
કેન્દ્ર સરકાર ગ્રામીણ રોજગાર યોજના મનરેગામાં (MGNREGA) મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય કેબિનેટે 12 ડિસેમ્બર 2025ના રોજ આ ફેરફાર સાથે જોડાયેલા સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ હેઠળ ગ્રામીણ પરિવારોને મળતા કામના દિવસોની સંખ્યા 100થી વધારીને 125 દિવસ કરવામાં આવી શકે છે. આ સાથે, સરકાર આ કાયદાનું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ’ કરવા પર પણ વિચાર કરી રહી છે.
કેમ વધારવામાં આવી રહી છે કામની મર્યાદા?
મનરેગા કાયદામાં દરેક ગ્રામીણ પરિવારને વર્ષમાં 100 દિવસ કામ આપવાની ગેરંટી છે, પરંતુ જમીની વાસ્તવિકતા તેનાથી અલગ છે. નાણાકીય વર્ષ 2024-25માં એક પરિવારને સરેરાશ માત્ર 50 દિવસ જ રોજગાર મળ્યો હતો, એટલે કે નિર્ધારિત ગેરંટી કરતા અડધો પણ નહોતો મળ્યો.
સરકારી આંકડા દર્શાવે છે કે પૂરા 100 દિવસ કામ મેળવનારા પરિવારોની સંખ્યા ખૂબ ઓછી છે. ગયા વર્ષે માત્ર 40.70 લાખ પરિવારોને જ 100 દિવસનો રોજગાર મળ્યો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધી માત્ર 6.74 લાખ પરિવારો જ 100 દિવસ સુધી પહોંચી શક્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે કાયદામાં જે વચન અપાયું છે અને ગામડાઓમાં જે કામ મળી રહ્યું છે, તેની વચ્ચે ઘણો મોટો તફાવત છે.
આ જ કારણે અનેક રાજ્યો લાંબા સમયથી કામના દિવસોની મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોનું કહેવું છે કે 100 દિવસ પૂરતા નથી. હાલ 100 દિવસથી વધુ કામ આપવાનો ખર્ચ રાજ્યોને પોતાને ઉઠાવવો પડે છે અને આ જ કારણ છે કે ખૂબ ઓછા રાજ્યો સાતત્યતાથી આ આંકડા સુધી પહોંચી શકે છે.
મનરેગાનું નામ બદલવા પર વિચાર
સરકાર મનરેગા કાયદાનું નામ બદલવા પર પણ વિચાર કરી રહી છે. પ્રસ્તાવ છે કે વર્તમાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ કરવામાં આવે. આ માટે કાયદામાં ફેરફાર કરવો પડશે.
આ યોજનાની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, ત્યારે તેનું નામ માત્ર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હતું. પછી 2009માં યુપીએ સરકારે તેમાં મહાત્મા ગાંધીનું નામ ઉમેર્યું અને ત્યારથી તે મનરેગા નામે ઓળખાવા લાગી.
જો વર્તમાન એનડીએ સરકાર કામના દિવસોને 100થી વધારીને 125 કરવા અને કાયદાનું નામ બદલવાનો નિર્ણય લે તો તેને સીધો અમલમાં મૂકી શકાશે નહીં. આ માટે સંસદના બંને ગૃહોમાંથી સંશોધન બિલ પસાર કરાવવું જરૂરી રહેશે.
મનરેગાનો પાયો અને ભવિષ્ય
મનરેગા એક ખૂબ મોટી અને લાંબા સમયથી ચાલતી યોજના છે. તેની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી અને અત્યાર સુધી તેના પર આશરે ₹11.74 લાખ કરોડ ખર્ચાયા છે. આ યોજના હેઠળ દેશભરમાં 4,872 કરોડથી વધુ વ્યક્તિદીઠ રોજગાર ઉભો થયો છે, જેનાથી કરોડો ગ્રામીણ પરિવારોને કામ મળ્યું છે.
કોરોના મહામારીના સમયે આ યોજનાનું મહત્વ સૌથી વધુ દેખાયું હતું. લોકડાઉન દરમિયાન જ્યારે શહેરોમાંથી મજૂરો પોતાના ગામોમાં પરત ફર્યા, ત્યારે મનરેગા જ તેમની આજીવિકાનો સૌથી મોટો આધાર બની હતી. નાણાકીય વર્ષ 2020-21માં રેકોર્ડબ્રેક રીતે 7.55 કરોડ ગ્રામીણ પરિવારોએ આ યોજના હેઠળ કામ મેળવ્યું હતું.
હવે મનરેગામાં ફેરફારનો સરકારનો પ્રસ્તાવ એવા મહત્વના સમયે આવ્યો છે, જ્યારે છઠ્ઠા નાણાકીય આયોગની ભલામણો હેઠળ 1 એપ્રિલ 2026થી યોજનાને આગળ ચલાવવાની પ્રક્રિયા શરૂ થવાની છે. આવામાં કામના દિવસ વધારવા અને અન્ય સુધારાઓનો નિર્ણય મનરેગાના ભવિષ્યની દિશા નિર્ધારિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

