(લેફ્ટ, રાઇટ અને સેન્ટર: શુક્રવાર, 12 ડિસેમ્બર 2025)
દેશને ગેરકાયદે બહારથી આવનારા/આવી ગયેલા ઘૂસપેઠિયાઓથી તો ખતરો છે જ. મતદારયાદીમાં સઘન સુધારણાની પ્રક્રિયા સો ટકા સફળતાપૂર્વક પાર પડે તો શું ડેમોગ્રાફીને લગતી ગંભીર સમસ્યાનો અંત આવી જવાનો છે? એસ. આઈ. આર. તો જરૂરી છે જ છે. પણ દેશમાં બદલાતી જતી ડેમોગ્રાફીને કારણે, સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો હિન્દુઓની ઘટતી જતી અને સામે પક્ષે મુસ્લિમોની વધતી જતી વસ્તીને કારણે જે સમસ્યાઓ સર્જાઈ રહી છે અને ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની છે તેનો ઉકેલ કોણ લાવશે?
આનો ઉકેલ સરકારે અને હિન્દુઓએ પોતે જ લાવવો પડશે.
2017માં તત્કાલીન ગૃહરાજ્ય મંત્રી હંસરાજ આહીરે લોકસભામાં આપેલી લેખિત માહિતી મુજબ 1971માં ભારતમાં 82.7 ટકા વસ્તી હિન્દુઓની હતી જે 40 વર્ષમાં ઘટીને 2011માં 79.8 ટકા થઈ ગઈ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી નથી, 2027માં થશે ત્યારે લેટેસ્ટ આંકડા મળશે જે ચોંકાવનારા હશે.
પહેલાં હિન્દુઓ પોતે શું કરી શકે તેની વાત કરીએ.
પશ્ચિમની દેખાદેખી કે પશ્ચિમની ચડામણીથી કે પશ્ચિમની દાદાગીરીથી ભારતે પણ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ તરફ અને બહોળા પરિવારમાંથી હમ દો હમારે દોના સૂત્ર તરફ વળી જવું પડ્યું. (અફકોર્સ, આ માટે અન્ય ઔદ્યોગિક/સામાજિક/વ્યક્તિગત કારણો પણ હોવાનાં જ છે. પણ પશ્ચિમવાળું ફૅક્ટર ઘણું વજનદાર છે જે તમને હજુ સુધી કોઈએ જણાવ્યું નથી.
મા-બાપથી છૂટાં પડીને અલગ ઘર સંસાર માણવામાં આઝાદીનો ખરો અનુભવ થાય છે એવું માનનારા દંપતિઓએ એક કે બે બાળકો બસ છે એવું અપનાવી લીધું. અગાઉના લોકો એક-બે કરતાં વધારે બાળકોને જન્મ આપતાં. સંયુક્ત કુટુંબમાં બધા સચવાઈ જતાં. વિભક્ત કુટુંબમાં રહેવાનું શરૂ કરનારા નવદંપત્તિઓમાંથી ભાગ્યે જ કોઈને ત્રણ કે ત્રણથી વધુ સંતાનો હશે. એટલાં બધાં બાળકોને કોણ સાચવશે, કોણ ઉછેરશે, એમનાં ભણતરનો ખર્ચ, લગ્નનો ખર્ચ—આવું બધું આધુનિક નવદંપત્તિઓ વિચારતા રહ્યા.
પરિણામ શું આવ્યું? મુસ્લિમોની વસ્તી ભારતમાં કુદકે ને ભૂસકે વધતી ગઈ. હિન્દુઓની વસ્તીની ટકાવારી ઘટતી ગઈ. બંગાળમાં સામ્યવાદની અસર હેઠળ હિન્દુ દંપત્તિઓ એક જ બાળકને જન્મ આપીને ઉછેરતા. આજના બંગાળમાં ખૂબ મોટા પ્રમાણમાં એવા બંગાળી કુટુંબો તમને જોવા મળશે જેમને ત્યાં એક જ બાળક હોય અને જેઓ પોતે પોતાનાં મા બાપના એકના એક દીકરા-દીકરી હોય, એમનાં દાદા-દાદી પણ પોતાનાં પેરેન્ટ્સનાં એકમાત્ર સંતાન હોય. બંગાળની ડેમોગ્રાફી બદલાઈ ગઈ એનું એકમાત્ર કારણ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો જ નથી. તમામ ઘૂસપેઠિયાઓને હાંકી કાઢવામાં સફળતા મળે તો પણ ત્યાં મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ વધતું જ જવાનું છે.
