સરકારે ઘટાડ્યો ઈંધણ પરનો ટેક્સ: પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ₹10/લિટર ઘટી, ડીઝલ પર હવે શૂન્ય એક્સાઈઝ ડ્યુટી

ઈરાનમાં ચાલતા યુદ્ધના કારણે અગત્યનો સમુદ્રીમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ સંકટ સર્જાયું છે અને અનેક દેશોમાં ઈંધણના ભાવો વધી રહ્યા છે. બીજી તરફ ભારતમાં સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે.

સરકારે ગુરુવારે (26 માર્ચ) એક આદેશ બહાર પાડીને પેટ્રોલ અને ડીઝલ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી હતી.

પેટ્રોલ પર અગાઉ ₹13 પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી લાગતી હતી, જેને ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરવામાં આવી છે. એટલે કે લિટરે ₹10નો ઘટાડો થયો છે.

આ જ રીતે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી, જે અગાઉ ₹10/લિટર હતી તેમાં પણ ₹10નો ઘટાડો કરીને શૂન્ય પર લાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ઇંધણ પર લાગતા ટેક્સમાં ઘટાડો થયો છે. જેનો ઉદ્દેશ્ય મોટેભાગે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રાહત આપવાનો છે. યુદ્ધના કારણે સતત ઉપર-નીચે થતા ક્રૂડ ઓઇલના ભાવ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતી ઉથલપાથલના કારણે કંપનીઓને અસર ન પહોંચે અને તેઓ ભાવ વધારવા માટે મજબૂર ન થાય તે માટે સરકારે ટેક્સ ઘટાડી દીધો છે, જેથી બોજ કંપનીઓ અને આખરે ગ્રાહકો ઉપર ન પડે. એટલે હાલ ઈંધણના ભાવો સ્થિર રહે એવી શક્યતાઓ છે.

સરકારે આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે જણાવ્યું છે.