હોમપેજરાજકારણ‘ધુરંધર’ની સફળતા બાદ એક દાયકા જૂનાં ટ્વિટ શોધીશોધીને વાયરલ કરી રહ્યા છે...

‘ધુરંધર’ની સફળતા બાદ એક દાયકા જૂનાં ટ્વિટ શોધીશોધીને વાયરલ કરી રહ્યા છે જેન-ઝી, થઈ રહી છે ‘મોદી પહેલાંના ભારત’ અને ‘મોદી પછીના ભારત’ની સરખામણી

જેન-ઝી આ બધી જૂની પોસ્ટો શૅર કરીને કોંગ્રેસકાળ યાદ કરી રહ્યા છે. તે સમયની સુરક્ષાવ્યવસ્થા, અર્થવ્યવસ્થાને આજના સમય સાથે સરખાવી રહ્યા છે અને એ નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છે કે છેલ્લા એક દાયકામાં ખરેખર ઘણું કામ થયું છે.

- Advertisement -

ફિલ્મ ‘ધુરંધર’નો બીજો ભાગ આવ્યા પછી ચર્ચા માત્ર ફિલ્મ અને તેમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ પૂરતી સીમિત રહી નથી પણ એ પણ ચર્ચા થઈ રહી છે કે દેશ પાછલા એક દાયકામાં કેટલો બદલાયો. એ જ કારણ છે કે જેઓ આ ચર્ચા થાય એવું ઈચ્છતા નથી તેમને ફિલ્મથી, તેની સતત થતી ચર્ચાઓથી, લોકોના ફિલ્મને લઈને ઉત્સાહથી બળતરા થઈ રહી છે. આ જ ચર્ચાઓ વચ્ચે હવે ઈન્ટરનેટ પર અને ખાસ કરીને X (જે પહેલાં ટ્વિટર હતું) પર લોકો એક દાયકા જૂનાં ટ્વિટ શોધી-શોધીને રિશેર કરી રહ્યા છે. આમાં જેન-ઝીનું પ્રમાણ વધુ છે, જેમાંથી ઘણાએ 2014 પહેલાંનો સમય જોયો નથી.

લોકો કોંગ્રેસ શાસનકાળ દરમ્યાનના સમાચારો શોધીશોધીને ટ્વિટર પર રીપોસ્ટ કરી રહ્યા છે. શરૂઆત સુરક્ષા મુદ્દે થઈ. લોકોએ એક પછી એક ટ્વિટ શોધીવાનાં શરૂ કર્યાં જેમાં સરકારના નેતાઓએ પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વાત કહી હતી તો ક્યાંક છાશવારે બૉમ્બ ધડાકા થતા હોવાના સમાચારો પણ રિશેર થયા. પછી ચર્ચા આર્થિક નીતિઓ અને નિર્ણયો પર પણ પહોંચી અને લોકોએ એ જૂની પોસ્ટો શોધી કાઢી જેમાં તત્કાલીન વડા પ્રધાન અને તેમના સાથીઓ બેહાલ અર્થવ્યવસ્થાને સુધરવાના સ્થાને ફાલતુ અને વાહિયાત કારણો આપીને તેને જસ્ટિફાય કરવાના પ્રયાસો કરતા હતા.

જેન-ઝી આ બધી જૂની પોસ્ટો શૅર કરીને કોંગ્રેસકાળ યાદ કરી રહ્યા છે. તે સમયની સુરક્ષાવ્યવસ્થા, અર્થવ્યવસ્થાને આજના સમય સાથે સરખાવી રહ્યા છે અને એ નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છે કે છેલ્લા એક દાયકામાં ખરેખર ઘણું કામ થયું છે.

- Advertisement -

આમાંની અમુક પોસ્ટો પર નજર નાખીએ.

જાણીતા ટ્વિટર યુઝર બીઇંગ હ્યુમરે NDTVની 2 મે, 2013ની એક પોસ્ટ શૅર કરી. આ પોસ્ટમાં NDTVએ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘને ટાંકીને એક સમાચાર લખ્યા હતા. સમાચારમાં તત્કાલીન પીએમને ટાંકીને કહેવામાં આવ્યું કે ભારત વારંવાર અરજીઓ મોકલી રહ્યું છે તેમ છતાં પાકિસ્તાન કોઈ ધ્યાન આપી રહ્યું નથી. ટ્વિટર યુઝર આ પોસ્ટને ટાંકીને લખે છે– ‘મોદી પહેલાંનું ભારત.’