આ સમસ્યા માત્ર બંગાળ પૂરતી સીમિત નથી. કેરળ અને ભારતના લગભગ દરેક રાજ્યમાં હિન્દુઓ કુટુંબ નિયોજનના નામે પોતે જ પોતાની વસ્તીનું પ્રમાણ ઘટાડી રહ્યા છે. હિન્દુઓ વધુ બાળકોને જન્મ આપે તે માટે કેટલાંક સ્વૈચ્છિક સંગઠનોએ ઘોષણા કરી છે કે તમારે ત્યાં ત્રીજા બાળકનો જન્મ થાય તો એના ભણતરની તમામ જવાબદારી અમારી. કેટલીક સેવાભાવી સંસ્થાઓએ ત્રીજા સંતાનના જન્મ નિમિત્તે અમુક લાખ રૂપિયા આપવાની જાહેરાતો પણ કરી છે.
મુસીબત એ છે કે આધુનિક હિન્દુ યુગલો માત્ર એક જ સંતાન સુધી પરિવારને સીમિત રાખવા માગે છે. બીજા સંતાનને ઉછેરવા પાછળ ખર્ચ કરવાને બદલે એક માટે જ બધો ખર્ચ કરવો, એને સારી (મોંઘી) સ્કૂલમાં ભણાવવું, એની લાઈફ સ્ટાઇલ (કપડાં, ખિસ્સાખર્ચ, વૅકેશનો) પાછળ ખર્ચ કરવો એવું માનતા થઈ ગયા છે. ભવિષ્યમાં કદાચ વખત એવો આવશે કે ત્રીજા નહીં, બીજા બાળક માટે પણ સંસ્થાઓએ ઇન્સેટિવ્સ આપવા પડશે અને તોય પોતાને ઉચ્ચ મધ્યમ વર્ગમાં ગણનારા યુગલો અમે બે-અમારું એકના સૂત્રને વળગી રહેશે.
એક જ સંતાનવાળા યુગલના બાળકે પરિવારમાં અને વ્યક્તિગત ધોરણે કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે ચીને વીતેલા દાયકાઓ દરમ્યાન જોઈ લીધું. હવે આંખ ઉઘડી છે. સરકાર કહી રહી છે એક ને બદલે કમ સે કમ બે સંતાનને તો જન્મ આપો. યુરોપના અનેક દેશોની સરકારો પતિ-પત્ની એકથી વધુ સંતાનોને જન્મ આપે એ માટે જાતભાતના સરકારી લાભ આપતી થઈ ગઈ છે. ભારતમાં સરકારી ધોરણે આવી વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત થાય તો ચાર પત્નીનો હક મેળવનારાઓ પણ માગણી કરશે કે અમને પણ આ વ્યવસ્થામાં સામેલ કરો. જમવામાં જગલો અને કૂટવામાં ભગલોની કહેવત તમે સાંભળી હશે. સગવડ હોય ત્યાં શરિયાનો કાયદો આગળ ધરવાનો અને જરૂર પડે ત્યાં ભારતના કાયદાઓનો લાભ લેવાનો.
