેસ ટર્બાઇન સિસ્ટમના ઉત્પાદન, જાળવણી અને ઓવરહોલ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવામાં પણ મદદરૂપ બનશે, જેના કારણે વિદેશી સપ્લાયર્સ પરની નિર્ભરતા વધુ ઘટશે.