જે ધારાસભ્યને મમતા બેનર્જીએ સસ્પેન્ડ કર્યા, તેઓ બંગાળ વિધાનસભામાં બની ગયા નેતા વિપક્ષ: કહ્યું– અભિષેક બેનર્જી સાથે ચોરની જેમ મારપીટ થઈ, તેમની સાથે અમને કંઈ લાગતું-વળગતું નથી

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વની સમસ્યાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. બે દિવસ પહેલાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ધારાસભ્ય રિતબ્રતા બેનર્જીની આગેવાનીમાં બુધવારે (3 જૂન) ટીએમસીના 80માંથી 59 ધારાસભ્યોએ સ્પીકરને પત્ર સોંપીને રિતબ્રતાને વિપક્ષ નેતા નીમવાની માંગ કરી હતી. સ્પીકરે આ માંગ સ્વીકારીને બેનર્જીને વિપક્ષ નેતા નીમ્યા છે.

રિતબ્રતા બેનર્જીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, અમને બંગાળ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ તરીકે ઓળખ મળી છે. જે કોઈ નિયમો છે તે નિયમો પ્રમાણે જ અમે કામ કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસના સિમ્બોલ પર 80 સભ્યો ચૂંટાયા હતા, જેમાંથી 2/3 ધારાસભ્યોએ સમર્થન કર્યું હતું. જેથી સ્પીકરે અમારો દાવો માન્ય રાખ્યો છે.

અભિષેક બેનર્જી સાથે આમને કશું લાગતું-વળગતું નથી: બળવાખોર ધારાસભ્યો

બળવાખોર ધારાસભ્યોએ મમતા બેનર્જીને તો નેતા માન્યાં છે, પણ અભિષેક બેનર્જી સામે મોરચો માંડી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અભિષેક બેનર્જીએ પાર્ટી મહાસચિવ તરીકે બંગાળ વિધાનસભા સ્પીકરને એક પત્ર લખીને પાર્ટી નેતા શોભનદેબ બેનર્જીને વિપક્ષ નેતા નીમવા જણાવ્યું હતું. પરંતુ પછીથી પાર્ટીના જ અમુક ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે પત્રમાં તેમણે સહી ન કરી હોવા છતાં આવી ગઈ હતી. ત્યારબાદ બંગાળ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી જે ‘ફેક સિગ્નેચર સ્કેમ’ તરીકે ઓળખાય છે.

રિતબ્રતા બેનર્જીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે મમતા બેનર્જી અમારાં સલાહકાર તરીકે રહે એ અમે ઇચ્છીએ છીએ. તેમનાં સલાહ-સૂચન વિપક્ષ તરીકે અમને મજબૂત કરશે. જ્યારે અભિષેક બેનર્જી વિશે તેમણે કહ્યું કે, “અભિષેક બેનર્જીનો આમાં કોઈ રોલ નથી. અમારી લેજિસ્લેટિવ પાર્ટી કે સંગઠનને કોઈ લેવાદેવા નથી. બંગાળના લોકોને પણ તેમની સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ કનેક્શન હોત તો તેઓ 26 દિવસ સુધી છુપાઈને ન રહ્યા હોત અને ઘરની બહાર નીકળ્યા હોત. બહાર નીકળ્યા ત્યારે અભિષેકની એ જ રીતે મારપીટ થઈ જે રીતે ચોરને મારવામાં આવે છે.”

TMC નેતા ફિરહાદ હકીમનું કોલકાતાના મેયર પદેથી રાજીનામું

બીજી તરફ મમતા સરકારના પૂર્વ મંત્રી અને TMC નેતા ફિરહાદ હકીમે કોલકાતા મહાનગરપાલિકાના મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. મમતા બેનર્જી સાથે વાતચીત બાદ રાજીનામું આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હકીમ બંગાળ સરકારમાં મંત્રી પણ હતા અને મમતા બેનર્જીના નજીકના નેતાઓમાં માનવામાં આવે છે. જોકે તેઓ અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં પણ રહે છે.