ભારતમાં રહેતા મોટા ભાગના મુસ્લિમો સમજુ છે. આ દેશને તેઓ પોતાનો દેશ માને છે. આ દેશની સરકારને કારણે અન્ય દેશોના મુસ્લિમો કરતાં પોતાનું જીવનધોરણ ઘણું સારું છે એવું સ્વીકારે છે. હિંદુઓ સાથે ભાઈચારાથી, શાંતિથી રહેવામાં માને છે કારણ કે તેઓ જાણે છે કે સૌહાર્દ રાખ્યા વિના પોતાની ઉન્નતિ થવાની નથી. પણ ભારતમાં રહેતા કેટલાક મુસ્લિમો પોતાને મોગલ બાદશાહની રખાતોના વંશજ માનીને આ દેશ પર હજુય પોતાનું રાજ છે એવું કહીને સરેઆમ દાદાગીરી કરતા ફરે છે. મુસ્લિમ રાજકારણીઓમાંથી જે ઓવૈસી જેવા આક્રમક છે તેવા તમામ નેતાઓ અને રાહુલ, મમતા બેનર્જી, શરદ પવારથી માંડીને કેજરીવાલ, ઉદ્ધવ, અખિલેશ, તેજસ્વી જેવા સડકછાપ મેન્ટાલિટી ધરાવતા હિંદુ રાજકારણીઓ આ પ્રકારના મુસ્લિમોને થાબડભાણાં કરતા રહીને અને વાંદરાઓને સતત દારૂના નશામાં રાખી નિસરણી પર ચડાવતા રહે છે. પરિણામ સ્વરૂપે આ દેશમાં મોદી આવીને બાર સાંધે છે ત્યાં તેર તૂટે છે. અત્યંત ડેન્જરસ પરિસ્થિતિ ઊભી થાય છે- આ ઉશ્કેરનારા નેતાઓ દ્વારા અને ઉશ્કેરાઈ જનારી પ્રજા દ્વારા.
ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં વર્ષોમાં એક વખત વિશ્વ હિન્દુ પરિષદે અમદાવાદની નજીક આવેલી પીરાણાની દરગાહના સ્થળે ત્રણ દિવસીય શિબિર કરી હતી. સદીઓ પહેલાં અહીંના સૂફી સંતોએ પોતાને હિંદુ તરીકે ઓળખાવાનું શરૂ કરેલું એવો અહીંનો ઇતિહાસ છે. દરગાહો પર લીલા રંગની ધજા ફરકતી જોવા મળે. પીરાણાની દરગાહ પર સફેદ ધજા શોભે છે, ગ્રીન નહીં. આ દરગાહનું સંચાલન કરતા ટ્રસ્ટીમંડળમાં 7 સભ્યો કચ્છી કડવા પટેલો છે અને 3 સૈયદ છે. હિન્દુ પરંપરાનું વર્ચસ્વ ધરાવતા આ પવિત્ર સ્થળે વી.એચ.પી.ની શિબિર હતી જેના પહેલા દિવસના પ્રવચનકારોમાં મારે પણ જવાનું હતું. પ્રવચન પૂરું કરીને, શિબિરાર્થીઓ તેમજ વી.એચ.પીના સિનિયર, આદરણીય વડીલોને મળીને, ભોજન બાદ હું અમદાવાદ પાછો આવી જવાનો હતો. 18 જ કિલોમીટરનું અંતર હતું, પણ ત્યાં જઈને મને જ્યારે ખબર પડી કે અહીં બાકીના બે દિવસ દરમિયાન કોનું કોનું અને કેવા કેવા વિષયો પર પ્રવચન છે. હું આયોજકોની પરવાનગી લઈને ત્યાં જ રોકાઈ ગયો.
ત્રીજા દિવસે પોતાના વિષયના એક નિષ્ણાતે ભારતની વસ્તીની ટકાવારી વિશે પ્રવચન આપ્યું હતું. અત્યંત પ્રભાવશાળી, ચોંકાવનારું તેમ જ ખૂબ જ ઉપયોગી એવું પ્રવચન હતું. એમની પાસેથી મને સેન્ટર ફોર પૉલિસી સ્ટડીઝ (27, રાજશેખરન સ્ટ્રીટ, માયલાપોર, ચેન્નઈ 600 004) દ્વારા 2003ની સાલમાં પ્રગટ કરવામાં આવેલા ‘રિલિજિયસ ડેમોગ્રાફી ઓફ ઈન્ડિયા’ નામના એક દળદાર સંશોધનગ્રંથ વિશે જાણકારી મળી. એ.પી. જોશી, એમ.ડી. શ્રીનિવાસ તથા જે. કે. બજાજે સંયુક્તપણે કરેલા રિસર્ચના પરિપાકરૂપે તૈયાર થયેલો આ મહામૂલો ગ્રંથ દિલ્હીની ‘વૉઇસ ઓફ ઇન્ડિયા’ પ્રકાશન સંસ્થાના પાયાના પથ્થર સમા શ્રી રામ સ્વરૂપજીની સ્મૃતિને અર્પણ કરવામાં આવ્યો છે.
