સંસદની બહાર રાહુલ ગાંધીએ મંત્રી રવનીત સિંઘ બિટ્ટુને કહી દીધા ‘ગદ્દાર’, ભાજપે કહ્યું– આ શીખ સમુદાયનું અપમાન

સંસદના બજેટ સત્ર દરમિયાન બુધવારે (4 ફેબ્રુઆરી) સવારે એક હાઈવૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથી સાંસદો સાથે સંસદ ભવનના દ્વાર પર ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ રવનીત સિંઘ બિટ્ટુને રાહુલે ‘ગદ્દાર’ (ટ્રેઇટર) કહી દીધા હતા. ત્યારબાદ હાથ મિલાવવાના પ્રયાસ કર્યા, પણ બિટ્ટુ તેમને અટકાવીને રાહુલ અને અન્ય સાંસદોને ‘દેશના દુશ્મન’ કહીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે કોંગ્રેસના સાંસદો 8 વિપક્ષી સાંસદોના સસ્પેન્શન અને ભારત-અમેરિકા વેપાર કરારના મુદ્દે મકર દ્વાર પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી પણ હાજર હતા. જ્યારે કોંગ્રેસના સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી કેન્દ્રીય મંત્રી રવનીત સિંઘ બિટ્ટુ પસાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ બિટ્ટુ તરફ ઈશારો કરતાં કહ્યું, “જુઓ, અહીંથી એક ગદ્દાર પસાર થઈ રહ્યો છે. જરા તેનો ચહેરો તો જુઓ.” આટલું કહીને રાહુલ ગાંધીએ તેમની તરફ હાથ લંબાવ્યો અને કહ્યું, “હેલો બ્રધર, માય ટ્રેઈટર ફ્રેન્ડ. ચિંતા ન કરો, તમે ફરી આવી જશો (કોંગ્રેસમાં.)

ઉલ્લેખનીય છે કે રવનીત સિંઘ બિટ્ટુ અગાઉ કોંગ્રેસમાં જ હતા અને 2024ની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા. તેમણે રાહુલ ગાંધી સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કોંગ્રેસ સાંસદોને ‘દેશના દુશ્મન’ કહી દીધા.

રાહુલ ગાંધીએ શીખ સાંસદને ‘ગદ્દાર’ કહી દીધા બાદ હવે પ્રતિક્રિયાઓ આવી રહી છે.

દિલ્હી સરકારમાં મંત્રી મનજિંદર સિંઘ સિરસાએ એક નિવેદનમાં કહ્યું કે, “રાહુલ ગાંધીએ એક શીખ મંત્રી માટે જે પ્રકારના શબ્દો વાપર્યા છે અને એક ‘શીખ સરદાર’ને ‘ગદ્દાર’ કહ્યા છે, તેની હું સખત શબ્દોમાં નિંદા કરું છું. આ અત્યંત શરમજનક છે. જો કોઈ ખરેખર ગદ્દાર હોય તો તે તમે છો રાહુલ ગાંધી. એક શીખ સરદાર ક્યારેય ગદ્દાર ન હોઈ શકે.”

તેમણે લખ્યું કે, શીખ સમુદાય માટે આવા શબ્દોનો પ્રયોગ દર્શાવે છે કે કોંગ્રેસની માનસિકતા આજે પણ બદલાઈ નથી. તેમણે કહ્યું કે અસલી દેશદ્રોહી ગાંધી પરિવાર છે, જેમણે શ્રી દરબાર સાહિબ પર ટેન્કો વડે હુમલો કર્યો, અકાલ તખ્ત સાહિબને નુકસાન પહોંચાડ્યું અને નિર્દોષ શીખોને જીવતા સળગાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે શીખોનું જે અપમાન કર્યું છે તે અમે સહન નહીં કરીએ. આ સિવાય તેમણે લોકસભા સ્પીકરને રાહુલ ગાંધી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ એક પોસ્ટમાં લખ્યું કે રાહુલ ગાંધીએ બિટ્ટુને જે રીતે ‘ગદ્દાર’ કહીને સંબોધ્યા તે સભ્યતા, શિષ્ટાચાર અને ગરિમાની તમામ હદો વટાવી ગયું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી દિશાવિહીન કોંગ્રેસને બદલે મોદી સરકારની વિકાસની નીતિઓ પસંદ કરવા બદલ તેઓ બિટ્ટુ પ્રત્યે ઊંડો ખાર રાખતા હોય એવું લાગે છે.

તેમણે વધુમાં રાહુલ ગાંધી પર આરોપ લગાવતાં લખ્યું કે “કોઈને ‘ગદ્દાર મિત્ર’ કહેવાનો અર્થ એ છે કે તેણે પોતાના દેશ સાથે ગદ્દારી કરી છે. ગાંધીના કદાચ એવા ઘણા મિત્રો હશે જેઓ ગદ્દાર હોય, પરંતુ બિટ્ટુ ચોક્કસપણે તેમાંના એક નથી.” તેમણે કહ્યું કે કોઈ પણ આધાર વિના એક પ્રતિષ્ઠિત શીખને ગદ્દાર કહેવા તે સમગ્ર શીખ સમુદાય પર કલંક સમાન છે.

તેમણે ઓપરેશન બ્લુ સ્ટારનો ઉલ્લેખ કરતાં લખ્યું કે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે 1984માં સુવર્ણ મંદિરની અપવિત્રતા પણ આ જ માનસિકતા સાથે કરવામાં આવી હતી.

ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમને શીખવિરોધી ગણાવ્યા. તેમણે લખ્યું કે જ્યારે લાખો શીખો સરહદો પર રક્ષણ કરી રહ્યા હોય ત્યારે રાહુલ ગાંધી પોતાના અહંકાર અને અજ્ઞાનતાથી તેમના બલિદાનનું અપમાન કરી રહ્યા છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે 1984થી લઈને આજ સુધી કોંગ્રેસે શીખો પ્રત્યે માત્ર તિરસ્કાર જ દર્શાવ્યો છે.