બાયોફાર્મા શક્તિ, ઇન્ફ્રાસ્ટ્રકચર, લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન, રેર અર્થ કોરિડોર: બજેટ 2026ની મહત્વની જાહેરાતો

કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરતા 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક વિકાસને ગતિ આપવાના હેતુથી અનેક નવા ફંડ અને યોજનાઓની જાહેરાત કરી છે. વર્ષ 2027 માટે કુલ મૂડીગત ખર્ચ ₹12.2 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે, જે માળખાગત અને ઉદ્યોગોમાં રોકાણ દ્વારા આર્થિક ગતિ જાળવી રાખવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્ય જાહેરાતોમાં MSME ગ્રોથ ફંડ (ચેમ્પિયન SMEs ફંડ તરીકે પણ ઓળખાય છે) સામેલ છે, જેના માટે ₹10,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય નાના અને મધ્યમ ઉદ્યમોને વિશેષ માપદંડોના આધારે પ્રોત્સાહન આપીને તેમને મજબૂત MSMEsમાં વિકસિત કરવાનો છે, સાથે રોજગાર સર્જન અને લાંબાગાળાની સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

વધુમાં બાયોફાર્મા શક્તિ યોજના આગામી પાંચ વર્ષ માટે ₹10,000 કરોડ સાથે શરૂ કરવામાં આવી છે, જેનો લક્ષ્ય ભારતને વૈશ્વિક બાયોફાર્માસ્યુટિકલ ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. તેના અંતર્ગત બાયોફાર્મા કેન્દ્રિત નેટવર્ક સ્થાપિત કરવું, ત્રણ નવા સંસ્થાન ખોલવાં, હાલની સુવિધાઓને અપગ્રેડ કરવી, 1,000 માન્યતા પ્રાપ્ત ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ બનાવવી અને Central Drugs Standard Control Organisation જેવી નિયામક સંસ્થાઓને મજબૂત કરવાની યોજના છે.

લોજિસ્ટિક્સ અને માળખાગત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ યોજના હેઠળ પાંચ વર્ષમાં ₹10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેથી ઘરેલું કન્ટેનર ઉત્પાદન પરિસ્થિતિ તંત્ર વિકસાવી શકાય.

ટેક્નોલોજી ક્ષેત્રમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 હેઠળ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ યોજના માટે બજેટ વધારીને ₹40,000 કરોડ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર ઉત્પાદન, સાધનો, કન્ટેન્ટ અને સંપૂર્ણ ભારતીય બૌદ્ધિક સંપદાનો વિકાસ કરવાનો છે. સાથે ઉદ્યોગ-નેતૃત્વવાળા અનુસંધાન અને તાલીમ કેન્દ્રો સ્થાપિત કરી સપ્લાય ચેઇનને મજબૂત કરવામાં આવશે.

સરકારે વર્ષ 2027 માટે આત્મનિર્ભર ભારત ફંડ માટે ₹2,000 કરોડની વધારાની રકમ પણ જાહેર કરી છે, જેથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને વધુ સશક્ત બનાવી શકાય.

તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડની જાહેરાત કરવામાં આવી છે, જે જાહેર ઋણ ગેરંટી તંત્ર દ્વારા બાંધકામ અને વિકાસ તબક્કા દરમિયાન ઋણદાતાઓના જોખમને ઘટાડશે. જોકે આ ફંડ માટે રકમની જાહેરાત કરવામાં આવી નથી.

આ યોજનાઓ ઉપરાંત અનેક અન્ય કાર્યક્રમોની પણ રૂપરેખા રજૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવિત કરવાનો છે. જેમાં ખનિજ સમૃદ્ધ રાજ્યો માટે ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર, વિશેષ રાસાયણિક પાર્ક સ્થાપવા માટે કેમિકલ આર્ક્સ યોજના અને વસ્ત્ર ક્ષેત્રને અપગ્રેડ કરવા માટે નેશનલ ફાઇબર યોજના સામેલ છે.

સાથે જ વસ્ત્ર કાર્યકરોના તાલીમ માટે સમર્થ 2.0 કાર્યક્રમ તેમજ ગ્રામીણ સ્વશાસન અને આર્થિક સશક્તિકરણ પર કેન્દ્રિત મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલની પણ જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં 7 હાઇસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં મુંબઈ-પુણે થી હૈદરબાદ-બેંગલુરુ સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્ર માટે એક ટૂલની પણ જાહેરાત કરવામાં આવી છે, જેને ‘Bharat VISTAAR’ તરીકે ઓળખવામાં આવશે, જે ખેડૂતોને ડેટા અને સલાહ તેમની ભાષામાં આપવા માટેનું AI ટૂલ હશે. 

આ ઉપરાંત દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ અને સ્વાસ્થ્ય શિક્ષાને પ્રોત્સાહન આપવામાં આવશે. આ હેઠળ જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર ખોલવામાં આવશે અને દેશભરમાં AIMMSની આયુવેદ હોસ્પિટલો પણ ખોલવામાં આવશે. વધુમાં લોથલ-ધોળાવીરા સહિતની 15 વિરાસતોનો વિકાસ પણ કરવામાં આવશે અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા મિશન લૉન્ચ કરવામાં આવશે.