આ દળદાર ગ્રંથમાં વસતિગણતરીના જે આંકડાઓ આપેલા છે તે આધારભૂત છે, સરકારી છે. અંગ્રેજોના જમાનાથી શરૂ થયેલી અને કેટલાક ફેરફારો સહિત હજુ સુધી ચાલુ રહેલી દસ વાર્ષિક વસતિગણતરીના આ આંકડાઓ છે. ભારતને લગતું વિશ્વનું કોઈપણ આંકડાકીય સંશોધન વસતિગણતરીની બાબતમાં આ આંકડાઓને વિશ્વસનીય તથા આધારભૂત ગણે છે. આ આંકડાઓને ધીરજપૂર્વક સમજ્યા પછી એનાં તારણો કાઢવામાં આવે તો ચોંકી જવાય એવાં તથ્યો બહાર આવે છે. પૂર્વોત્તર ભારતમાં 80થી 90 ટકા વસતી હિન્દુઓની હતી એક સદી પછી ત્યાં માત્ર 5-10 ટકા વસ્તી જ હિન્દુઓની છે.
એક ટેક્નિકલ વાત જાણી લઈએ. હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ તેમ જ આદિવાસીઓના વિવિધ સંપ્રદાયો – આ બધા જ ભારતીય ધર્મપરંપરામાં આવે. એમાં આસ્થા ધરાવનારાઓ ઈન્ડિયન રિલિજિયનિસ્ટ ગણાય, ભારતીય ધર્મના અનુયાયીઓ. એ જ રીતે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ, યહૂદીઓ ઈત્યાદિ ભારતમાં અન્યધર્મીઓ ગણાય.
ચેન્નઈની સેન્ટર ફોર પૉલિસી સ્ટડીઝે જે દળદાર સંશોધનગ્રંથ બહાર પાડીને આપણા સુધી આ બધા આંકડા પહોંચાડ્યા છે એમ કોન્રાડ એલ્સ્ટે પણ ‘ધ ડેમોગ્રાફિક સીજ’ નામની પચાસેક પાનાંની પુસ્તિકા લખીને આ સમસ્યા તરફ આપણું ધ્યાન દોર્યું છે. વૉઈસ ઑફ ઈન્ડિયા, દિલ્હીએ પ્રગટ કરેલી અને ઈન્ટરનેટ પર આસાનીથી સર્ચ કરીને ખરીદી શકાતી આ નાનકડી પણ સ્ફોટક સામગ્રી ધરાવતી પુસ્તિકામાંની વિગતોમાંથી ચયન-પૃથક્કરણ કરવાનું કામ પણ ઘણું અગત્યનું છે.
કૉન્રાડ એલ્સ્ટ વિદ્વાન જર્મન લેખક છે. મહાન હિંદુવાદી છે. મુંબઈમાં એમની પર્સનલ મુલાકાત વિશે તથા એમનાં પુસ્તકો વિશે લખી ચૂક્યા છીએ.
‘ધ ડેમોગ્રાફિક સીજ’ નામના કૉન્રાડ એલ્સ્ટના નાનકડા પુસ્તકની અનુક્રમણિકામાં પાંચ પ્રકરણ છે. 1. વિઝન્સ ઑફ અ ડેમોગ્રાફિક ડુમ્સડે, 2. ઈમિગ્રેશન ફ્રોમ બાંગ્લાદેશ, 3. ધ મુસ્લિમ બર્થ રેટ, 4. ઈસ્લામ ઍન્ડ બર્થ કન્ટ્રોલ અને 5. હિન્દુ રિસ્પોન્સ ટુ ધ ડેમોગ્રાફિક ચેલેન્જ.
