મમતા બેનર્જીની ટીએમસીમાં બે ફાંટા: 59 ધારાસભ્યોના જૂથે વિપક્ષ નેતા બદલવા માટે સ્પીકરને સોંપ્યો પત્ર, પાર્ટીની તમામ સમિતિઓ તાત્કાલિક અસરથી ભંગ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં બુધવારે (3 જૂન) એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. બે દિવસ પહેલાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય રિતબ્રતા બેનર્જીની આગેવાનીમાં ટીએમસીના લગભગ 59 ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખીને રિતબ્રતાને વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે નીમવા માટે વિનંતી કરી છે. જ્યારે આ પહેલાં અભિષેક બેનર્જીએ સ્પીકરને પત્ર લખીને પાર્ટી નેતા શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિપક્ષ નેતા તરીકે નીમવા માટે જણાવ્યું હતું. આમ ટીએમસીમાં હવે બે ભાગ પડી ગયા છે.

અભિષેક બેનર્જીએ સ્પીકરને મોકલેલા પત્ર મામલે પાર્ટીના અમુક ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે તેમણે સહમતિ આપી ન હોવા છતાં તેમના હસ્તાક્ષર પત્ર પર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અભિષેક બેનર્જીએ ટીએમસીના 80માંથી 70થી વધુ ધારાસભ્યોના ‘હસ્તાક્ષર’ સાથે સ્પીકરને પત્ર લખીને ચટ્ટોપાધ્યાયની વિપક્ષ નેતા તરીકે નિમણૂક કરવા જણાવ્યું હતું.

ધારાસભ્યોના આરોપ બાદ બંગાળની શુભેન્દુ સરકારે આ ‘ફેક સિગ્નેચર’ કેસની તપાસ CIDને સોંપી દીધી. CID અભિષેક બેનર્જીને ત્રણ વખત સમન્સ મોકલી ચૂકી છે પરંતુ તેઓ હાજર થઈ રહ્યા નથી.

આ ઘટનાક્રમો વચ્ચે ટીએમસીએ બે દિવસ પહેલાં પાર્ટીના બે ધારાસભ્યો સંદીપન સાહા અને રિતબ્રતા બેનર્જીને કથિત પાર્ટીવિરોધી ગતિવિધિ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ આ બંનેએ જ ખેલ કરી દીધો છે.

પત્રમાં 59 ધારાસભ્યોની સહી, ટીએમસીના કુલ 80 MLA

બંને ધારાસભ્યોએ અન્ય 59 ધારાસભ્યોના સમર્થનથી સ્પીકરને મળીને એક પત્ર સોંપ્યો છે જેમાં રિતબ્રતા બેનર્જીને વિપક્ષ નેતા નીમવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્યોનું કહેવું છે કે અભિષેક બેનર્જીએ મોકલેલો પત્ર માન્ય ગણવો ન જોઈએ કારણ કે તેમાં અમુક ધારાસભ્યોની ફર્જી સહી સામેલ છે.

બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે તેમની પાસે બહુમતી છે, જે દેખીતી વાત પણ છે. બંગાળ ચૂંટણીમાં ટીએમસીના 80 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાંથી બળવાખોર જૂથમાં 60 ધારાસભ્યો છે. આ જૂથ અનૌપચારિક રીતે ‘અસલી તૃણમૂલ’ તરીકે પોતાને ઓળખાવી રહ્યું છે. હવે સ્પીકર શું નિર્ણય કરે એ જોવું રહ્યું.

ટીએમસીની તમામ સમિતિ, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન ભંગ

બીજી તરફ ફફડાટ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસે તમામ સમિતિ, તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન તાત્કાલિક અસરથી ભંગ કરી દીધાં છે.

પાર્ટીએ X પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે પાર્ટી હવે નવેસરથી કામ કરીને તમામ સ્તરની સમીક્ષા બાદ નવું સંગઠન તૈયાર કરશે અને ફ્રન્ટલ સંગઠનો પણ આ જ રીતે નવેસરથી તૈયાર થશે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.