લોકો ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે 2014 પહેલાં ભારત પાકિસ્તાનને આતંકવાદીઓ ન મોકલવા, વાતચીતથી સમાધાન લાવવા આજીજી કરતું હતું અને 2014 પછી પાકિસ્તાનની દરેક અવળચંડાઈનો એટલી જ તીવ્રતાથી જવાબ આપવામાં આવ્યો. હવે ભારતે વાટાઘાટો તો બંધ જ કરી દીધી પણ સર્જિકલ સ્ટ્રાઈક અને ઑપરેશન સિંદૂર વગેરેથી પાડોશી આતંકવાદી દેશને ઠેકાણે પાડવાનો, ઘરમાં ઘૂસીને મારવાનો પણ શરૂ કર્યો છે.

એક પોસ્ટ ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ની વાયરલ થઈ રહી છે, જે ડિસેમ્બર 2010માં પોસ્ટ થઈ હતી. જેમાં વિકિલીક્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ અમેરિકાના રાજદૂત સાથે ‘હિંદુ આતંકવાદી જૂથો’ વિશે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં લશ્કર-એ-તૈયબા કરતાં પણ હિંદુ આતંકવાદ એક મોટું જોખમ છે. યાદ રહે કે લશ્કર-એ-તૈયબા એ જે આતંકી સંગઠન છે જેણે મુંબઈમાં 26/11નો હુમલો કરાવ્યો હતો.

18 ડિસેમ્બર, 2010ની NDTVની એક પોસ્ટ છે, જેમાં લખવામાં આવ્યું છે– ‘કોંગ્રેસ એ નક્કી કરી શકે છે કે હિંદુ આતંકવાદ શબ્દના ઉપયોગના સ્થાને, રાઈટ વિંગ (દક્ષિણપંથી) આતંકવાદ શબ્દનો ઉપયોગ કરવામાં આવે.’ અગાઉ અનેક લેખોમાં સમજાવ્યું છે કે કઈ રીતે કોંગ્રેસના સમયમાં હિંદુ આતંકવાદની થિયરી ઘડવામાં આવી હતી અને તેને સીધું સત્તાનું પ્રોત્સાહન હતું. આ ખેલ ઊંધા પડ્યા પછી 2010માં પાર્ટી આવું ગતકડું લાવી હતી એ NDTVની દોઢ દાયકા પહેલાંની પોસ્ટથી જાણવા મળે છે.

25 ઑગસ્ટ, 2010ની એક હિન્દુસ્તાન ટાઈમ્સની પોસ્ટમાં ચિદમ્બરમને ટાંકવામાં આવ્યા છે, જેમાં તેઓ કહે છે, ‘ભગવા આતંકવાદ’ એ ભારતમાં એક નવી ઘટના છે.’

જુલાઈ 2011નો ઇન્ડિયા ટુડેનો એક આર્ટિકલ છે, જેમાં રાહુલ ગાંધીને ટાંકવામાં આવ્યા છે. રાહુલ કહે છે કે ભારતમાં દરેક વખતે આતંકવાદી હુમલાઓ રોકવા અશક્ય છે. આ એ સમય હતો જ્યારે ભારતમાં છાશવારે આતંકી હુમલા થતા હતા. આજે દેશ સુરક્ષિત છે, તેમ છતાં રાહુલ અને તેમની ગેંગ કાયમ સુરક્ષા મુદ્દે સરકારને ઘેરતી રહે છે. પોતે જ્યારે સત્તામાં હતા ત્યારે વિચારો કેવા હતા એ અગાઉની પોસ્ટથી જાણવા મળે છે.

27 સપ્ટેમ્બર, 2013ના રોજ તત્કાલીન વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે NDTV સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીતનો બીજો કોઈ વિકલ્પ નથી. લોકો હવે આ પોસ્ટ ફરી જીવતી કરીને કૉમેન્ટ સેક્શનમાં ‘ઑપરેશન સિંદૂર’ના ફોટા પોસ્ટ કરીને કહી રહ્યા છે કે વિકલ્પ તો હતો પણ કોંગ્રેસની પાકિસ્તાનને પાઠ ભણાવવાની દાનત ન હતી.