કોઈ પણ ધર્મ કે જાતિની વસ્તીમાં થતો વધારો કે ઘટાડો તે પ્રદેશની સાંસ્કૃતિક પરંપરાની સમતુલા બદલાવી શકે છે. ભારતમાં મોગલોએ આક્રમણ કરીને અહીંની પ્રજા ઉપર સદીઓ સુધી રાજ ન કર્યું હોત તો આપણે લોકો લેંઘો-ઝભ્ભો પહેરતા જ ન હોત. ધોતિયું અને ઉપરણું જ આપણો પહેરવેશ રહ્યો હોત. આ તો એક નાનકડું ઉદાહરણ છે. જલેબી ખાતા જ ન હોત. ચૂરમાના લાડવા ને લાપસી જ ખાતા હોત. ગંભીરતાથી જોઈએ તો, આ દેશમાં એક પણ મસ્જિદ ન હોત. જેમ અરબ દેશોમાં મંદિર નથી હોતાં, ચર્ચ નથી હોતાં. (હવેના જમાનામાં ક્યાંક ક્યાંક જોવા મળે). હિન્દુ ધર્મને કે સનાતન પરંપરાને ઉતારી પાડનારાં તત્ત્વોનો જન્મ જ ન થયો હોત આ દેશમાં. હિન્દી આપણી પ્યોર હિન્દી હોત. ડાયરેક્ટ સંસ્કૃતમાંથી ઊતરી આવેલી. એમાં અવધિ-ભોજપુરી વગેરે બોલીઓના શબ્દો હોત પણ ઉર્દૂમાંથી આવેલા રૂહાનિયત અને ખસૂસ અને અફસોસ અને ઈઝહાર જેવા કોઈ શબ્દો ઉમેરાયા જ ન હોત. એને બદલે સંસ્કૃતમાંથી સીધા ઊતરેલા શબ્દો હોત જેમાંના કેટલાય અત્યારે સંસ્કૃતના શબ્દકોશમાં જ પડી રહ્યા છે, બોલચાલમાં આવતા જ નથી.
સંસ્કૃતમાં ક, ખ, ગ, ઘ પછી ‘અંગ’ ઉચ્ચાર ધરાવતો અક્ષર આવે છે જેને ‘ડ’ના ઉપરના વળાંકની બાજુમાં ટપકું મૂકીને દર્શાવવામાં આવે છે. (આ રીતે ઙ). આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં પ્રખર ગુજરાતી ભાષાશાસ્ત્રી ડૉ. ઊર્મિબેન ઘનશ્યામ દેસાઈએ એક વખત મને પ્રેમપૂર્વક જણાવ્યું હતું કે ‘ગુડ મૉર્નિંગ’માં ભલે છેલ્લે ‘ગ’ લખવાનું ચલણ સ્વીકાર્ય હોય પણ ‘મૉર્નિંગ’નો એ ગ નથી ‘ઙ’ (‘અંગ’) છે. માટે ‘ગુડ મૉર્નિંઙ’ એમ લખાવું જોઈએ! સંસ્કૃત ભાષા આપણી પરંપરાનો અનિવાર્ય હિસ્સો છે જેને છેલ્લાં હજારેક વર્ષમાં ક્રમશ: આ દેશમાંથી ભગાડી મૂકવામાં આવી. તમારી ભાષામાંથી કોઈ સ્વર કે વ્યંજન નાશ પામે છે ત્યારે જો તમારા પેટનું પાણી પણ ન હલતું હોય તો સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં તમારું પોતાનું અસ્તિત્વ પણ આ જ રીતે ખતમ થઈ જશે.
કૉન્રાડ એલ્સ્ટ લખે છે કે 1891ની સાલમાં જે અંગ્રેજના નેતૃત્વ હેઠળ ભારતની વસ્તીગણતરી થઈ હતી તે સેન્સસ કમિશનર ઓ ડોનેલે તે જમાનામાં જે રીતે ભારતમાં મુસ્લિમોની વસ્તી વધી રહેલી અને હિન્દુઓની ઘટી રહેલી તેના આંકડા પરથી ભવિષ્યવાણી ભાખી હતી કે 620 વર્ષ પછી હિન્દુસ્તાનમાં એક પણ હિન્દુ નહીં હોય. ત્યાર બાદ 1881, 1891 અને 1901ના વસ્તીગણતરીના આંકડાઓ પછી કર્નલ યુ. એન. મુખરર્જીએ જૂની ભવિષ્યવાણીમાં ફેરફાર કરવા પડ્યા અને કહેવું પડયું કે 620 નહીં પણ 420 વર્ષ પછી હિન્દુ જાતિનો સર્વનાશ થઈ જશે. આ વાતો કૉન્રાડ એલ્સ્ટે સંદર્ભો ટાંકીને લખી છે. કશું અધ્ધરતાલ નથી.
જો 1901માં આવી આગાહી કરીને હિંદુઓના સર્વનાશને બસો વર્ષ આગળ ધકેલવામાં આવતો હોય તો લગભગ સો વર્ષ પછી, 2011ની વસ્તી ગણતરીના આંકડા આવ્યા પછી હજુ એ તારીખ આગળ આવે. મે બી, બસો કે ત્રણસો વર્ષ પછીની કોઈ ઘડી. માની લઈએ 420 વર્ષ જ, તો પણ સવાલ એ નથી કે હિન્દુઓ ક્યારે આ જગતમાંથી નેસ્તનાબૂદ થઈ જશે. સવાલ એ પણ નથી કે આપણે ક્યારે આપણા જ દેશની બહુમતી મટીને લઘુમતી થઈ જઈશું. સવાલ એ છે કે આગામી થોડાક જ દાયકામાં મુસ્લિમોની વસ્તીની ટકાવારી 15થી 20 ટકાથી વધીને ત્રીસેક ટકા જેટલી થઈ જશે ત્યારે આ દેશની શું હાલત હશે. કેવી ભયજનક પરિસ્થિતિ સર્જાશે ત્યારે.
દસ-પંદર ટકા વસ્તીને ખુશ કરવા કૉન્ગ્રેસીઓ અને હવે તો પવારો, મમતાઓ, અખિલેશો પ્લસ વાઘમાંથી મિંદડી થઈ ગયેલા રાજકીય પક્ષો કમરેથી બેવડ વળીને ઝૂકી જતા હોય છે તો જ્યારે એ આંકડો ડબલ થઈ જશે ત્યારે એમને રીઝવવા આળોટવાનું જ બાકી રહેશે. 85 ટકા હિન્દુઓ હોવા છતાં આપણું સેક્યુલર મીડિયા આપણી સાથે, આપણા નેતાઓ અને આપણી સંસ્કૃતિ સાથે આટલી બદતમીજીથી પેશ આવે છે તો જ્યારે 85માંથી ઘટીને 80, 75 કે 70 ટકાનો આંકડો થઈ જશે તો આ મીડિયા આપણા માટે જીવવા જેવું કોઈ વાતાવરણ રાખશે? કલ્પના કરવી હોય તો કરો. ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી સમગ્ર 2002ના વર્ષ દરમ્યાન આ લોકોએ હિન્દુ પ્રજા પર કેવાં કેવાં માછલાં ધોયાં હતાં. મોદીજી પર તો વ્હેલ અને શાર્ક ધોઈ હતી.
કર્નલ યુ. એન. મુખર્જીએ 1909ની સાલમાં આ વિષયના સંદર્ભમાં ઘણા લેખો લખીને ‘હિન્દુઝ, અ ડાઈંગ રેસ’ નામના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા હતા. તો અત્યારે સળગતો સવાલ એ નથી કે ભવિષ્યમાં આ પૃથ્વી પર કોઈ હિન્દુ નામનો જીવ રહેતો હશે કે નહીં. પ્રાયોરિટી એ વાતની છે કે થોડાક જ દાયકાઓમાં પેલી બાજુ દસ-પંદર ટકાનો વધારો અને આ બાજુ પ્રપોર્શનેટલી એટલો જ ઘટાડો થશે ત્યારે થનારી હિન્દુસ્તાનના કલ્ચરલ બૅલેન્સની ઐસીતૈસીને આપણે કેવી રીતે કોપ-અપ કરીશું. આપણે એટલે હું કે તમે નહીં, આપણી આવનારી પેઢીઓ. એક લેક્ચરમાં મેં કહેલું: ‘મને ખાતરી છે કે મારા મર્યા પછી મારા અંતિમસંસ્કાર મારા મૃતદેહને અગ્નિને સમર્પિત કરીને જ થવાના છે. મને ખાતરી છે કે મારા દીકરાના પણ અગ્નિસંસ્કાર થવાના. પણ મને શંકા છે કે મારા દીકરાનો દીકરો જન્મશે અને એનું આયુષ્ય પૂરું કરશે ત્યારે એના અગ્નિસંસ્કાર થશે કે એને દફનાવવામાં આવશે.’
લાસ્ટ બૉલ
આખી દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની સરહદો રાજનીતિથી કે યુદ્ધથી નહીં પણ સાંસ્કૃતિક એકતાથી નક્કી થઈ હોય.
—અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી (9 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યસભામાં વંદે માતરમ્ વિશે ચર્ચા કરતાં)