6 ઑગસ્ટ, 2013ની એક ઇન્ડિયા ટુડેની પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભલે લાઇન ઑફ કન્ટ્રોલ પર કોઈ ઘટના બને, પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રહેવી જોઈએ, આવું કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે કહ્યું હતું. આ અને આવી અનેક પોસ્ટ શૅર કરીને ‘વોકફ્લિક્સ’ લખે છે, એક તરફ જવાનો વીરગતિ પામી રહ્યા હતા અને બીજી તરફ પ્રાથમિકતા એ હતી કે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રહેવી જોઈએ.

24 ઑક્ટોબર, 2013ની હિન્દુસ્તાન ટાઈમ્સની એક પોસ્ટ તત્કાલીન પીએમ મનમોહન સિંઘ વિશે છે. જેમાં તેઓ કહે છે, “હું નવાઝ શરીફ પ્રત્યે નારાજ છું કારણ કે ન્યૂ યોર્કની બેઠકમાં એ સમજૂતી થઈ હતી કે LOC પર શાંતિ સ્થાપવામાં આવશે, પણ તેવું થયું નથી.” અહીં પણ ભારતના વડા પ્રધાન પાકિસ્તાનને શાંતિ જાળવવા આજીજી જ કરતા હતા.

અમુક તે સમયની આર્થિક સ્થિતિને સૂચવતી હોય એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.

અત્યારે રાહુલ ગાંધી દર બીજા દિવસે બહાર આવીને વડા પ્રધાન મોદી કૉમ્પ્રોમાઇઝ્ડ છે અને યુએસના ઈશારે કામ કરે છે એવું તૂત ચલાવ્યા કરે છે. આ નરેટિવ સ્થાપિત કરવા માટે કોંગ્રેસની આખી ઇકોસિસ્ટમ કામ કરી રહી છે. જ્યારે હકીકત એ છે કે ભારતે અમેરિકાના દરેક ધમપછાડાને નિષ્ફળ બનાવ્યા છે અને પોતાનાં હિતો સાથે સમાધાન કર્યું નથી. બીજી તરફ રાહુલ ગાંધીની પાર્ટીની સરકાર હતી ત્યારે શું ચાલતું હતું એ 16 મે, 2012ની ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પોસ્ટથી જાણવા મળે છે.

આ લેખનું મથાળું છે– ‘ભારત અમેરિકાના દબાણ સામે ઝૂક્યું, ઈરાનથી આવતા ઓઇલની આયાત 11% સુધી ઘટાડી.’

અન્ય ઘણી પોસ્ટ જે-તે સમયની બેહાલ આર્થિક સ્થિતિ દર્શાવતી હતી, જે ફરી વાયરલ થઈ છે.

5 નવેમ્બર, 2011ની એક પોસ્ટમાં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘે એવો વિચિત્ર તર્ક આપ્યો હતો કે, ‘ફૂડ ઇન્ફ્લેશન એ તો વધતી સમૃદ્ધિનું પ્રતીક છે.’ લોકો હવે કહી રહ્યા છે કે આવી વ્યક્તિને કોંગ્રેસીઓ આજે પણ ‘શ્રેષ્ઠ આર્થિક નિષ્ણાત’ ગણાવતા રહે છે.

25 ફેબ્રુઆરી, 2013ની TOIની એક પોસ્ટ જણાવે છે કે દિલ્હીનાં તત્કાલીન મુખ્યમંત્રી શિલા દીક્ષિતે એવું વાહિયાત નિવેદન આપ્યું હતું કે જો વીજળીનું બિલ વધારે આવતું હોય તો લોકોએ વીજળી ઓછી વાપરવી જોઈએ.

અન્ય પણ આવી અનેક જૂની પોસ્ટ, એક દાયકા, દોઢ દાયકા પહેલાંની પોસ્ટ વાયરલ થઈ રહી છે અને લોકો ત્યારની અને અત્યારની પરિસ્થિતિ સરખાવી રહ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં